શનિવારે ઔરંગાબાદ મહાપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષપદને મુદ્દે શિવસેના અને ભાજપ વચ્ચે વિવાદ થયો હતો. એ વિવાદ ઉગ્ર બનતાં પાલિકામાં શિવસેનાના નગરસેવકોએ તોડફોડ કરી હતી.
ભાજપના રાજુ શિંદેએ કોંગ્રેસના સમર્થનથી ઔરંગાબાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિનું અધ્યક્ષપદ મેળવ્યું હતું. તેથી ચિડાયેલા શિવસૈનિકોએ શિંદેનું રાજીનામું માગ્યું હતું. પરંતુ શિંદેએ શિવસેનાની માગણીને ગણકારી નહોતી. તેમણે તરત જ સ્થાયી સમિતિની બેઠક યોજીને કામકાજ શરૂ કર્યું હતું. તેથી ઉશ્કેરાયેલા શિવસૈનિકોએ બારીઓના કાચ ફોડયા હતા અને ખુરશીઓ ફેંકી હતી અને કાગળ ફાડી નાખ્યા હતા.
આ ભાંગફોડ કાર્યવાહીમાં અધ્યક્ષ નગરસેવક આગા ખાને પણ સાથ આપ્યો હતો. જોકે શિવસૈનિકોએ લોકહિત માટે ભાંગફોડ કર્યાનો દાવો કર્યો હતો. આ ભાંગફોડમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. પરંતુ સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજુ શિંદેએ એ તરફ દુર્લક્ષ કરતાં ચર્ચા વિના ૧.૩૮ અબજનો જકાતનો ઠરાવ મંજુર કર્યો હતો.
દરમિયાન શિવસેનાના સાંસદ ચંદ્રકાંત ખૈરેએ પક્ષના નગરસેવકો દ્વારા કરાયેલી ભાંગફોડને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજુ શિંદેને કોંગ્રેસની હિમાયત કરતો હોવાથી ભાજપના પ્રમુખ દ્વારા પણ રાજીનામું આપવા માટે કહેવાયું હતું, પરંતુ તેણે મનમાની ચલાવી હતી અને કોંગ્રેસને સાથ આપીને ઠરાવ પસાર કર્યો હતો.
તેણે શિવસેના અને ભાજપના નગરસેવકોની બહુમતી હોવા છતાં વાત સાંભળી નહોતી. આથી નગરસેવકો ઉશ્કેરાયા હતા. આથી આ ભાંગફોડ માટે તેઓ પણ જવાબદાર છે. દરમિયાન પોલીસે આવીને ભાંગફોડિયા નગરસેવકોની ધરપકડ કરી હતી. પોલીસ ગૃહમાં આવી જ કઈ રીતે એવો સવાલ પણ ખૈરેએ ઉઠાવ્યો હતો.