જયપુરના સાહિત્ય સમારોહમાં સલમાન રશ્દીના મુદ્દે જે કંઇ થયું તે ભારત સરકાર અને ભારતના સાહિત્યકારો માટે આંતરખોજનો વિષય છે, તેમ મુસ્લિમ સમાજના ધર્મપંડિતો માટે પણ તે મહત્વની ઘટના છે.
જયપુરનો વિખ્યાત સાહિત્ય સમારોહ આ વરસે અનેક બિનસાહિત્યિક ચર્ચાબાજીથી ઊભરાયો છે અને ભારતીય લોકશાહી સામે કેટલાક પ્રશ્નાર્થચિહ્નો ઊભાં થયાં છે. આ સમારોહમાં પોતાના ‘સેતાનિક વર્સીસ’ પુસ્તકના કારણે મુસલમાનોના ઉગ્ર રોષનો ભોગ થઇ પડેલા સલમાન રશ્દી હાજર રહેવાના છે તેવી જાહેરાતે કટ્ટરપંથી મુસલમાનોના પેટમાં તેલ રેડાયું. દેવબંદની દારૂલઉલુમે રશ્દીની હાજરી સામે ઉગ્ર પ્રકોપ દર્શાવ્યો અને ભારત સરકારે બેધારું વલણ અપનાવ્યું. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં જીવ પર આવીને લડી રહેલો કોંગ્રેસ પક્ષ મુસ્લિમ સમાજની નારાજગી વહોરી લેવા તૈયાર નથી, તેથી ભારત સરકારે નમતું જોખ્યું અને રશ્દીને ભારત આવતાં અટકાવવાના પ્રયાસ શરૂ થયા.
સલમાન રશ્દીના વિવાદાસ્પદ પુસ્તક પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો છે, પણ રશ્દીના આગમન પર કશો પ્રતિબંધ નથી. રશ્દીને આવતાં અટકાવવા તે લોકશાહીના સિદ્ધાંતોનો અનાદર છે કારણ કે તેમાં માનવ સ્વાતંત્રયની અવગણના થાય છે તે ધ્યાનમાં આવ્યા પછી ભારત સરકારે રશ્દી માટે પૂરતો સલમાતી બંદોબસ્ત કર્યો અને રાજસ્થાન સરકારને પણ આવી સૂચના આપી.
પણ કટ્ટરપંથીઓ તોફાન કરશે તેવા ડરથી ગભરાયેલી રાજસ્થાન સરકારે છળકપટનો આશરો લીધો અને રશ્દીની હત્યા માટે મુંબઇના ચાર હત્યારાને સુપારી અપાયાનું ગપ્પાંષ્ટક ચલાવ્યું. ગભરાઇ ઊઠેલા રશ્દીએ આવવાનું માંડી વાળ્યું, પણ મુંબઇના પોલીસ ખાતાએ ભાંડો ફોડી નાખ્યો અને હત્યાની સુપારી અંગે કશી જાણકારી ન હોવાનું જાહેર કર્યું. ચારમાંથી ત્રણ હત્યારાનાં નામ બનાવટી છે અને ચોથો પોતાના ઘરમાં ગુપચુપ બેઠો છે.
રાજસ્થાને ગલ્લાંતલ્લાં શરૂ કર્યા. મુખ્ય મંત્રી ગેહલોતે આવી બાતમી મળી હોવાનું ભારપૂર્વક જાહેર કર્યું, પણ રશ્દીની વીડિયો કોન્ફરન્સ છેલ્લી ઘડીએ રદ કરીને પોતાની ભયભીત મનોદશાનું પ્રદર્શન કર્યું. રશ્દીએ રાજસ્થાનને ચાબખા લગાવ્યા. સરકારી વલણ સામે વિરોધ દર્શાવવા માટે ચાર અગ્રગણ્ય સાહિત્યકારોએ પ્રતિબંધિત પુસ્તકમાંથી ફકરા જાહેરમાં વાંચી સંભળાવ્યા, પણ પોલીસ ધરપકડ કરશે તેવા ડરથી તરત જ રફુચક્કર થઇ ગયા.
આ તમામ ઘટનાક્રમ આપણી નાલેશી અને નામરદીનું પ્રદર્શન છે. હત્યાની ધમકી આપનાર કટ્ટરપંથીઓને તોડી નાખવાના બદલે ભારત સરકાર અને રાજસ્થાન સરકાર તેમની સામે ઝૂકી ગઈ. ચૂંટણીમાં મતની લાલચના કારણે સરકારે કોમવાદી દ્વેષ અને જોરતલબીને આડકતરું પ્રોત્સાહન આપ્યું અને ભારત સેકયુલર દેશ નથી તેવું દુનિયાભરમાં પુરવાર કરી આપ્યું. ભારતમાં ડાબેરી બુદ્ધિમંતોએ કોમવાદ=હિન્દુત્વ એવું સમીકરણ સ્વીકારી લીધું છે અને પ્રચલિત કર્યું છે.
ભારતમાં તમામ કોમ અને તમામ ધર્મ કોમવાદી છે અને બધા જ પ્રકારના કોમવાદ સમાજ માટે ત્રાસરૂપ અને જોખમરૂપ છે. લોકશાહીમાં હર પ્રકારની લઘુમતીઓ-ધાર્મિક લઘુમતી, ભાષાકીય લઘુમતી, સાંસ્કૃતિક લઘુમતી અને વૈચારિક લઘુમતીઓનાં હિતની રક્ષા થવી જ જોઇએ. મત મેળવવાની લાલચે કેટલાક મુસલમાનોની ગેરવાજબી માગણીને તાબે થનાર રાજકારણી આગેવાનો દોષપાત્ર છે, તેમ બૌદ્ધિક ગણાવવાની લાલચે લઘુમતીઓના દ્વેષ અને અહંકારને પંપાળનાર બુદ્ધિજીવીઓ પણ દોષપાત્ર છે.
જયપુરના સમારોહમાં સાહિત્યિક ચર્ચા બાજુએ રહી ગઇ અને આખું સત્ર ઊલટા પાયે ગાજ્યું. હત્યાના થવાના ડરથી આવવાનું માંડી વાળનાર સલમાન રશ્દી અને ધરપકડ થવાના ડરથી ભાગી છુટેલા આપણા ચાર મૂર્ધન્ય સાહિત્યકારોએ પોતાનું નમાલાપણું દર્શાવી આપ્યું અને મોટી બાંગ પોકારનાર સાહિત્યકારો પણ માટીપગા હોવાનું પુરવાર થયું.
આયોજકોએ શરૂઆતથી આખર સુધી અપનાવેલું વલણ પણ અતશિય નિંદાપાત્ર છે. તેમણે થોડી મક્કમતા દાખવી હોત તો ખાસ કશું બન્યા વગર સમારોહ પાર પડ્યો હોત અને સાહિત્યકારો અને આ સમારોહની શોભામાં વૃદ્ધિ થઇ હોત. ત્રાસવાદીઓ ગમે ત્યાં તોફાન અને હત્યાકાંડ મચાવી શકે છે, પણ પોલીસને સચેત અને જાગ્રત કર્યા પછી તેમનાથી કશું થઇ શકતું નથી, તે જગજાણીતી હકીકત છે. ત્રાસવાદીઓ અચોક્કસ સમયે અને અચોક્કસ જગ્યાએ ધડાકા કરી જાય છે, પણ પૂરતો બંદોબસ્ત હોય તો તેમનો કશો ગજ વાગતો નથી.
યહૂદીઓની કટ્ટરતા અને વૈરવૃત્તિનો વારસો મેળવનાર આજના કેટલાક મુસલમાનોએ પોતાના પયગંબરની ઉદારતા અને શાંતપિ્રિયતાને બાજુ પર હડસેલી મૂક્યાં છે. દુનિયાનો કોઇ સંપ્રદાય પોતાના શાસ્ત્રગ્રંથો પ્રમાણે ચાલતો નથી. દરેક ધર્મના લોકો પોતપોતાનાં શાસ્ત્રો જાતે વાંચતા નથી અને પોતપોતાના ધર્મના ગુરુઓના આધારે ચાલે છે. ધાર્મિક આગેવાનો પણ પ્રચલિત રૂઢિ- પરંપરાને જ પ્રમાણભૂત ગણે છે. શાસ્ત્ર કરતાં રૂઢિ હંમેશાં પ્રબળ હોય છે.
જયપુરનો સમારોહ ભારત સરકાર અને ભારતના સાહિત્યકારો માટે આંતરખોજનો વિષય છે, તેમ મુસ્લિમ સમાજના ધર્મપંડિતો માટે પણ મહત્વની ઘટના છે. આવું વિચિત્ર વલણ અપનાવીને મુસ્લિમ સમાજ શા માટે પોતાની બદનામી વહોરી લેતો હોય છે તેની વિચારણા ઇસ્લામી આગેવાનોએ કરવી પડશે. દુનિયાભરમાં આજની વિચારધારા અને આજનો વર્તાવ અનુસાર મુસલમાનો શા માટે વર્તી શકતા નથી તે સવાલનો જવાબ મુસ્લિમ સમાજ માટે અતશિય મહત્વનો છે, કારણ કે પરિસ્થિતિ અનુસાર પરિવર્તનને અપનાવી લેવામાં નિષ્ફળતા મળે તો પ્રાણીઓ, સમાજ, વિચારધારા અને ધર્મ ટકી શકતાં નથી. એક જમાનામાં ચોમેર છવાઇ ગયેલી સામ્યવાદી કે માકર્સવાદી વિચારધારા આજે ભૂંસાઇ ગઇ છે અને ઝનૂનપૂર્વક તેને વળગી રહેનાર રાજ્યો અને રાજકીય પક્ષો ખતમ થઇ જવાની અણી પર પહોંચ્યાં છે.