ભણેલાં એમનાં જ્ઞાનથી પૈસા કમાય એમાં આપણને કોઈ વાંધો નથી, પરંતુ ગ્રામ્યજનો આવું કરે તો એવું કહેવાય કે ‘ગામડાંના લોકો લુચ્ચા થઈ ગયા છે!’
જનરલી, ટ્રેકર્સ જ્યારે બેઝ-કેમ્પ ઉપરથી હાયર કેમ્પ તરફ પ્રયાસ કરે છે ત્યારે જ સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે પછીના છ-સાત દિવસ કેમેરા-મોબાઇલ ચાર્જ કરવાની સગવડ નહીં મળે, પરંતુ મોટા ભાગના કેસીસમાં, ધડાધડ ફોટા પાડ્યા પછી કેમેરાની અને ગીતો સાંભળીને મોબાઈલની બેટરી ઊતરી જતી હોય છે અને હજુ બરફના ફોટા પાડવાના તો બાકી જ હોય! એટલે ટ્રેકર્સ જેવા કોઈ હાયર કેમ્પ ઉપર પહોંચે કે પેશાબ-પાણી કર્યા પહેલાં જ ‘અહીં ચાજિઁગની સગવડ મળશે?’ એવી તપાસ કરવા માંડે. ટ્રેકર્સની જરૂરિયાતને પારખી દસ-બાર હજાર ફૂટની ઊંચાઈએ પણ લોકલ લોકો ‘ચાર્જપ્ત લઈ ચાજિઁગની સગવડો પૂરી પાડવા માંડ્યા.
ગયા ઉનાળે સૌરકુંડી હિમાલયન ટ્રેકમાં, હું જ્યાં કેમ્પ-લીડર હતો એ માઈલી કેમ્પ-સાઇટ ઉપર મારી સાથે ગાઇડ કમ વુડકટર તરીકે જગદીશ નામનો યુવાન હતો. જે ટ્રેકર્સે ચાજિઁગ કરાવવું હોય એમની બેટરીઓ એની સાથે રાતે એના ગામ લઈ જાય અને સવારે ચાર્જ કરી પરત આપે. જગદીશનો એક બેટરી ચાર્જ કરવાનો ચાર્જ પચાસ રૂપિયા. મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવાં શહેરોમાંથી આવેલા ટ્રેકર્સને આ ચાર્જ વધારે લાગે. ટ્રેકર્સમાં એક ડોક્ટર હતા. એ તો રીતસર ચિલ્લાવા જ લાગ્યા કે ‘યે તો લૂંટ રહા હે!’ મેં એમને પૂછ્યું કે તમારે ત્યાં કોઈ દર્દી અડધી રાતે આવે તો તમે કેટલો ચાર્જ લો? તો કહે, પાંચસો રૂપિયા.
જે ડોક્ટરની સામાન્ય ફી સો રૂપિયા હોય એ ડોક્ટર ઇમર્જન્સી વિઝિટના પાંચસો લે એ એક્સેપ્ટેડ, પણ એક પહાડી જણ દસ હજાર ફૂટની ઊંચાઈએ ચાર-પાંચ કલાક પહાડોમાં ચડ-ઊતર કરી પચાસ રૂપિયા કમાય એ લૂંટનો બનાવ નાનો છે, પણ એમાં આપણી જે માનસિકતા છતી થાય છે એ નાનીસૂની નથી. ભણેલાઓ અને શહેરીઓ એમનાં જ્ઞાનનો ઉપયોગ કરીને પૈસા કમાય એ તરફ આપણને કોઈ વાંધો નથી, પરંતુ અભણ અને ગ્રામ્યજનો એમની મહેનતનું મહેનતાણું માગે તો થાય : હવે તો ગામડાંના લોકો પણ લુચ્ચા થઈ ગયા છે! આપણે કરીએ એ જ્ઞાનનો ઉપયોગ, તેઓ કરે એ લુચ્ચાઈ.
લેહથી મનાલીનો ૪૭૦ કિલોમીટરનો રસ્તો બાય રોડ બે દિવસમાં કપાય. વચ્ચે ખાણીપીણી અને રાત્રિ રોકાણ માટે ટેન્ટ્સ મળે. એ વિપરીત સંજોગોમાં પણ એ ટેન્ટ્સવાળા જે સગવડ પૂરી પાડે એ દાદ માગી લે એવી હોય છે. અને એના બદલામાં એક ચાના પંદર રૂપિયા લે તો એ વાજબી જ છે, પણ આપણું નાકનું ટેરવું ચડે જ. કુદરતને માણવાની બાજુએ મૂકી ‘હવે તો આ લોકો પણ હોશિયાર થઈ ગયા છે’ એવી હોશિયારીઓ આપણે મારવા માંડીએ. એ કાતિલ ઠંડીમાં પણ સરચુ નામની જગ્યાએ સવારે ચાર વાગ્યે એ ભલા ટેન્ટવાળાએ ચા બનાવીને પીવડાવી હતી.
ઘરે સુથારીકામ કરાવ્યું હોય તો સાત-આઠ વર્ષ સુધી એ સુથાર રિપેરિંગ કામ કરી જ આપે એવી આપણી અપેક્ષા સાધારણ ગણાય છે. ભલભલા કહેવાતા પૈસાવાળાઓને (કહેવાતા એટલા માટે કે તેઓ છે તો પૈસાવાળા, પણ માનસિક રીતે તો ગરીબડા જ સમજે છે) કારીગર વર્ગને પાંચ-પચીસ રૂપિયા માટે ટટળાવતા જોઈએ ત્યારે કારીગરની દયા આવે એ કરતાં એ પૈસાવાળાની વધુ દયા આવે. અને પાછો એ અમીર ધમૉદામાં, જો તકતી લાગતી હોય તો પાંચ-પચીસ હજાર લખાવવાનો જ.
ડોક્ટર પાસે એ ભાવતાલ નહીં કરાવે અને તાજજુબ લાગે એવી વાત એ છે કે આપણે પ્લમ્બર ગમે ત્યારે મફત સેવા આપી જાય એવી આશા રાખીશું, પણ ઓપરેશન કરાવ્યાના એક વર્ષ પછી ડોક્ટરને એવું કહેવા નહીં જઈએ કે ‘બોસ, ગયા વર્ષે તો ઓપરેશન કરાવ્યું હતું, હવે જરીક રિપેરિંગ મફતમાં કરી આપોને!’શું આપણી માનસિકતા જ એવી છે કે જે ગરીબ છે એ ગરીબ જ રહેવા જોઈએ? અને છતાં ‘સારા’ દેખાવવા ‘સારાં’ કાર્યો તો કરતાં જ રહેવાનું? ચરોતરના એક ગામમાં શાળા બંધાવવાની વાત હતી.
કહે છે કે ગામના ‘ઉજળિયાત’ વર્ગે એ મુદ્દે શાળાનો વિરોધ કર્યો કે જો શાળા બંધાશે, ‘પેલા’ ભણવા માંડશે તો આપણા ખેતરમાં અને તમાકુની ખળીઓમાં કામ કરવા કોણ આવશે? ‘આંગળિયાત’ના સર્જક જોસેફ મેકવાનને એમની તેજાબી વાણીમાં આ અંગે ચાબખા મારતા સાંભળ્યા હતા ત્યારે રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં. જે દેશોમાં બ્રિટિશ ધ્વજ લહેરાતો હતો એને બ્રિટનની ‘કોલોની’ (વસાહત) કહેવાતી. અને બ્રિટિશર્સ એવું માનતા કે તેઓ વિકસિત છે અને એમની કોલોનીમાં રહેતા વસાહતીઓ ગંદા, ગોબરા, પછાત છે.
પછીથી આપણા જે ભારતીયો અંગ્રેજી માધ્યમમાં ભણ્યા કે વિદેશગમન કરી આવ્યા તેઓમાંના ઘણા અન્ય ભારતીઓને અંગ્રેજોની નજરે જોવા અને મૂલવવા માંડ્યા. આને કહેવાય કોલોનિયલ માનસિકતા. હજુ પણ આ માનસિકતા મરી પરવારી એવું માની લેવાનું કોઈ કારણ જણાતું નથી. આપણાં ઘરોમાં જે કામવાળા આવે છે તેઓ કપડાં-વાસણ-કચરા-પોતાં કરે તો સહેજેય બે કલાક લાગે.
મહિને આ સઘળાં કામના આઠસો-નવસો આપીએ તો એ એ હિસાબે એક કલાક કામ કરવાના પંદર રૂપિયા આપીએ છીએ અને દિવાળી સફાઈ તો એમણે કરી જ આપવાની! રાજસ્થાનના રાણકપુર-કુંભલગઢના ત્રણ દિવસના ટ્રેકમાં એક ભણેલાં બહેને એમનો રકસેક ગાઇડને ઊંચકવા આપ્યો. ત્રણ દિવસની મજૂરી આપી દોઢસો રૂપિયા. મને ઓછા લાગ્યા તો કહે ‘ઉસકી ઉમ્મીદ સે બહોત ઝ્યાદા દિયા હૈ’. અને એ બહેન મુંબઈ પરત ફ્લાઇટમાં જવાનાં હતાં.
ચલતે ચલતે : તમે આપણા પ્રજાકવિ રમેશ પારેખની ‘બાપુ ધાગધાગા...!’ રચના વાંચી છે? જો હા, તો ઉપરનો લેખ વાંચી પુન: એ રચના વાંચજો. જો ના, તો આ લેખ વાંચી પહેલું કામ એ રચના વાંચવાનું કરજો.