આ રહ્યા શુક્રને પ્રસન્ન કરવાના સચોટ ઉપાયો
Yog Darshanam, Shastri Vinod Pandya
| Jul 26, 2012, 00:17AM IST

શુક્રને ભૃગુ, દૈત્યગુરુ, સૌમ્ય વગેરે નામોથી ઓળખવામાં આવે છે. શુક્ર સુંદરતાનો ગ્રહ છે. જન્મકુંડળીમાં શુક્ર જે ગ્રહની સાથે આવે તેવું ફળ આપે છે. મોટાભાગના ગાયક કલાકારો, સંગીતકારોની કુંડળીમાં શુક્ર+ચંદ્રનો યોગ જોવા મળે છે. મોટાભાગના મહાન ડોક્ટરોની કુંડળીમાં શુક્ર+મંગળનો યોગ જોવા મળે છે.
મોટાભાગના દુ:ખી લગ્નજીવનવાળાની કુંડળીમાં શુક્ર+રાહુ, શુક્ર+શનિ, શુક્ર+મંગળનો યોગ અવશ્ય જોવા મળે છે. મોટાભાગના ફિલ્મ અભિનેતાઓની કુંડળીમાં શુક્ર ઉપર ગુરુની દ્રષ્ટિ જોવા મળે છે. હેમા માલિનીની કુંડળીમાં શુક્ર ઉપર ગુરુની દ્રષ્ટિ છે. માલાસિંહાની કુંડળીમાં પણ શુક્ર ઉપર ગુરુની દ્રષ્ટિ છે. મહાન અભિનેતા રાજેશ ખન્નાની કુંડળીમાં પણ શુક્ર ઉપર ગુરુની પૂર્ણ દ્રષ્ટિ છે.
શુક્ર ઉપર રાહુની દ્રષ્ટિ હોય તો કરાડું, બિહામણું રૂપ આપે છે. લલિતા પવારની કુંડળીમાં શુક્ર+રાહુની યુતિ છે. શુક્ર શુભ ગ્રહ છે. જેની કુંડળીમાં શુક્ર શુભ સ્થિતિમાં હોય કે ઉચ્ચસ્થિતિમાં હોય તેવી વ્યક્તિઓ આદર્શ શિક્ષક, અભિનેતા, સંગીતકાર, ભોગવિલાસમાં ડૂબેલા જોવા મળે છે. મોટામોટા કથાકારો, જયોતિષીઓ, કમિશન એજન્ટો, કેળવણી અધિકારીઓ, દૂધની વસ્તુઓ વેચનાર, કાપડનો કે હીરાનો ધંધો કરનારા, મોટી હોટલોના માલિકો, છેલછબીલા, રંગીલા, દારૂના વ્યસની, અનેક સુંદર લલનાઓ સાથે સંબંધ રાખનાર, કપડાંના શોખીન, આ બધી વસ્તુઓ ઉપર શુક્રની અસર જોવા મળે છે. શુક્ર વિશે કહેવાય છે. ‘ટોળે વળતી નારીઓ શુક્રદેવ આસપાસ, મીઠા સંગીત સૂરની પડાપડી બહુ થાય.’
અભિનેતા રાજેશ ખન્નાની કુંડળીમાં પણ શુક્ર બળવાન હતો માટે સ્ત્રીઓ તરફી આકર્ષણ ઊભું કરી શકતો, પરંતુ શુક્ર વ્યસની બનાવે છે માટે વ્યસનથી શરીરને ખુવાર કરીને પસ્તાય છે. કુંડળીમાં શુક્ર બળવાન બને તો કેટલીક મુશ્કેલીઓ પણ ઊભી થાય છે. ખોટા ખર્ચા કરવા, અનેક મિત્રો રાખવા, બીજાના માટે જામીન બનવું, અનેક સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવો, અચાનક પોતાનું કાર્યક્ષેત્ર છોડીને પલાયન થઇ જવું, પૈસા ન હોય તો પણ ખોટો ભભકો ઊભો કરવો, મિત્રોથી વિશ્વાસઘાત મેળવવો વગેરે.
આજે આપણે સાતથી બાર સ્થાનમાં રહેલા શુક્રની ચર્ચા કરીશું. જેની કુંડળીમાં સાતમા ભાવે શુક્ર હોય તો ગંદા, દૂષિત પાણીમાં ફૂલો પધરાવવાં, લાલ રંગનાં વસ્ત્રો પહેરવાં, ગાયોની સેવા કરવી, કાંસાના વાસણનું દાન શુક્રવારે કરવું, સ્ત્રી બીમાર પડે તો તેના વજનની જુવાર અથવા ચોખા પક્ષીઓને નાખવાં, માતા-પિતાના આશીર્વાદ લેવા. શુક્ર આઠમા સ્થાને હોય તો લગ્ન પચીસ વર્ષ પછી કરવાં, કોઇના સોગંદ ન લેવા, કોઇના સાક્ષી ન બનવું, ગાયને ઘાસ નીરવું, કોઇનું ધન ન લેવું, કોઇનું મફત કે ધમૉદું ન ખાવું, શત્રુઓથી બચવું.
શુક્ર નવમા સ્થાને હોય તો સફેદ વસ્ત્રો વધારે પ્રમાણમાં પહેરવાં, ઘરની છતમાં ચાંદી અને મધ રાખવું, ગળામાં ચાંદીનો સિક્કો ધારણ કરવો, લીમડાના વૃક્ષની નીચે તાંબાનો સિક્કો અને મધ દાટવાં, કાળી કે લાલ ગાયની સેવા કરવી. શુક્ર દસમા સ્થાને હોય તો વ્યસનથી દૂર રહેવું, પર સ્ત્રીગમન ન કરવું, માંસ, મચ્છી ન ખાવાં, પૂર્વ દિશા તરફ મુખ રાખીને દસ મિનિટ શિવનું ધ્યાન કરવું, ઘરની કોઇપણ દીવાલ કાચી રાખવી, વધારે પડતી કામવાસનાથી બચવું, ચાંદીના પાત્રમાં જળ પીવું.
શુક્ર અગિયારમે હોય તો લીલા રંગની વસ્તુનું દાન કરવું, શનિવારે તેલનું દાન કરવું, મંદિરમાં રૂ અને ઘીનું દાન કરવું, ઘરની સ્ત્રી ઉપર ક્રોધ ન કરવો. શુક્ર બારમે હોય તો સ્ત્રીઓનું માન-સન્માન કરવું. પત્નીના નામે દાન, પુણ્ય કરવું તથા પત્નીની રાશિ પ્રમાણે ધંધાના સ્થળનું નામ રાખવું, પર સ્ત્રીના ચક્કરમાં ન પડવું, કાળી વસ્તુનું દાન કરવું. શુક્રને પ્રસન્ન કરવા માટે શિવજીની ઉપાસના કરવી, દેવરાજ ઇન્દ્રને પ્રણામ કરવા, મૃત્યુંજય મંત્રની એક માળા કરવી.
યોગદર્શનમ્ શાસ્ત્રી વિનોદ પંડ્યા
shashtri.pandya99@gmail.com






