આ વર્ષે શિક્ષણ, સ્વાસ્થ્ય, સીમા સુરક્ષા, દેશની આંતરિક સલામતી, કાળાં નાણાં પાછાં લાવવા જેવા મુદ્દાઓ અંગે લેવાયેલા મહત્વના નિર્ણયો અમલમાં મૂકાવાના છે. આનાથી પરિસ્થિતિ સુધરશે અને લોકોની અપેક્ષા પણ સંતોષાશે.
સલામતી માટે ખાનગી કંપનીઓ સાથે કરાર
આ વર્ષે સૈન્યમાં ૧ લાખ સૈનિકોની ભરતી થશે.
દેશની આંતરિક સુરક્ષા આડે બે મુખ્ય ખતરા છે. પહેલો આતંકવાદ અને બીજો નકસલવાદ. આ વર્ષે એક લાખ સૈનિકોની ભરતી થવાની છે. આમાં ૧૩,૭૦૮ જગ્યા કેન્દ્રીય સશસ્ત્ર સુરક્ષા દળ (સીએપીએફ)ની હશે. સ્ટાફ સિલેકશન કમિશનને આ ભરતીની જવાબદારી સોંપાઇ છે. લેખિત પરીક્ષાનું પ્રશ્નપત્ર હિન્દી, અંગ્રેજી અને રાજ્યોની માતૃભાષામાં હશે.
તદુપરાંત સરકાર આંતરિક સલામતીનું કામ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (લોકભાગીદારી-પીપીપી) દ્વારા કરશે. સાઇબર સુરક્ષા અને સાઇબર ફોરેન્સિક આના મુખ્ય ક્ષેત્રે રહેશે. સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ (સીએમએસ), નેશનલ ઈન્ટેલિજન્સ ગ્રિડ (નેટગ્રિડ), ક્રીમીનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ (સીટીએનએસ) સાહસોમાં ખાનગી ભાગીદારી વધારશે.
આ બધું કરવા છતાં ઘરફોડ ચોરીમાંથી છુટકારો મેળવવો હજુ પણ મુશ્કેલ લાગે છે. આપણી પાસે એટલી ચાલાકી નથી ને પોલીસ કોઇ બાબત ગંભીરતાથી લેવા નથી માગતી. ઘણી વાર મુદ્દો ઉઠે છે કે પોલીસ એફઆઈઆર નોંધવા માટે આનાકાની કરે છે.
બધાનું કાળું નાણું બહાર પાડશે ‘વિકિલિક્સ’
૬ લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું છેલ્લાં દસ વર્ષમાં ભારતમાંથી બહાર મોકલાયું છે.
વિશ્વનાં કાળાં નાણાં પર ચાંપતી નજર રાખનારી સંસ્થા ગ્લોબલ ફાઇનાન્સિયલ ઇન્ટિગ્રિટી (જીએફટી)એ તાજેતરમાં એવું કહ્યું છે કે ભારતમાંથી છેલ્લા એક દાયકા (૨૦૦૦-૨૦૦૯) દરમિયાન લગભગ પાંચથી ૬ લાખ કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે દેશમાંથી બહાર મોકલાયા છે. એટલે કે દર વર્ષે ૪૮ થી ૬૩ હજાર કરોડ રૂપિયા વિદેશી બેંકોમાં જમા કરાવેલા છે.
આવા સંજોગોમાં દેશમાં ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં અંગે જોરદાર ચર્ચા થઇ. અત્યાર સુધી આપણા કેન્દ્રિય નાણાપ્રધાન પ્રણવ મુખર્જી નામ જાહેર કરવામાંથી છટકતા રહ્યા છે તેઓ જ હવે લોકો સમક્ષ આખી યાદી બાર પાડશે એવું લાગે છે. નહીંતર વિકિલિકસના સ્થાપક જૂલિયન અસાંજેએ તો કહી દીધું છે કે ‘અમારી યાદી તો તૈયાર જ છે.’ ૨૦૧૨માં આ યાદી લોકો સમક્ષ જાહેર કરાશે.
૪ યુનિવર્સિટી ભેગી મળીને ૧ વિશ્વ વિદ્યાલય બનશે
૧થી ૫, ૬થી ૮ અને ૯થી ૧૨ ધોરણ એમ ત્રણ સ્તરમાં શાળાકીય શિક્ષણ વહેંચાશે.યુવાનો માટે પ્રાથમિકથી માંડીને ઉચ્ચ અભ્યાસ સુધી ઢગલાબંધ ભેટ મળી છે. નવી દિલ્હીની ચાર યુનિવર્સિટી, દિલ્હી વિશ્વવિદ્યાલય, જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય, જામિયા મીલિયા અને દિલ્હીની આઇઆઇટી ભેગી મળીને મેગા યુનિવર્સિટી બનાવવાની યોજના છે. જુલાઇ-૨૦૧૨થી આ કાર્યરત થશે.
આમાં ગજબનો ફાયદો છે. ધારો કે કોઇએ આઇઆઇટીમાં પ્રવેશ મેળવ્યો હોય અને તેને આંતરરાષ્ટ્રીય સંબંધોનો અભ્યાસ કરવો હોય તો તે જેએનયુના અભ્યાસક્રમમાં જતો રહેશે. આના માટે અલગથી નામ લખાવવાની જરૂર નહીં પડે. હાલમાં આવું થતું નથી. એઆઇસીટીઇ તમામ રાજ્યોની એમબીએ ઇન્સ્ટિટ્યુટ માટે સંયુક્ત પ્રવેશ પરીક્ષાનું આયોજન કરશે એઆઇઇઇની પ્રવેશ પરીક્ષા હવે ઓન લાઇન લેવાશે.
૨૦ વર્ષ પછી મેલેરિયા અટકાવવાની રસી
વિશ્વમાં દર વર્ષે મેલેરિયાના લીધે ૧૦ લાખ લોકો મૃત્યુ પામે છે. હવે તેને રસી દ્વારા અટકાવી શકાશે. આ વર્ષે આ રસી દુનિયાને મળશે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ આનું નામ આરટીએસએસ રાખ્યું છે. દવા બનાવનારી કંપની ગ્લેકસો સ્મિથ કલાઇન્સ મેલેરિયા વિરોધી રસી બજારમાં મૂકવાની છે. લગભગ ૨૦ વર્ષની મહેનતનું આ પરિણામ છે.
મેલેરિયા વિરોધી રસી બનાવવા પાછળ સમગ્ર વિશ્વના દેશોએ અત્યાર સુધીમાં લગભગ ૪૦૦૦ લાખ ડોલર ખર્ચ્યા છે. ટાન્ઝાનિયા અને બગામોયોમાં રસીનો પ્રયોગ સફળ નીવડ્યો છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને રસી મૂકવામાં આવશે. ભારતમાં મેલેરિયા વિરોધી રસી આવતાં થોડો સમય લાગશે. ડોક્ટરોએ આ રસીથી ઘણી આશા સેવી છે.