મોંઘીભાભી એકત્રીસ ઘર ફર્યા ત્યારે માંડ અગિયાર રૂપિયાની ભીખ મળી. એકત્રીસ ઘરે જવાનું રિક્ષાભાડું ત્રણસો સિતેર રૂપિયા થયું અને બારસો રૂપિયાની સાડી ફાટી ગઇ તે નફામાં.
અમદાવાદમાં થોડા સમય પહેલાં એક અંધશ્રદ્ધા ફેલાઇ હતી. જે દંપતીને એક જ સંતાન હોય અને એ દીકરો હોય તો દીકરાની માતાએ અગિયાર ઘરેથી એક-એક રૂપિયાની ભીખ માગીને એનું શ્રીફળ લઇને વધેરવું. જો એમ નહીં કરો તો દીકરા ઉપર આફતના ઓળા ઊતરશે. આ સાંભળીને ઘણાં મા-બાપે પારકા પૈસે નાળિયેર વધેયાઁ પરંતુ જેમણે વધેયાઁ નથી એમના દીકરાને નાનકડી ઠેશ પણ વાગી નથી.
અંબાલાલ જન્મ પહેલાંથી અંધશ્રદ્ધાળુ છે. એ પોતાની માતાના પેટમાં પડ્યો પડ્યો વિચારતો હતો કે જે મહિનામાં તેર તારીખ આવતી હોય એવા મહિનામાં અવતરવું નથી, ત્યારબાદ એને કેવળજ્ઞાન થયું કે દરેક મહિનામાં તેર તારીખ તો હોય જ છે એટલે એણે વિચાર કર્યો કે જે દિવસે તેર તારીખ, અમાસ, કમૂરતા, વીંછુડો, પંચક, પિતૃમાસ, અધિકમાસ, ગ્રહણ જેવું કશું ન હોય એવા ચોખ્ખા દિવસે જ પેદા થવું છે.
આ કારણે એને પરભાકાકીના પેટમાં પંદર દિવસ વધુ રોકાવું પડ્યું અને સાડા નવ મહિને માંડ રિલીઝ થયો.
અંબાલાલ ભલે અંધશ્રદ્ધાળુ અને અક્કલમઠ્ઠો હોય પણ એનો દીકરો પિન્ટુ ઓવરસ્માર્ટ છે. આ પિન્ટુએ જન્મતાની સાથે જ દાકતરને કહ્યું કે મને એક મિનિટ તમારો સેલફોન આપશો? હું ભગવાનને મિસકોલ મારી દઉં એટલે એમને ખબર પડી જાય કે હું પહોંચી ગયો છું.
અંબાલાલને સંતાનમાં પિન્ટુ એક જ હોવાથી એણે મોંઘીભાભીને કહ્યું કે તારે આજ ને આજ અગિયાર ઘરેથી રૂપિયો માગીને શ્રીફળ વધેરવાનું છે. ભાભીને થયું કે એકવાર છાલ ઊતર્યા વગરનું નાળિયેર આ ટાલિયાનાથની ટાલમાં વધેરી નાખું તો પર્મેનન્ટ શાંતિ મળી જાય પણ બિચારી ભારતીય નારી અને એમાંય ગુજરાતણ એટલે અનિચ્છાએ અગિયાર ઘરે ભીખ માગવા નીકળી. ગુજરાતમાં ઘણી સ્ત્રીઓને પોતાનો પતિ જરાપણ અનુકૂળ નથી છતાં કડવા ચોથનું વ્રત કરે છે એ નારીસહજ ઉદારતા છે.
મોંઘીભાભી સૌથી પહેલાં ભોગીલાલના ઘરે ગયાં. ભોગિયાની ભાર્યા બોલી કે તમને રૂપિયો આપવાની ના નથી પણ મારા સસરાનો રૂપિયો જ ખોટો છે. તમારા ભાઇ કંડકટર હોવાથી આખી દુનિયાના દોકડા ઉઘરાવે છે પણ ઘરે ફૂટી કોડી આપીને જતા નથી. મેં કેટલીવાર કહ્યું કે તમે પગાર ઘરે ન આપો તો કઇ નહીં પણ કટકી કરો એ તો આપો, પણ તમારા ભાઇ એક ટળીને બે થતા નથી. અત્યારે એમની ગેરહાજરીમાં એમનાં મા-બાપમાંથી એકાદ ગુજરી જાય તો એમના મોઢામાં મૂકવા રૂપિયો નથી.ભાભીને થયું કે મારા ભોગ લાગ્યા કે હું ભોગીલાલના ઘરે ગઇ, ત્યાંથી ભડકીને ભાભી ચુનીલાલના ઘરે ગયાં.
ત્યાં ચુનીપત્નીએ ખોટા મોઢે આવકાર આપ્યો અને કાલથી કામવાળી આવતી નથી એનો કાળો કકળાટ ચાલુ કર્યો. હજી આ વાત ચાલુ હતી ત્યાં ચુનિયાના છોકરાએ બોર લેવા માટે પચાસ પૈસા માગ્યા. દીકરાએ વાતમાં વિક્ષેપ પાડીને આઠ આના માગ્યા એમાં ચુનીવામાએ છોકરાને એવો માર્યો કે એનો શ્વાસ અધ્ધર ચડી ગયો. મા-દીકરા વચ્ચે પડવા ગઇ એમાં મોંઘીભાભીની સાડી ફાટી ગઇ અંતે એણે નક્કી કર્યું કે જે પેટના જણેલાને પચાસ પૈસા ન આપે એ પારકાને રૂપિયો ક્યાંથી આપે?
છતાં આપે તો એ કચવાતા મનથી આપેલા કાવડિયાથી મારા દીકરાનું ભલું થાય એ વાતમાં માલ નથી. મોંઘીભાભી ચુનીલાલના ઘરે ચોખવટ કર્યા વગર મારા ઘેર આવ્યાં. મારા શ્રીમતીજીએ તરત જ કબાટમાંથી હજાર રૂપિયાની નોટ કાઢીને કહ્યું કે તમારા ભાઇ કાર્યક્રમમાં ગયા ત્યારે આ એક નોટ આપીને ગયા છે. તમારી પાસે નવસો નવ્વાણું રોકડા હોય તો મને રૂપિયો આપવામાં વાંધો નથી.
આ રીતે મોંઘીભાભી એકત્રીસ ઘર ફર્યા ત્યારે માંડ અગિયાર રૂપિયાની ભીખ મળી. અગિયાર રૂપિયા એકઠા કરવામાં સવારથી સાંજ પડી ગઇ. એકત્રીસ ઘરે જવાનું રિક્ષાભાડું ત્રણસો સિતેર રૂપિયા થયું અને બારસો રૂપિયાની સાડી ફાટી ગઇ તે નફામાં. આ સંકટયાત્રામાં ભાભીને થયું કે આ કરતાં એક બાળક વધુ જણી નાખ્યું હોત તો સારું હતું. આ રીતે ઉઘરાવેલા રૂપિયાનું શ્રીફળ લાવીને વધેર્યું ત્યાં જ કોઇ ખબર લાવ્યું કે તમારો પિન્ટુ પતંગ પકડવા જતાં પડી ગયો છે.