વિદેશથી દૂધનો પાઉડર, ઘી અને અન્ય દુગ્ધજન્ય પદાર્થો આયાત કરવાના કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયનો કિસાન સંગઠન, દૂધ ઉત્પાદક સંગઠન અને શિવસૈનિકોએ દૂધના ટેન્કરને અટકાવીને દૂધને રસ્તાની વચ્ચોવચ ઢોળી દઈને નોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
કિસાન સંગઠનના નેતા શંકરરાવ ગોડસે, ખચાવ તાલુકાના અધ્યક્ષ બાપુરાવ ભોઈટે, લાલાસાહેબ સાબળેની સાથે કિસાન સંગઠન અને દૂધ ઉત્પાદકોના સેંકડો સમર્થકો દૂધના ત્રણ ટેન્કર્સને ક્રાંતિસિંહ નાના પાટીલ ચોક નજીક અટકાવીને સેંકડો લિટર દૂધને વહાવી દીધું હતું. પોલીસે આ સંદર્ભે શિવસેનાના વિરાજ ખરાડે અને અન્ય સમર્થકોને તાબામાં લીધા હતા.
દેશમાં દૂધના પાઉડરના દરને ઉતારવા સારુ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે વિદેશથી ૩૦ હજાર ટન દૂધનો પાઉડર ૧૪૭ રૂપિયે કિલો અને ૨૬૦ રૂપિયાના કિલોના ભાવે ઘીની ખરીદી કરી છે તેમ જ તેની ઉપર આયાત કર રદ કર્યો હતો અને કેન્દ્ર તે માટે સબસિડી પણ પૂરી પાડવાની છે.
૧૮ ઓગસ્ટના રોજ દુગ્ધજન્ય પદાર્થ લઈને આવનારું જહાજ મુંબઈ પહોંચવાનું છે. જોકે કિસાન સંગઠન જહાજમાંથી આ માલને ઊતરવા નહી દે એવો નિર્ધારશંકરરાવ ગોડસેએ વ્યક્ત કર્યો હતો.