બારબાળાની હત્યાનું કોકડું ઉકેલાયું
Bhaskar News, Mumbai | Aug 30, 2012, 06:12AM IST
માલવણીમાં બારબાળાની ભેદી હત્યાનું કોકડું આખરે ઉકેલાઈ ગયું છે. અનૈતિક સંબંધની શંકા પરથી પત્નીને નશામાં ચૂર કરીને માથું ધડથી અલગ કરી નાખ્યું હોવાનું બહાર આવ્યું છે.
આસિસ્ટન્ટ કમિશનર પ્રફુલ્લ ભોસલેની આગેવાનીમાં બુધવારે આ અત્યંત ભેદી હત્યામાં ૨પ વર્ષીય રાકેશકુમાર ભગવતીપ્રસાદ પટેલ, ૨૬ વર્ષીય રહેમત ઉર્ફે ખુટબુટ છબુ ખાનની ધરપકડ કરી છે.
મૃતક રિટાદેવી ઉર્ફે રોશની અજયકુમાર પ્રજાપતિનો પતિ અજયકુમાર પ્રેમચંદ પ્રજાપતિ ભગવતી હોસ્પિટલમાં હાલ બેભાનાવસ્થામાં છે.
૧૭ ઓગસ્ટે માલવણી અંબુજવાડી ખાડીમાંથી એક ધડથી માથું અલગ કરેલી લાશ પોલીસને મળી હતી. ૨૪ ઓગસ્ટે પોલીસે હેમખેમ આ મહિલાની ઓળખ સ્થાપિત કરી હતી. તે કાંદિવલી પશ્ચિમના ભાંબ્રેકર નગર સ્થિત વિશ્વદીપ સોસાયટીની હોવાનું જણાયું હતું. પોલીસે તેના પતિ પાસે પૂછપરછ કરતાં તે ત્યાં જ બેભાન થઈ ગયો હતો, જે પછી આજની તારીખે પણ બેભાન અવસ્થામાં ભગવતી હોસ્પિટલમાં છે.
આને કારણે તપાસ આગળ વધતી નહોતી, પરંતુ પોલીસે પ્રયાસ ચાલુ રાખીને આખરે બુધવારે ઉક્ત બંને આરોપીને રે રોડના કોયલા બંદર ખાતેથી ઝડપી લીધા હતા. તેમણે એવી કબૂલાત કરી હતી કે રિટાદેવીની હત્યામાં મદદરૂપ થવા માટે અજયકુમારે રૂ. ૨૦,૦૦૦ આપવાનું નક્કી કર્યું હતું.
પટેલને અજયકુમાર છેલ્લાં પાંચ વર્ષથી ઓળખતો હોવાથી તેને સાથે લીધો હતો. તેમને એડવાન્સમાં રૂ. ૨૦૦૦ આપ્યા હતા. ૧પ દિવસ સુધી યોજના બનાવી હતી. આખરે ૧૭ ઓગસ્ટે શરાબની વ્યસની પત્નીને અજયકુમારે ખૂબ દારૂ પિવડાવ્યો હતો. આ પછી તેના મારાઓ સાથે ત્રણેય રિક્ષામાં રિટાદેવીને અંબુજવાડી ખાડી નજીક લઈ ગયા હતા. રિક્ષામાં જ તેનું માથું ધડથી અલગ કરીને લાશ ફેંકી દીધી હતી.
અજયકુમારને પત્ની અનૈતિક સંબંધ રાખે છે એવી શંકા હતી. આથી તેણે તેની હત્યાની યોજના બનાવી હતી. મૃતક બારમાં નોકરી કરતી હતી. તે અને ત્રણેય આરોપીઓ બિહારના વતની છે, એમ પોલીસે જણાવ્યું હતું.






