સંગીત આપણા મન-મગજ પર અને શરીર પર સકારાત્મક અસરો કરે છે. ભારતમાં માનસિક અને શારીરિક સજ્જતા માટે સંશોધનો પછી દુનિયાભરમાં મ્યુઝિક થેરપી વિશે સજાગતા વધવા લાગી છે.
કેરળનાં માછીમાર મા-બાપને ઘેર જન્મેલી રાધિકા નામની છ વરસની છોકરીને અલાપુઝા નામના ગામની હોસ્પિટલમાં બેભાન હાલતમાં દાખલ કરવામાં આવી ત્યારે તેની હાલત નાજુક હતી. રાધિકાના ગળામાં શાલ વીંટળાઇ જતાં તેને શ્વાસોશ્વાસની ગંભીર તકલીફ થઇ હતી. ડોક્ટરના કહેવા પ્રમાણે એને લીધે એના મગજ પર અસર થવાથી એના જ્ઞાનતંતુઓ પર અસર થઇ હતી અને તે યાદદાસ્ત પણ ગુમાવી બેઠી હતી. ડોક્ટરોએ એના બચવાની આશા છોડી દીધી હતી, પરંતુ તે હોસ્પિટલના બાળનિષ્ણાત ડોક્ટર ગિરિજા મોહને રાધિકા માટે સંગીત દ્વારા સારવાર આપવાની પદ્ધતિ કામયાબ નીવડે કે કેમ તે જોવાના પ્રયત્નો શરૂ કર્યા.
મા-બાપે જણાવ્યું હતું તેમ રાધિકાને ગીતો સાંભળવાં બહુ ગમતાં હતાં. રાધિકાને કૃષ્ણને લગતાં ગીતો સાંભળવાં બહુ ગમતાં તેવું પણ જણાવવામાં આવ્યું હતું. ડૉ. મોહને રાધિકાના કાન પર ઇયરફોન લગાવીને તેને સંગીત સંભળાવવું શરૂ કર્યું. તે માટે એમણે ધાંધલધમાલ વિનાનું શાંત પ્રકારનું વાધ્યસંગીત પસંદ કર્યું. થોડા સમય પછી સંગીત સાંભળતાં-સાંભળતાં રાધિકા આંખો ઝપકાવવા લાગી, વચ્ચેવચ્ચે સ્મિત કરવા લાગી, પછી કોઇ એને નામથી બોલાવે તો તેનો પ્રતિસાદ પણ આપવા લાગી. ધીરેધીરે મા-બાપ એને વરંડામાં લઇ જવા લાગ્યાં અને તેની સાથે વાતો પણ કરવા લાગ્યાં. બે મહિના પછી રાધિકા પહેલીવાર થોડાં ડગલાં ચાલી પણ શકી છે. ડોક્ટર રાધિકાને સંગીત દ્વારા સારવાર આપવાની સાથે બીજા પ્રકારની આવશ્યક સારવાર પણ આપી રહ્યાં છે.
થોડાં વરસો પહેલાં જેરમી નામના એક વિદેશીના એપાર્ટમેન્ટમાં કેટલાક ગુંડાઓ ઘૂસી ગયા. એમણે જેરમીને ઘાતકી રીતે માર માર્યો, તેને સળગાવી દીધો અને મરતો છોડી નાસી ગયા. સદ્નસીબે જેરમી બચી તો ગયો, પરંતુ એના બંને હાથમાં ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હોવાથી બંને હાથ કાપી નાખવા પડ્યા. ફિઝિયોથેરપી તથા અન્ય પ્રકારની સારવારોની સાથે જેરમીને સંગીત દ્વારા સારવાર પણ આપવામાં આવી. તે કારણે જેરમી ફરીથી એના સંગીતપ્રેમ સાથે જોડાઇ શક્યો. એના પર ઘાતકી હુમલો થયો તે પહેલાં એ ચર્ચમાં ગાવા જતો, પરંતુ તે દિશામાં આગળ વધી શક્યો ન હતો. સાજા થવાની સારવારપ્રક્રિયા દરમિયાન એને સંગીતના ક્ષેત્રને લગતી વિવિધ માહિતીઓ આપવામાં આવી.
એ સંગીતમાં ઢાળી શકાય તેવાં ગીતો લખવા માંડ્યો. સંગીતના રેકોિડઁગ વગેરેમાં વિકસેલી આધુનિક ટેક્નોલોજીની માહિતીઓ પણ તેને આપવામાં આવી. આવી વિશિષ્ટ પ્રકારની સારવારથી એ શારીરિક રીતે તો સાજો થયો જ છે, એનો માનસિક વિકાસ પણ શક્ય બન્યો છે. બે હાથ કપાઇ ગયા હોવા છતાં એ લાચાર બન્યો નથી. એ એના મનોભાવોને વ્યક્ત કરતાં ગીતો લખવા માંડ્યોછે અને એને સંગીતમાં ઢાળે છે. સંગીતે એના છિન્નભિન્ન થઇ ગયેલા જીવનને નવો અર્થ આપ્યો છે. હવે એ જીવન વિશે સંપૂર્ણપણે આશાવાદી અભિગમ ધરાવતી વ્યક્તિ બની ગયો છે.
સંગીત દ્વારા સારવાર-મ્યુઝિક થેરપી-નવી વાત નથી. સંગીત આપણા મન-મગજ પર અને શરીર પર કેવી સકારાત્મક અસરો કરે છે તે બહુ જૂની વાત છે. ભારતમાં તો માનસિક અને શારીરિક સજ્જતા માટે સંશોધનો પછી દુનિયાભરમાં મ્યુઝિક થેરપી વિશે સજાગતા વધવા લાગી છે. નિષ્ણાતો કહે છે તેમ મ્યુઝિક થેરપીને લીધે શારીરિક, માનસિક, ભાવનાત્મક, સામાજિક અને આધ્યાત્મિક બાબતોમાં ખૂબ ફાયદો થાય છે. કહેવાય છે કે મ્યુઝિક થેરપીથી કેન્સર જેવા જીવલેણ રોગો પર પણ કાબૂ મેળવવામાં સહાય મળી છે. સંગીતથી તનાવ-ડિપ્રેશન દૂર કરી શકાય છે. જો કામ કરતી વખતે સંગીત સાંભળવામાં આવે તો તેનાથી કાર્યક્ષમતા વધતી હોવાનાં અનેક પ્રમાણો મળે છે.
ટ્રેવોર ગિબ્બન્સ સુથારીકામ કરતો હતો. એ એકવાર ચોથા માળે બારી લગાવી રહ્યો હતો ત્યારે એને હાર્ટએટેક આવ્યો. ટ્રેવોર બેલેન્સ ખોઇ બેઠો અને ચોથા માળ પરથી નીચે પટકાયો. એની કરોડરજજુ પર ઇજા થઇ. એનું શરીર અપંગ થઇ ગયું. મ્યુઝિક થેરપી આપી રહેલા નિષ્ણાતોની સહાયથી એ ગીતો લખવા લાગ્યો અને એની સંગીતરચના પણ કરવા લાગ્યો. ટ્રેવોરે કહ્યું છે, ‘મને સંગીતમાંથી અઢળક પ્રેરણા મળે છે. હું જ્યારે ગાવા લાગું છું ત્યારે મારી અંદર ગંઠાઇ ગયેલું બધું જ મુક્ત થઇ જાય છે અને મને લાગે છે-આ દુનિયામાં એવું કશું જ નથી, જે હું કરી શકું નહીં.’