ભારત આ શ્રેણી પછી તરત બાંગ્લાદેશમાં એશિયા કપ રમવા જવાનું છે અને આ બે શ્રેણીમાં ધોનીની ટીમનો વિજય થયો તો બંને શ્રેણીમાં નહીં રમ્યા હોવા છતાં રાહુલ દ્રવિડ અને લક્ષ્મણને જીવતદાન મળી જશે.
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો દેખાવ કંગાળ રહ્યો અને શ્રેણીની ચારેય ટેસ્ટ હારીને ભારતીય ક્રિકેટ ટીમ હવે વિદેશમાં સળંગ આઠ-આઠ ટેસ્ટ હારી ચૂકી છે ત્યારે ઘણા ખેલાડીઓની કારકિર્દી ઉપર પ્રશ્નાર્થ લાગી ગયો છે. સચિન તેંડુલકર અન્યની સરખામણીએ એટલો બધો નિષ્ફળ રહ્યો ન હતો પરંતુ તેના ખુદના રેકોર્ડની સાથે સચિનની સરખામણી કરવામાં આવે તો તેના માટે પણ આ શ્રેણી નિરાશા જ લાવી હતી.
આ સિવાય રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, વીરેન્દ્ર સેહવાગ, સુકાની ધોની કે ઝહિર ખાન જેવા સિનિયર ખેલાડીઓ કદાચ આ શ્રેણી ભૂલવાનો પ્રયાસ કરશે. જોકે ભૂલવાની વાત પરથી યાદ આવે છે કે ભૂતકાળમાં આવી ઘણી શ્રેણી રહી છે જેમાં ખેલાડી નિષ્ફળ રહ્યા હોય અને એ વખતે ભારે વિરોધ પણ થયો હોય. જે તે ખેલાડીને હાંકી કાઢવાની માગણી પણ થઈ હોય પરંતુ સમય જતાં બધું ભુલાઈ જાય છે અને એ ખેલાડી આગળ રમતો જ હોય છે.
ભારતીય રમતપ્રેમીઓ સાથે પણ આમ જ બને છે અને હંમેશાં બનતું આવ્યું છે. અત્યારે લક્ષ્મણ કે દ્રવિડને હાંકી કાઢવાની વાતો થાય છે પરંતુ રમતપ્રેમીઓની યાદશક્તિ લાંબી ચાલતી નથી એ બાબતને શ્રીકાન્ત એન્ડ કંપની યાદ રાખશે એ ભૂલવું જોઇએ નહીં (ભૂલી જવાશે એ વાત અલગ છે).
ભારતીય ટીમ હવે ઓક્ટોબર ૨૦૧૨ સુધી ટેસ્ટ રમવાની નથી. એ ગાળામાં એકાદ-બે વન-ડે શ્રેણીમાં ટીમનો દેખાવ એટલો બધો આકર્ષક હશે કે ઓક્ટોબર આવતા સુધીમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની નિષ્ફળતા ભુલાઈ જશે અને ફરીથી લક્ષ્મણ કે દ્રવિડ ભારત માટે રમતા હશે. એકાદ બે મેચમાં તેઓ સદી કે બેવડી સદી ફટકારી દેશે અને દેશના હીરો બની જશે.
અહીં લક્ષ્મણ કે દ્રવિડ કે અન્ય કોઈ પણ સિનિયર ખેલાડીને હાંકી કાઢવાની વાત નથી. આ ખેલાડીઓએ દોઢ દાયકાથી ભારતીય ક્રિકેટની સેવા કરી છે અને તેમને આદરપૂર્ણ વિદાય આપવી જોઇએ તે વાત સાથે સહમત પણ તેઓ માનભેર વિદાય લેવા માટેનું પ્રદર્શન કરે ત્યાં સુધી રાહ જોવાનો પણ કોઈ અર્થ નથી. એ તબક્કો આવે નહીં ત્યાં સુધી ટીમની હાલત શું થાય છે તે વિશે વિચારવાની પસંદગીકારો કે બીસીસીઆઈની ફરજ બને છે. માત્ર ‘પગલાં લઈશું’ તેમ કહીને બોર્ડ હાલ પૂરતો પડદો પાડી દે તે પણ ચાલે નહીં.
અત્યારે તો આમ જ થયું છે. ભારતીય ટીમ હવે વન-ડે શ્રેણી રમવાની છે જ્યાં ઓસ્ટ્રેલિયાની સાથે સાથે શ્રીલંકાની ટીમ પણ રમવાની છે. ઓસ્ટ્રેલિયન ધરતી પર ભારતે છેલ્લે પ્રવાસ ખેડ્યો ત્યારે ત્રિકોણીય શ્રેણી જીતી લીધી હતી. આ વખતે પણ તેમ બની શકે છે અને ભારત જીતશે તો તેની ઘણી સમસ્યાનો ઉકેલ આવી જશે.
શ્રીલંકન ટીમ તાજેતરના ગાળામાં ખાસ ફોર્મમાં નથી. તિલકરત્ને દિલશાનની કપ્તાનીમાં તેઓ ઘણી મેચો અને શ્રેણી હારી ગયા છે. હવે ફરીથી ટીમની આગેવાની મહેલા જયવર્દનેને સોંપવામાં આવી છે. શ્રીલંકન ટીમ ફોર્મમાં નથી તેમ છતાં તેમને ક્યારેય હળવાશથી લેવાયા નથી. ૧૯૭૫ના વર્લ્ડ કપમાં શ્રીલંકા પહેલી વાર રમ્યું ત્યારથી તેમણે વારંવાર અપસેટ સજર્યા છે. ૧૯૮૨માં શ્રીલંકાએ ટેસ્ટ દરજજો મેળવ્યો તે અગાઉ ૧૯૭૯ના વર્લ્ડ કપમાં પણ તેમણે ભારતને હરાવીને અપસેટ સર્જ્યો હતો.
એ પછી તો શ્રીલંકન ટીમ વધારે મજબૂત બની ગઈ છે. ઘણી મહત્વની મેચમાં શ્રીલંકાને હાથે ભારતનો પરાજય થયેલો છે તેમ છતાં વર્તમાન ભારતીય ટીમ એવી આશા રાખી શકે છે કે આ શ્રેણીમાં તેઓ શ્રીલંકાથી આગળ નીકળીને ફાઇનલમાં રમશે. ભારત આ શ્રેણી પછી તરત જ બાંગ્લાદેશમાં એશિયા કપ રમવા જવાનું છે અને આ બે શ્રેણીમાં ધોનીની ટીમનો વિજય થયો તો બંને શ્રેણીમાં નહીં રમ્યા હોવા છતાં રાહુલ દ્રવિડ અને લક્ષ્મણને જીવતદાન મળી જશે. ટૂંકમાં આ વન-ડે શ્રેણી દ્રવિડ-લક્ષ્મણ માટે જીવતદાનની તક સમાન છે.
ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ત્રિકોણીય વન-ડે શ્રેણીની વાત કરીએ તો ભારતને ફેવરિટ કહી શકાય તેમ છે. હજી એક વર્ષ અગાઉ ભારતે વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો જેમાં તેણે ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઇનલમાં અને શ્રીલંકાને ફાઇનલમાં હરાવ્યું હતું. આ બંને ટીમ હવે એ પરાજયનો બદલો લેવા મથશે તો સામે પક્ષે ભારત પણ તાજેતરની ટેસ્ટ શ્રેણીની હારનો બદલો લેવા પ્રયાસ કરશે.
સચિન તેંડુલકર આ શ્રેણીમાં રમવાનો છે જેનો મનોવૈજ્ઞાનિક લાભ ભારતને મળશે તો હરીફ ટીમ ઉપર સચિનની હાજરીનું દબાણ રહેશે. ભારત પાસે યુવાનોની હારમાળા છે. રોહિત શર્માને ટેસ્ટમાં તક મળી નહીં પરંતુ વન-ડેમાં શ્રેષ્ઠ દેખાવ કરીને દેખાડી દેવા માટેની તેની પાસે તક છે. સુરેશ રૈના, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, પાર્થિવ પટેલ, ઉમેશ યાદવ અને પ્રવીણકુમાર ભારતને વિજય અપાવવા માટે સક્ષમ છે.
ભારતે અગાઉ ઓસ્ટ્રેલિયામાં વન-ડેમાં સારો દેખાવ કરેલો છે. ૧૯૮૫માં ભારત અહીં વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રોફી (મિની વર્લ્ડ કપ) જીત્યું હતું. ૨૦૦૭-૦૮માં ત્રિકોણીય વન-ડે શ્રેણીમાં પણ ભારતનો વિજય થયો હતો ત્યારે આ વખતે ટીમ નબળો દેખાવ કરે તેવી શક્યતા ઓછી છે.
ફ્લેશબેક : વન-ડેમાં ૫૦મી ઓવર સ્પિનર ફેંકે તેવું અગાઉ ભાગ્યે જ બનતું હતું ત્યારે શિવરામકૃષ્ણને ૧૯૮૫માં ઓસ્ટ્રેલિયા સામે ૫૦મી ઓવર ફેંકી હતી. એ જ રીતે છેલ્લી ઓવરો ભાગ્યે જ મેડન જતી હોય છે પરંતુ હાલના પસંદગીકાર મોહિન્દર અમરનાથ ૧૯૮૫-૮૬માં ઓસ્ટ્રેલિયામાં જ એક વન-ડેમાં ૪૯મી ઓવરમાં એકેય રન કરી શક્યા ન હતા.