રોટલીનો જોગ કરવામાં ભૃગુસંહિતાનું એ જ સ્થાન છે, જે ફેક્ટરીનું ટર્નઓવર વધારવામાં ધર્મશાળાના દાનનું.
વાસ્તુશાસ્ત્ર એનું થાય, જેની પાસે વાસ્તુ હોય. સલામતીનો ડર એને હોય, જેની તિજોરી છલોછલ ભરેલી હોય. દીવો એ પ્રગટાવે છે, જેને ઘીની ફેક્ટરીમાં નુકસાન જવાની આશંકા હોય. એન. ટી. રામારાવને જ્યોતિષીઓએ સૂચવ્યું એટલે વિધાનસભા સચિવાલયનો દરવાજો બદલાવી નાખેલો. જયાં નવું ઘર બનાવવામાં આવ્યું ત્યાં સેંકડો આમઆદમીની વસતિ ખાલી કરાવવી પડી. મુખ્ય પ્રધાનનું ભાગ્ય સુધારવા માટે જનતાનું ભાગ્ય બગડી ગયું.
ભાગ્ય એટલી જ દિલચસ્પ ચીજ છે. જીવન, જગત, જિજ્ઞાસામાં કિસ્મતનો મોટો ફાળો હોય છે. અકસર પૂછવામાં આવે છે કે અમુક લોકો સોનાના ચમચા સાથે જન્મે છે, તો કેટલાક લોકોને ક્ષુધા સંતોષવા દૂધ પણ નથી મળતું. શું આ કિસ્મત નથી? પંડિતો કહી દેશે કે ના, આ કર્મફળ છે. અમુક અમીરીના વાવટા ફરકાવતા શોષણનો અમર ઇતિહાસ લખે છે, એમના વિશે પંડિતો કોઇ નવું કર્મફળ શોધી કાઢે છે.
આપણે જીવવું છે એટલે જીવન, જગત, જિજ્ઞાસા આપણા જીવનનો હિસ્સો છે. કાલે શું થશે એની આપણને ચિંતા રહે છે. કારણ કે આપણે કાલને બચાવી રાખવી છે. આજે પ્રેમિકાનો પત્ર મળશે કે નહીં, એ દૈનિક રાશિભવિષ્ય વાંચવાવાળા લખ્યે જ રાખે છે. સોમાંથી એકને પણ આ રાશિ ફિટ થઇ ગઇ તો એ રોજ વાંચશે. જેમ કોઇ વ્યક્તિ સિક્કો ઉછાળીને ભવિષ્યવાણી શરૂ કરી દે તો અડધાને કહી શકે કે છોકરી જન્મશે, અડધાને કહી શકે કે છોકરો થશે. આમાંથી અડધું સાચું પડ્યું તો એ તેના ભક્ત બની જશે. ભક્તિ ગુણાત્મક ફોમ્ર્યુલામાં ચાલે છે અને મૌખિક પ્રચારતંત્રથી ધર્મશાળા, કળશ કે મિનારાનાં સોના-ચાંદી વરસવા લાગે છે.
ડર, અમીરીને અમીરો સાથે ચીટકાવી રાખે છે. આથી જ ચોરો પણ ભગવાનને નવા પ્રોજેકટમાં સફળતા માટે પ્રસાદ ચઢાવવાની માનતા માનવાનું નથી ચૂકતા.નવા સમયમાં, નવા સંશયોના યુગમાં, અમુક એવી રીતરસમો વિકસી છે, જે ઘણા લોકોને વધુ રહસ્યમય લાગે છે. તેમના વિશે માહિતી આવતી રહે છે. ત્યાં સુધી કે કેટલાય લોકો સંશય સાથે પૂછે છે કે આ ટેરો કાર્ડ વળી કઇ બલા છે? ભૃગુસંહિતા કયાં છે? બજારમાં બેફામ વેચાતી કોઇ લાલ કિતાબનો ઇતિહાસ ખબર છે? સ્વાભાવિક છે કે પારંપરિક જ્યોતિષશાસ્ત્રથી અલગ આ બહુપ્રચારિત વિધિઓના કાર્ય-તંત્રને સમજવું એ એક રીતે આપણા દ્રષ્ટિકોણથી મૂલવવા સમાન છે.
ટેરો કાર્ડની ઇજિપ્તથી આવેલી પદ્ધતિને હું પત્તાંની જેમ ચીપીને તાંત્રિક ભાવનાઓની ચાઇએ વાંચવાનું શરૂ કરું કે અંકશાસ્ત્રના હિસાબે નામમાં ‘ખ્’ ને બદલે ‘ર’ કરી દઉં, અગર ભાગ્ય છે તો એ લખાયેલું જ હશે અને એ લખાયેલું હશે તો થઇને જ રહેશે. આવું નિશ્વિત જ હોય તો પછી જોડણી પણ શા માટે બદલવી જોઇએ? અલબત્ત, મનનાં રહસ્યમય પડળોમાં કલ્પનાના ગાઢ અંધારાં-અજવાળાં કયાં ચૂંબકની શોધ કરી રહ્યા છે, એની એક રોમાંચક યાત્રા થઇ શકે છે.
સાચી યાત્રા તો એ કરે છે, જેની પાસે ટિકિટ છે અને જેને મંજિલની ખબર છે અથવા તો એ જે વગર ટિકિટે દુનિયાનો ખુણે-ખુણો ખૂંદી વળવા માગે છે. પહેલા મુસાફર હોય છે, બીજા મનના માલિક.રોટલીનો જોગ કરવામાં ભૃગુસંહિતાનું એ જ સ્થાન છે, જે ફેક્ટરીનું ટર્નઓવર વધારવામાં ધર્મશાળાના દાનનું.બંનેની સચ્ચાઇ પારખવામાં મૂળ તત્વ જળવાઇ રહે એ માટે આ બાજી રમવાની છે, ચાલો બાજી ચીપી લઇએ...