કાંતિવાન મુખ, પ્રતિભાસંપન્ન પાણીદાર આંખો, ભગવાં વસ્ત્રોમાં અને પીઠ પર લંબાતા સાફામાં શોભતી દેહયષ્ટી જોઇને લાલશંકર પારખી ગયા કે આ કોઇ સાધારણ સાધુ નથી.
મીરાંબાઇનું એક સુપ્રસિદ્ધ ભજન છે. ‘હેરી મૈં તો પ્રેમદીવાની મેરા દરદ ના જાને કોય... ઘાયલ કી ગતિ ઘાયલ જાને ઔર ન જાને કોય... જૌહરી કી ગતિ જૌહરી જાને ઔર ન જાને કોય.’ ખરેખર, હીરાનું મૂલ્ય તો એક હીરાનો વેપારી જ પારખી શકે. મનુષ્યમાં રહેલા હીરને પારખી જનારા એક નિષ્ણાત વિદ્વાન હતા-અમદાવાદના સબ જજ લાલશંકર ઉમિયાશંકર ત્રવાડી. એક દિવસ તેઓ ટ્રેનમાં અમદાવાદના જૂના રેલવે સ્ટેશન પર ઊતર્યા ત્યારે દરવાજો મિનારા પાસે હતો. સામે જ પટાંગણમાં એક વિશાળ વટવૃક્ષ હતું.
નજીકમાં શ્રીમંત ઉતારુઓને લઇ જવા માટે ઘોડાગાડીઓ ઊભી રહેતી. લાલશંકર ત્રવાડીએ એક ઘોડાગાડી લીધી ત્યારે જ તેમની નજર વડની નીચે બેઠેલા એક યુવાન સાધુ પર પડી. કાંતિવાન મુખ, પ્રતિભાસંપન્ન પાણીદાર આંખો, ભગવાં વસ્ત્રોમાં અને પીઠ પર લંબાતા સાફામાં શોભતી દેહયષ્ટી જોઇને તરત જ તેઓ પારખી ગયા કે આ કોઇ સાધારણ સાધુ નથી. પાસે જઇ નમસ્કાર કર્યા અને થોડી વાતચીત કરી અને જાણી ગયા કે આ સાધુ તો અંગ્રેજી ભાષા પર અદભૂત પ્રભુત્વ ધરાવે છે.
વેદો-ઉપનિષદો વિશેનું તેમનું જ્ઞાન પણ તેમને સ્પર્શી ગયું. તેમણે પૂછ્યું, ‘ક્યાં ઊતર્યા છો?’ સ્વામી વિવેકાનંદજીએ જવાબ આપ્યો- ‘ક્યાંય નહીં. સંન્યાસીઓ માટે આકાશ અને ધરતી જેવાં બીજાં સ્વજન છે ખરાં?’ લાલશંકરજીએ અનુરોધ કર્યો- ‘તો ચાલો મારે ત્યાં. મારા જ મહેમાન બનો, મારા આવા નસીબ ક્યાંથી કે તમારા જેવા વિદ્વાન સાધુ મારે આંગણે પધારે?’લાલશંકરજીએ સ્વામીજીને ઘોડાગાડીમાં બેસાડ્યા અને પોતાને ઘરે (અમૃતલાલ પોળ) ખાડિયાની તેમની હવેલીમાં લઇ ગયા અને ત્યાં જ ઉતારો આપ્યો. તેમની મહેમાનગતિમાં કોઇ કચાશ નહોતી પણ સ્વામીજી ધ્યાનપરાયણ મહાત્મા હતા.
ખાડિયાની પોળનો કોલાહલ તેમને માફક ન આવ્યો એટલે લાલશંકરજી તેમને નીરવ શાંત વાતાવરણમાં વ્યવસ્થિત એલિસબ્રિજની પાસેના પોતાના બંગલામાં લઇ ગયા. ૧૮૯૧માં એ વિસ્તાર તો સાવ સૂમસાન હતો. ટાઉનહોલની પાછળ આવેલા એ મકાનમાં સ્વામીજી જેટલા દિવસો રહ્યા તેટલા દિવસો સુધી અંબાલાલ સાકરલાલ, મહિપતરામ નીલકંઠ વગેરે અનેક નગરશ્રેષ્ઠીઓની અને વિદ્વાનોની અવરજવર રહી, કેટકેટલાય વિષયો પર સ્વામીજીની અનૌપચારિક વાતચીતો થઇ, બે જાહેર વ્યાખ્યાનો સ્વામીજીએ આપ્યાં, કામેશ્વરના મંદિરમાં તેમણે વ્યાખ્યાન આપ્યું, જ્ઞાનનું વિતરણ સ્વામીજી છુટા હાથે કરતા રહ્યા.
આત્મપુરુષાર્થ વડે એક સામાન્ય ગણિતશિક્ષકમાંથી ન્યાયાધીશપદે પહોંચનાર, ત્યકતા-અનાથ બાળકો માટે સૌ પ્રથમ બાલાશ્રમ સ્થાપનાર, સ્ત્રીશિક્ષણ સહિત સમાજ સુધારનાં કાર્ય કરનાર, ગુજરાતમાં અસ્પૃશ્યોદ્ધારનો પ્રારંભ કરનાર હિંમતવાન સમાજસુધારક અને વ્યવહારદક્ષ ગરવા ગુજરાતી લાલશંકરજીને ‘દેવમુનસફ’ એવું બિરુદ કેવી રીતે મળ્યું તેની માહિતી સુપ્રસિદ્ધ ઈતિહાસકાર અશોક ઠાકરે આપેલ છે. (સંદર્ભ: કુમાર, જૂન ૧૯૬૯)
અમદાવાદ નજીક કલોલ પાસેના નારદીપુર નામના ગામડામાં ૨૩ ઓગસ્ટ, ઇ.સ. ૧૮૪૫ના રોજ પોતાના મોસાળમાં જન્મેલ લાલશંકર બાળપણમાં મોસાળમાં જ રહેતા હતા કારણ કે નાની ઉંમરમાં જ માતા માનકોર અવસાન પામેલ, પિતા અમદાવાદમાં યજમાનવૃત્તિ કરતા, તેઓ પ્રાથમિક શિક્ષણ આપવા માટે લાલશંકરને અમદાવાદ લઇ આવ્યા અને ગોરપદામાં જોતરવા મંડ્યા. લાલશંકરે વધુ અભ્યાસના પોતાના નિર્ણયને વળગી રહેવાનો નિર્ધારકરી પત્નીસહ ઘર છોડ્યું ત્યારે નોર્મલ સ્કૂલમાંથી મળતી માસિક પાંચ રૂપિયાની સ્કોલરિશપ સિવાય અન્ય કોઇ આર્થિક આધાર નહોતો.
સ્વામી વિવેકાનંદજીના જીવનની જેમ જ એમનું જીવન સંઘર્ષોથી ભરપૂર હતું. ૧૮૭૧માં અમદાવાદની સ્મોલ કોઝિઝ કોર્ટમાં નાજરની જગ્યા ખાલી પડી ત્યારે તેઓ ત્યાં જોડાયા, પછી ૧૮૭૩માં ખૂબ પરિશ્રમ કરી મુનસફ (સબ જજ)ની પરીક્ષા પાસ કરી અને પંઢરપુરમાં સબ જજ તરીકે તેઓ નિમાયા, ત્યાંથી ધંધૂકા, ઘોઘા, વીરમગામ, સોલાપુર, અહમદનગર, નાસિક એમ વિવિધ સ્થળે ઉત્તરોત્તર બઢતી પામતા ૧૮૯૧માં અમદાવાદમાં જે કોર્ટમાં પોતે નાજર તરીકે દાખલ થયેલા તે જ સ્મોલ કોઝિઝ કોર્ટના જજના ઊંચામાં ઊંચા હોદ્દે ૮૦૦ રૂપિયાના પગારથી આવ્યા અને ૧૯૦૩ના ૧૩મી મેના રોજ ૪૦૦ રૂપિયાના પેન્શન પર નિવૃત્તિ લીધી. ઇ.સ. ૧૯૧૨માં તેમણે દેહત્યાગ કર્યો ત્યાં સુધી ઉપરોકત બધાં સ્થળોએ સેવાનાં કેટકેટલાંય કાર્યો કર્યા તેનું વર્ણન અહીં કરવું શક્ય નથી.
લાલશંકરજી પંઢરપુરમાં હતા ત્યારે એક દિવસ ચંદ્રભાગા નદીના કિનારે ફરતા એમના પગ સાથે કાંઇક અથડાયું. નીચા નમીને જોતાં એ કોઇ તરતનું જન્મેલું બાળક જણાયું. જન્મ આપીને કોઇ અભાગી સ્ત્રીએ એને ત્યજી દીધું હશે. તરત તેઓ એ બાળકને ઊંચકી લઇ પોતાના ઘેર લઇ ગયા અને પત્ની દિવાળીબહેનને સોંપ્યું, પણ આ રીતે ત્યજી દેવાતાં કે મારી નખાતાં બાળકોને વિચારે એમનું અંતર દુ:ખથી વલોવાઇ ગયું.
આ બદીના નિવારણ માટે તેમણે કાયમી અને વ્યવહારુ ઉપાયરૂપે એક બાલાશ્રમ સ્થાપવાનો નિર્ણય કર્યો. કઠોર પરિશ્રમ કરી તેમણે જે બાલાશ્રમની સ્થાપના કરી તે આજે તો વિશાળ સંસ્થામાં પરિણમ્યો છે. પંઢરપુરથી લાલશંકરજીની બદલી ઇ.સ. ૧૮૮૧માં થઇ ત્યારે પ્રજાએ એમને આંસુભરી વિદાય આપવા સાથે એમની અનન્ય સેવા બદલ એમને ‘દેવ-મુનસફ’નું અભિધાન આપી એમનું બહુમાન કરેલું અને એમણે સ્થાપેલ બાલાશ્રમના શતાબ્દી વર્ષે પાસેના જાહેરમાર્ગને દેવમુનસફ લાલશંકર ઉમિયાશંકર પથ નામ આપી એમને અંજલિ આપી હતી.
સ્વામી વિવેકાનંદજીએ કહેલું, ‘હું એને જ મહાત્મા કહું છું, જેનું હૃદય ગરીબો માટે દ્રવે છે.’ આવા મહાત્મા સબ જજ અન્ય એક મહાત્માની મહાનતાને પારખીને પોતાના અતિથિ બનાવે એમાં નવાઇ શી?
(ક્રમશ:)
(લેખક રામકૃષ્ણ મઠ-મિશન વડોદરાના અધ્યક્ષ છે.)
સ્વામી વિવેકાનંદ અને ગુજરાત, સ્વામી નિખિલેશ્વરાનંદ