ગોલી વડાપાંઉના સ્થાપક દક્ષિણ ભારતીય વેંકટેશ અય્યર અને શિવદાસ મેનન છે. વેંકટેશે ૧૯૮૯માં સેન્ચુરિઅન બેંકમાં મેનેજમેન્ટ ટ્રેઈની તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી, પણ તેમણે તો પોતાનો વ્યવસાય કરવાનું સપનું જોયું હતું.
આજે ચાર રાજ્યોમાં બે ડઝન કરતાં વધારે શહેરમાં ‘ગોલી વડાપાંઉ’નાં ૧૨૫ ફ્રેન્ચાઈઝી આઉટલેટ્સ છે, જે દરેક રોજના ૧૩૦૦ વડાપાંઉ વેચે છે. એનો અર્થ કે છેલ્લા પાંચ વર્ષોમાં તેઓ પાંચ કરોડ કરતાં પણ વધારે વડાપાઉં વેચી ચૂક્યા છે.
કંપની: ગોલી વડાપાંઉ પ્રા.લિ. સંસ્થાપક: વેંકટેશ અય્યર અને શિવદાસ મેનન વ્યવસાય: મોબાઈલ સ્નેક-વડાપાંઉ આઉટલેટ્સ શૃંખલા લક્ષ્ય: ૫૦૦ આઉટલેટ્સ (હાલમાં ૧૨૫)/૫૦૦ કરોડ રૂપિયા ટર્નઓવર (હાલમાં કુલ ૧૨ કરોડ રૂપિયા)
વારસાગત ચાલ્યા આવતા વેપાર-ધંધાની સામાન્ય આવકથી ખુશ થનારા ઘણા લોકો કહે છે, ‘આ તો પૂર્વજોના પુણ્યના પ્રતાપે જ અમે બેઠી આવક મેળવી રહ્યા છીએ.’ આવું કહેનારો વર્ગ આ જ સાધારણ વેપાર-ધંધાને સમકાલીન બનાવી લે તો કેટલી કમાણી કરી શકે! મતલબ કે, આજે મુંબઈમાં હજારો ઘર પેઢી દર પેઢીથી વડાપાંઉ વેચીને જીવનનિવૉહ ચલાવે છે, તો એની સામે મુંબઈમાં જ એવી બે વ્યક્તિ છે જેમનો વડાપાંઉનો વ્યવસાય છે અને આ સામાન્ય વેપાર થકી વાર્ષિક ટર્નઓવર ૧૨ કરોડે પહોંચ્યું છે.
વિચારવા જેવી વાત છે કે આજે ચાર રાજ્યોમાં બે ડઝન કરતાં વધારે શહેરમાં તેમનાં ૧૨૫ ફ્રેન્ચાઈઝી આઉટલેટ્સ પણ છે. પ્રત્યેક આઉટલેટ દરરોજના ૧૩૦૦ વડાપાંઉ વેચે છે. એનો અર્થ કે છેલ્લા પાંચ વર્ષોમાં તેઓ પાંચ કરોડ કરતાં પણ વધારે વડાપાંઉ વેચી ચૂક્યા છે. આ બે માણસની વાત પર ભરોસો મૂકીએ તો પાંચ વર્ષમાં દેશભરના ૫૦૦ આઉટલેટ્સ દ્વારા તેઓ વર્ષે ૧૮૦ કરોડનો વ્યવસાય કરી લેશે અને શેર માર્કેટમાં પણ તેની નોંધ લેવાશે. કદાચ તેઓ પોતાની કંપની ‘ગોલી વડાપાંઉ’ને સ્ટોક માર્કેટમાં પણ નોંધાવી શકે.
ગોલી વડાપાંઉના સ્થાપક દક્ષિણ ભારતીય વેંકટેશ અય્યર અને શિવદાસ મેનન છે. વેંકટેશે ૧૯૮૯માં સેન્ચુરિઅન બેંકમાં મેનેજમેન્ટ ટ્રેઈની તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી, પણ તેમણે તો પોતાનો વ્યવસાય કરવાનું સપનું જોયું હતું. આખરે ચાર વર્ષ બાદ વેંકટેશે બાલાજી કોર્પોરેટ સર્વિસીઝ નામે ફાઈનાન્શિયલ ફર્મ સ્થાપી. આ બેનર હેઠળ તેઓ રિટેલર્સ માટે ફંડ એકઠો કરવા માંડ્યા. દરમિયાન રિટેલ માર્કેટ અંગેની ઝીણવટભરી બાબતો તેમણે ચકાસી અને ૧૯૯૫માં ફૂડ્સનું રિટેલ વેચાણ કરવાનો નિર્ણય લીધો.
જોકે આ નિર્ણયને અમલમાં મૂકતાં તેમને પૂરાં નવ વર્ષ લાગ્યાં. વેંકટેશ વર્ષોથી મુંબઈ રહેતા હતા. તેમણે મુંબઈની દોડભાગભરી જિંદગીને નજીકથી જોઈ છે. અહીં લોકો કામ કરતાં કરતાં જ પેટ ભરી લેતા હોય છે. મોબાઈલફોનની ટ્યૂન પર મોબાઈલસ્નેક પસંદ કરે છે. અહીં ઈન્ડિયન અથવા ઈન્ટરનેશનલ ડિશ કઈ હોઈ શકે એ મૂંઝવણભર્યા સવાલ પર પૂર્ણવિરામ મૂક્યું વેંકટેશના મિત્ર શિવદાસ મેનને. એ વખતે શિવદાસ કેલોગ્સ ઈન્ડિયાના સીઈઓની જવાબદારી સંભાળતા હતા.
શિવદાસે વેંકટેશને કહ્યું કે, ‘આપણે ત્યાં દર દસ કિલોમીટરે ખાણીપીણી બદલાય છે અને એ રીતે અહીં દરેક પ્રકારની ડિશીઝ મળે છે, પણ મોટા ભાગના મધ્યવર્ગીય ભારતીયો ઉચ્ચ હોદ્દા પર પહોંચી જાય તોય ગુજરાતી ઢોકળાં, મદ્રાસી ઈડલી અને મહારાષ્ટ્રીયન વડાપાંઉ તો ખાશે જ.’ આમ, આ વિષય પર થોડો વિચાર કર્યા બાદ બંને મિત્રોએ ઈન્ડિયન મોબાઈલ ડિશીઝમાં મુંબઈ માટે વડાપાંઉ પર પોતાની પસંદગી ઉતારી.
બંને મિત્રો કોર્પોરેટ એક્ઝિકયુટિવ રહી ચૂક્યા હતા તેથી તેઓ વડાપાંઉને પણ એક બ્રાન્ડ બનાવવા માગતા હતા. આખરે એમણે વડાપાંઉનું નામકરણ કરવાની શોધ કરવા માંડી. વેંકટેશ અય્યરે એક મુલાકાતમાં કહ્યું પણ છે કે, ‘મેં મારા મિત્રો અને નાણાકીય સંસ્થાને આ વાત કરી તો સૌએ મારી મજાક ઉડાવતાં કહ્યું કે ભઈ, તું અમને આવી ગોળી ન આપીશ હોં. (મુંબઈવાસીઓ વધારે પડતું બોલનારાઓ માટે આવો શબ્દપ્રયોગ કરતા હોય છે.) બસ, ત્યારથી વડાપાંઉનું નામ થયું ‘ગોલી વડાપાંઉ’. વેંકટેશ અય્યર અને શિવદાસ મેનને ડોંબીવલીમાં ૫૦૦ સ્કવેરફીટનું વિશાળ કિચન તૈયાર કર્યું છે. એ સાથે સાધનસામગ્રી અને એક વેન પણ ખરીદી. ૨૦૦૪માં ૨૦ કર્મચારીઓ સાથે સૌ પ્રથમ ગોલી વડાપાંઉ આઉટલેટ ખોલ્યું.
એક વર્ષ સુધી બંને ભાગીદાર મિત્રોએ મુંબઈની નાની મોટી દરેક દુકાનના વડાપાંઉ ટેસ્ટ કર્યા અને દરરોજનું વડાપાંઉનું વેચાણ પણ જાણ્યું. જોકે, પહેલા વર્ષે તો આ પ્રોજેક્ટમાં તેમને નુકસાન થયું, પણ તેઓ હતાશ ન થયા. કેટલીય અડચણોનો સામનો કર્યો અને છેવટે સફળતાની મંજિલ સુધી પહોંચ્યા. બંને મિત્રો ઈચ્છતા હતા કે તેમનાં વડાપાંઉ એક જ કવોલિટીના અને એક જ ટેસ્ટના હોય. ૨૦૦૬માં આ સમસ્યાનો ઉકેલ તેમને મળ્યો. વેંકટેશ અને શિવદાસે વિસ્ટા પ્રોસેસ્ડ ફૂડ્સ ઈન્ડિયા સાથે જોડાણ કર્યું. શિકાગોની આ કંપની ભારતીય કંપની મેકડોનાલ્ડ ઈન્ડિયા માટે રેડી-ટુ-ફ્રાય પેટીસ બનાવે છે. વેંકટેશ અય્યરે વિસ્ટા પ્રોસેસ્ડ ફૂડ્સ પાસેથી વડાપાંઉ માટે બટાકાના માલપુઆ (ડમ્પલિંગ)નું આઉટસોર્સિંગ શરૂ કર્યું.
વેંકટેશ કહે છે કે, ‘આજે ગોલી વડાપાંઉના આઉટલેટ્સ જે વડાપાંઉ વેચે છે, તે એક્સ-રે અને મેટલ ડિટેકટર્સ પ્રક્રિયામાંથી પસાર થાય છે. મેન્યુઅલને બદલે સ્વયંસંચાલિત રીતે તૈયાર થતા હોવાથી તે હાઈજિનિક છે. આ માટે અમે ખાસ કાળજી રાખીએ છીએ. અમારા દરેક સ્ટોરમાં એક ગોલી કિચન અને સ્ટોરેજ માટે કોલ્ડરૂમ બનાવવામાં આવ્યો છે. આખી ઉત્પાદન પ્રક્રિયાને વિકસિત કરવા માટે ઘણો ખર્ચો થયો છે, પણ ખુશી એ વાતની છે કે ગોલી વડાપાંઉ હાઈજેનિક ખોરાકનું સેવન કરતા પરિવારની સુરક્ષિત સ્નેક ડિશ બની ગઈ છે.’
વેંકટેશ અય્યર અને શિવદાસ મેનને ગોલી વડાપાંઉના બ્રાન્ડિંગ અને પ્રમોશન માટે ફેસબુક અને ટ્વિટરનો ઉપયોગ કર્યો છે. આટલું જ નહીં, ગણેશ ચતુર્થી જેવા તહેવારે વિશાળ વડાપાંઉ બનાવીને તેના પર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરીને ઈવેન્ટને નામ આપ્યું ‘ગોલી ગણપતિ’.
વેંકટેશ કહે છે, ‘દસ વર્ષ સુધી મારા મોબાઈલની રિંગટોન પર મેં સાંભળ્યું હતું- ‘છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની... હમ હિંદુસ્તાની’. એ વખતે હું રિંગટોન દેશભક્તિની સાંભળતો અને સંભળાવતો, પણ ટૂથપેસ્ટથી માંડીને લેપટોપનો ઉપયોગ કરતો હતો એ તો વિદેશી જ હતા. મારા અંતરાત્મા સિવાય આસપાસમાં કંઈ પણ ભારતીય નહોતું. આજે મને સંતોષ છે કે હું સંપૂર્ણ રીતે ભારતીય છું અને એક પરંપરાગત ભારતીય સ્નેકને મોડર્ન મોબાઈલ સ્નેક બનાવીને મારું સપનું પૂરું કરી રહ્યો છું.’