પુણે- મુંબઈ હાઈવે પર શનિવાર મધરાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં છ જણનાં મોત થયાં હતાં, જ્યારે ૧૧ જણ ઘાયલ થયા હતા. મૃતકો અને ઘાયલોમાં પુણે વિસ્તારના રહેવાસીઓનો સમાવેશ થાય છે. આ સૌ ખાનગી પ્રવાસી કંપની મારફત વિદેશમાં સહેલગાહ જવા માટે નીકળ્યા હતા.
આ માર્ગ અકસ્માતમાં મીનાક્ષી અભિજિત મહાજની (ઉ. વ. ૫૦), વિજયેંદ્ર ગોપાળકૃષ્ણ મઠકર, સંજય ટિકલે, અનુજા ટિકલે, અશોક જાધવ, પ્રતીક જોશીનો સમાવેશ થતો હતો, જ્યારે ઘાયલ ૧૧ જણને પિંપરી ચિંચવડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં અમુકની હાલત અત્યંત ગંભીર હોવાનું પોલીસે જણા્યું હતું.
પુણેની ગિરકિંદ ટ્રાવેલ્સ કંપની મારફત આ દસ દિવસની સહેલગાહ નીકળી હતી. થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપોર એમ નાતાલની રજાઓ નિમિત્તે આ સહેલગાહ નીકળી હતી. મુંબઈ એરપોર્ટ પરથી તેઓ થાઈલેન્ડ જવાના હતા. આ માટે કંપનીની બસમાં ૧૭ જણ નીકળ્યા હતા.
લોનાવાલા નજીક એક ખાડામાં બસનું પૈડું ફસાઈ ગયા બાદ ટાયર ફાટયું હતું. આને કારણે બસ વિરુદ્ધ દિશામાં જઈને પલટી ખાઈ ગઈ હતી. તે સમયે મુંબઈ તરફથી આવતા એક ટ્રકે તેમની બસને જોરદાર ઠોકર મારી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.