ધીરુભાઇ અંબાણીનો પરિવાર પોતાના વતનમાં આવ્યો એમાં અંબાલાલ સપનામાં ચોરવાડ પહોંચી ગયો. જેવો એસ.ટી. ડેપો ઉપર ઊતર્યો ત્યાં મુકેશભાઇએ અંબાલાલને બુકે આપ્યો અને અનિલભાઇએ તરત જ કહ્યું કે અંબાલાલભાઇ, આ રીતે બસમાં હેરાન થવાતું હશે? મને ફોન કર્યો હોત તો મારું ચાર્ટર્ડ પ્લેન તમને સુરેન્દ્રનગર આવીને લઇ જાત.
સૂરજ તપી જાય ત્યાં સુધી ભૂંડની માફક ઊંઘવું એટલે ઘોરવું અને જ્યાં પારકું ભોજન મળે ત્યાં અકરાંતિયાની માફક જમવું એટલે ગળચવું એ અંબાલાલની હોબી છે. શિયાળામાં એના બંને શોખ સોળે કળાએ ખીલી ઊઠે છે. અંબાલાલને સપનાં પણ સૂવાનાં અને ખાવાનાં આવે છે.થોડા સમય પહેલાં ધીરુભાઇ અંબાણીનો પરિવાર પોતાના વતનમાં આવ્યો એમાં અંબાલાલ સપનામાં ચોરવાડ પહોંચી ગયો. જેવો એસ.ટી. ડેપો ઉપર ઊતર્યો ત્યાં મુકેશભાઇ અને અનિલભાઇ પરિવાર સાથે અંબાલાલની રાહ જોઇને ઊભા હતા. મુકેશભાઇએ અંબાલાલને બુકે આપ્યો અને અનિલભાઇએ તરત જ કહ્યું કે અંબાલાલભાઇ, આ રીતે બસમાં હેરાન થવાતું હશે? મને ફોન કર્યો હોત તો મારું ચાર્ટર્ડ પ્લેન તમને સુરેન્દ્રનગર આવીને લઇ જાત.
નીતાભાભીએ અંબાલાલના કપાળમાં કુમકુમ તિલક કર્યું ત્યાં ટીનાભાભી મોહનથાળનો થાળ લઇને આવ્યાં અને અંબાલાલના મોઢામાં બટકું મૂકર્યું ત્યાં તો અંબાલાલે આખો થાળ હાથમાં લઇ લીધો અને ચોરવાડના એસ. ટી. ડેપોમાં ઊભો ઊભો આખો થાળ ઝાપટી ગયો. અંબાલાલે મને આ સપનાની વાત કરી એટલે મેં તરત જ કહ્યું કે તારે ક્યાં મીઠાઇ ખરીદવાની હતી, એ તો અંબાણી પરિવારને લાવવાની હતી. મોહનથાળ બદલે બદામપાક, કાજુકતરી કે ડ્રાયફ્રુટ હલવો ન રખાય? ત્યારે સપનાનો સોદાગર બોલ્યો કે એવું આપણે ક્યારેય ખાધું ન હોય એટલે પચે નહીં. એના કરતાં મોહનથાળ જાણીતો તો ખરો.
એકવાર અંબાલાલના સપનામાં કુંવારી ઐશ્વર્યા રાય આવી તો અંબાલાલ એને ચોટીલા હાઇવેના ધાબામાં જમવા લઇ ગયો. ઐશ્વર્યાને બાજરીનો રોટલો, રિંગણાનો ઓળો, દહીંનું ઘોળવું અને તળેલાં મરચાં લેવડાવ્યાં. મેં કહ્યું કે જેમણે આખી જિંદગી બ્રહ્નચર્યનું પાલન (?) કર્યું હોય એવા પુણ્યશાળી (?)ના સપનામાં મિસવર્લ્ડ આવે એના બદલે તારા સપનામાં આવી તો એને અમદાવાદની હાઇફાઇ રેસ્ટોરાંમાં જમવા લઇ જવાય. અંબાલાલ મને કહે મારી ઇચ્છા તો એવી કોઇ મોંઘી રેસ્ટોરન્ટમાં જ લઇ જવાની હતી પણ... આપણે જે રેસ્ટોરન્ટ જાગતા જોઇ ન હોય એટલે સપનામાં એનો રસ્તો જડે નહીં, જ્યારે ચોટીલાના ધાબામાં માલિકથી માંડીને વેઇટર સુધી બધા આપણા ઓળખીતા હોય એટલે બિલ બાકી રાખવું હોય તો પણ વાંધો નહીં.
એકવાર સપનામાં અંબાલાલ અગિયાર વાગે જાગ્યો. બંધ આંખે દાદરો ઊતરી નીચે આવ્યો. બગાસાં ખાતાં ખાતાં બ્રશ કરીને બે કપ ચા પીધી ત્યારે તો માંડ એની આંખ ઊઘડી. ત્યારબાદ લીટાવાળો લેંઘો અને ઉપર એવા કાપડનો શર્ટ પહેરીને છાપું વાંચવા બેઠો. છાપામાં આખા પાનાની જાહેરાત હતી કે જે દંપતીને બે બાળકો હશે એમને લાવારીસ આવાસ યોજના અંતર્ગત મફત મકાન મળશે.
અંબાલાલને પોતાની માલિકીનો પિન્ટુ એક જ છે.
એને થયું કે બે બાળકો બદલે એક જ બાળક હોય તે ભારત જેવા વસ્તીપ્રધાન દેશ માટે સારી બાબત ગણાય અને નિસંતાન હોવું એ તો સિદ્ધિ ગણાય તેથી સરકાર બે બાળકોવાળાને ૨ઇઋછ મકાન આપશે તો મારા જેવા એક બાળકવાળાને ૩ઇઋછ અને નિ:સંતાન દંપતીને ૪ઇઋછ આપશે. છતાં અંબાલાલે ખાતરી કરવા પડોશમાં રહેતા એક સરકારી કર્મચારીને પૂછ્યું કે અમારે એક જ સંતાન હોવાથી અમને લાવારીસ આવાસ યોજના અંતર્ગત મકાન મળે કે નહીં? મુંબઇની આદર્શ સોસાયટી જેવા આદર્શને વરેલો કર્મચારી જાડા કાચનાં ચશ્મા પાછળ ઝીણી આંખ કરીને બોલ્યો કે પરપિત્રમાં બે બાળકો હોય તેમને મકાન આપવું તેમ સ્પષ્ટ લખ્યું હોવાથી બેથી ઓછા કે વધુ બાળકોવાળાને સહાય મળવાપાત્ર ગણાય નહીં.
ત્યારબાદ અંબાલાલે બીજો સવાલ કર્યો કે આ યોજના ક્યાં સુધી અમલમાં રહેશે? જો એકાદ વરસની મહેતલ આપો તો મહેનત કરી છુટવાની તૈયારી છે. અમે બીજા બાળક માટે નિષ્ઠાભર્યા પ્રયાસો કરવાની ખાતરી આપીએ છીએ. આ સાંભળી નિષ્ઠારહિત કર્મચારી આંખ મારતાં બોલ્યો કે ચૂંટણી નજીક છે જો સરકાર ફરી જાય તો યોજના મરી જાય. અંબાલાલને થયું કે મારા પિતાજીની એક પણ ઇચ્છા પૂરી કરી શક્યો નથી પરંતુ એમની ઘરના ઘરમાં મરવાની ઇચ્છા પૂરી કરી શકું તો કેટલું સારું? અંબાલાલે પોતાના એકમાત્ર બાપને પૂછ્યું પણ ખરું કે ઘરના ઘરમાં મરવાની અંતિમ ઇચ્છા બાદ આપની કોઇ ઇચ્છા ખરી? આ સાંભળી ભીખાલાલે ઘરનું ઘર ન મળે તો પણ મરવાની તૈયારી શરૂ કરી દીધી.
અંતે ઘરના ઘરની ઘેલછામાં અંબાલાલ જીવ ઉપર આવી ગયો. એણે પત્ની પાસે પોલ ખોલી નાખી કે બાજુમાં રહેતો ચિન્ટુ મારો દીકરો છે. હું અત્યારે જ ચિન્ટુને લઇ આવું છું. અંબાલાલ ચિન્ટુને લઇને આવ્યો તો ઘરમાં પિન્ટુ નહોતો. અંબાલાલે પત્નીને પૂછ્યું કે પિન્ટુ ક્યાં ગયો ત્યારે મોંઘીભાભી બોલ્યાં કે એ જેનો હતો તે મકાન માટે લઇ ગયા.પત્નીના મુખેથી ડી.એન.એ. રિપોર્ટ જેવું વાક્ય સાંભળીને અંબાલાલની ઊંઘ ઊડી ગઇ. એમ પણ કહેવાય કે આંખ ઊઘડી ગઇ. એણે ગોદડામાંથી મોઢું બહાર કાઢીને જોયું તો પિન્ટુ અને ચિન્ટુ બંને વીડિયોગેમ રમતા હતા.