એક મુશાયરામાં પ્રસિદ્ધ હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવે હાજર હતા અને એક કવિ તેમની રચના ભાવથી રજુ કરી રહ્યા હતા. ‘માશુકા ખુશ્બો મૂકી જાય’. પાછળ બેઠેલા જ્યોતીન્દ્ર દવેએ કહ્યું, ‘વાલ ખાધા હોવા જોઇએ.’
ઇ રાતે શેણી સૂતી છે ઊંઘ આવતી નથી. પવનમાં કમાડ ભભડે છે ને ભણકારા વાગે છે.વિજાણંદ આવ્યો, વિજાણંદ આવ્યો.વિજાણંદ આવ્યો.. ઇ સવાર પડ્યું. શેણીએ નવાં લૂગડાં પહેર્યા અને પિતાની સામે આવીને ઊભી રહી.
અનુભવી પિતાએ કાઇક પામી જતા હોય એમ પૂછ્યું,
કાં બાપ કેની કોર?
કે બાપ હેમાળે...
હે બાપ હેમાળે?
કે હાં બાપ હેમાળે
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કહેલી, ‘શેણી વિજાણંદ’ વાર્તાની આ માત્ર શરૂઆત છે. મેઘાણીજીનો સ્વર સચવાયો હોય એવી બે જ રેકર્ડ છે ‘શેણી વિજાણંદ’ અને ‘કોઇનો લાડકવાયો.’હમણાં જ આ ૨૮-૮-૨૦૧૧ના રોજ ‘મેઘાણી વંદના’ કાર્યક્રમમાં મેં આ વાત કહી હતી. ઘણાની કથનશૈલી એટલી બળુકી હોય કે સાંભળનારા મુગ્ધ બની જાય અને ઘણા વાત માંડે ખરા, પણ કહેતા નો ફાવે. અમે મિત્રો ભેગા થતાં ભારે મજાક ખાતર કનક ગાંધીને વાત કરવાનું કહેતાં ત્યારે ‘રામાયણ’ સિરિયલ ચાલતી, એટલે કનક વાતની શરૂઆત કરતો. જાણે સીતાજીએ સોનાનો મૃગ જોયો અને રામને કીધું કે જાવ જંગલમાં અને મૃગને મારીને લઇ આવો.
રામ મૃગને મારવા ગયા. મૃગની પાછળ દોડવામાં રામ દૂર નીકળી ગયા. તેમણ ધનુષ્ય પર બાણ ચડાવ્યું અને મૃગને વીંધી નાખ્યો. મૃગના રૂપમાં આવેલા રાક્ષસ મારીચે ‘લક્ષ્મણ લક્ષ્મણ...’ એમ બૂમો પાડી. સીતાજીએ લક્ષ્મણજીને કીધું, ‘જાવ, તમારા ભાઇ જોખમમાં છે.’ લક્ષ્મણજીએ અનેકવાર આનાકાની કરી, પણ સીતાજી ન માન્યાં તે ન જ માન્યાં. લક્ષ્મણ રામ પાછળ ગયા. બંને ભાઇ પાછા ફર્યા ત્યાં ઝૂંપડીમાં દીપિકા નહોતી એને અરવિંદ ત્રિવેદી ઉપાડી ગયો હતો.
અમે અનેકવાર કનકને ટોકયો છે કે તું પર્ણકુટિમાં પાછા ફરી રામે જોયું તો સીતાજી નહોતાં. લંકેશ તેમને ઉપાડી ગયો હતો, આમ કેમ નથી કહેતો? વચ્ચે કલાકારોનાં નામ બોલવાની શી જરૂર? કનક ગાંધી પછી અમે શાંતિલાલને વાત કરવાનું કહેતા. થોડીક શરૂઆત કો’કને કરવી પડતી. હું જ વાત માંડતો. આમ તો રતનપર ગામમાં રહેતો આ કોળી પરિવાર, ઘરખેડની વીહ વીઘા જમીન ધણી-ધણિયાણી અને બે સંતાન.
આમ શરૂઆત થતી ત્યાં શાંતિલાલ વાતનો દોર સંભાળી લેતો એ કહેતો, ‘રતનપરમાં ગામમાં દાખલ થતાં જ ડાબી કોર ખૂણામાં આ પરિવાર રહે. ધણીનું નામ ધનજી અને બાઇનું નામ રિળઆત. હવે બાઇને બજરનું બંધાણ અને ધનજીને વધરાવળ.’એકવાર ધનજીને તૈયાર થતો જોઇને રિળઆતે પૂછ્યું, ‘સાંભળ્યું? ક્યાં જાવું છે?’ધનજી કહે, ‘થાન જઇ આવું. માથે તરણેતરનો મેળો આવે છે. નાનકડા સારુ કેડિયું અને ચોયણી લેવાં છે. ઝીણકી સારુ ઘાઘરીપોલકા તૈયાર; લાભુ મેરાઇની દુકાનેથી ખરીદ કરવાં છે. પછી જો વેંત રે તો મારાં લઇશ નહીંતર પછી આવતે મેળે વાત.’
‘તો પછી એમ કરજો ને, મારા સાટું દાંતે દેવાની બજર લેતા આવજો.’ રિળઆતે જાતાં જાતાં ધનજીને ભલામણ કરી. થાનથી હટાણું કરી સાંજે ધનજી પાછો રતનપર આવ્યો. હરખમાં રિળઆત સામે ગઇ અને પૂછ્યું, ‘મારા સાટું બજર લાવ્યા?’ આટલું સાંભળતાં ધનજીનાં મોતિયા મરી ગયા એ મહામુશ્કેલીએ બોલ્યો, ‘બજર લેવાનું તો ભુલાઇ ગયું.’
રળિઆતે ખિજાઇને કહ્યું, ‘તો શું?’
બસ, અહીં સુધી વાત શાંતિલાલ દર વર્ષે કહેતો અને પછી એ મંડતો દાંત કાઢવા અને એટલા બધા દાંત કાઢતો કે આગળ વાત જ નહોતો કરી શકતો. વર્ષોથી આ જ વાત; આ જ રીતે અમે શાંતિલાલ પાસેથી સાંભળીએ છીએ, પણ હજી નથી ખબર પડી કે રિળઆતે શું કહ્યું?
શાંતિલાલનું હસવાનું શરૂ થાય એટલે વનેચંદ કહી દે, ‘બસ, હવે વાત આગળ કહેવામાં આવશે આવતા વર્ષે.’ પણ ત્યાં ચંદુલાલ વાતનો ઉપાડ જ હસતાં હસતાં કરે, ‘આકાશવાણી પરથી યોગાસનના વર્ગો ત્રણ મહિના સુધી ચાલ્યા પછી આકાશવાણીએ શ્રોતાઓના પ્રતિભાવ મગાવ્યા.એક જણે મોટા અક્ષરે માત્ર એક જ શબ્દ લખ્યો.’
અહીં સુધી વાત આવી અને ચંદુનું હસવાનું શરૂ થયું. તે એ એક શબ્દ ન જ બોલી શક્યો, પછી તો અમને જિજ્ઞાસા થઇ ‘બધાને થયું એવો તે કયો શબ્દ હશે? ચંદુએ પ્રયાસ કર્યો, પણ એ બોલી ન શક્યો એટલે અમે તેને કાગળ અને પેન આપ્યા અને કહ્યું, ‘આમાં લખી દે.’ ચંદુલાલ દવેએ હસતાં હસતાં શબ્દ લખ્યો ‘વધરાવળ’. પછી તો આ શબ્દ વાંચીને અમે પણ ખુશ થયા.
એકવાર હું, પ્રાણલાલ, પ્રવીણ અને વનેચંદ અમે રાજકોટ ગયા હતા. ત્યાં ફર્યા. ગેસ્ફોર્ડ ટોકીઝમાં ‘દિલ દે કે દેખો’ ફિલ્મ જોઇ, ‘સાધના લોજપ્તમાં જમ્યા, ગોવિંદા આશ્રમમાં બપોરે ચા પીધી અને સ્ટેશન જવાની તૈયારી કરતા હતા ત્યાં અમને મોહનલાલ માસ્તર મળી ગયા. અમે ભણતાં ત્યારે મોહનલાલ માસ્તર ગુજરાતી, ઈતિહાસ, ભૂગોળ અને હિન્દી ભણાવતા. ભૂગોળમાં એકવાર એમણે લખાવેલું કે; ‘ભારતની બધી નદીઓ આપણા દેશમાં આવેલી છે.’ ધોતિયું , ઝભ્ભો, માથે ટોપી અને ખભે થેલો; આ તેમનો કાયમનો પોશાક. માસ્તર કહે, ‘મારે યોગાસનો અંગેનું એક પુસ્તક ખરીદવું છે.’ અમે તરત ઢેબર રોડ પરના પ્રવીણ પુસ્તક ભંડારમાં ગયા.
માસ્તરે કહ્યું, ‘મારે સુંદર ચિત્રોવાળું યોગાસનો વિશે સરળ ભાષામાં વિવરણ હોય તેવું અને સસ્તું પુસ્તક ખરીદવું છે.’ ગોપાલભાઇએ યોગનાં ઘણાં પુસ્તકો મોહનલાલ માસ્તરને બતાવ્યાં. માસ્તરે ખૂબ મનોમંથન કરી છેવટે સસ્તું પુસ્તક પસંદ કર્યું, પણ મોહનલાલ માસ્તરે શરત કરી કે હું પ્રયોગ કર્યા પછી જ પુસ્તક ખરીદીશ. ગોપાલભાઇ કહે, ‘ આમાં પ્રયોગ કરવાના નો હોય.’ અમે પણ માસ્તરને કહ્યું, ‘પ્રયોગ ઘરે જઇને કરજો.’ છતાં માસ્તર પોતાના નિયમમાં અડગ રહ્યા અને સૌના આશ્ચર્ય વચ્ચે ‘મયૂરાસન’નું પાનું જોઇ એ પ્રમાણે આસન કરવા લાગ્યા. દેહને બે હાથ પર ગોઠવવા પ્રયાસ કર્યો.
માસ્તરે જેવા બે પગ ઊંચે લીધા કે માથું ભોંયતિળયા હારે ભટકાણું; અન્ય ગ્રાહકો ખુશ થઇ ગયા. અમનેય હસવું આવ્યું. ત્યાં માસ્તરે ‘પવન મુકતાસન’નું પાનું કાઢયું અને તૈયારી કરી ત્યાં અમે કહ્યું, ‘અમને પહેલાં બહાર જતા રહેવા દો.’ હું, પ્રાણલાલ અને વનેચંદ બહાર નીકળી ગયા, પણ પ્રવીણ ત્યાં જ રહ્યો.
પવન મુકતાસનનો પ્રયોગ કેટલે અંશે સફળ થયો એ તો ખબર ન પડી, પણ અમે તમામ ગ્રાહકોને બહાર નીકળી જતાં જોયા. સૌના ચહેરા પર હાસ્ય હતું અને નાકે રૂમાલ. ત્યાં પ્રવીણ હસી હસી ગોથાં ખાતો બહાર નીકળ્યો. અમે પૂછ્યું, ‘શું થયું? કાંઇ વાત તો કર.’ પરંતુ પ્રવીણ હસતો જ રહ્યો. ત્યાં ગોપાલભાઇ ખુદ બહાર આવ્યા એ કહેતા હતા, ‘પુસ્તકના પૈસા પણ નથી જોતા તમે માત્ર અહીંથી બહાર નીકળો.’ પછી માસ્તર પુસ્તક સાથે બહાર પ્રગટ થયા. જ્ઞાનપ્રાપ્તિનો આત્મસંતોષ તેમના ચહેરા પર દેખાઇ આવતો હતો. માસ્તર બહાર નીકળ્યા; તેમને જોઇ સૌ ફરી હસવા લાગ્યા. અમને પણ સૌ સાથે હસતાં જોઇ તેમણે અમને કહ્યું, ‘તમે જાવ, હું બસમાં થાન આવીશ.’
અમે સ્ટેશન પહોંચ્યા અને સૌરાષ્ટ્ર મેઇલમાં ૫:૪૦ વાગ્યે થાન આવવા રવાના થયા. અમે ઘણો પ્રયત્ન કર્યો. પ્રવીણ પાસેથી વિગત જાણવા,પણ ‘માસ્તર સૂતાં તેમણે પવનમુકતાસનનું ચિત્ર નીરખ્યું. જમણો પગ પેટ તરફ વાળ્યો’ બસ અહીં પ્રવીણ ડગલીની વાત કહેવાની ક્ષમતા પૂરી થઇ અને હાસ્યની હદ શરૂ થઇ... પ્રવીણ વાત ન જ કરી શક્યો. માત્ર ગ્રાહક બધા ભાગી ગયા એવું મહામુશ્કેલીએ બોલી શક્યો. બસ, આ જ પ્રસંગ સૌએ અનેકવાર સાંભળ્યો હોવા છતાં અમે પ્રવીણ પાસે કહેવરાવીએ છીએ અને સૌ સાથે મળી તેનો આનંદ માણીએ છીએ.
એક મુશાયરામાં પ્રખર હાસ્યકાર અને પ્રસિદ્ધ હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેની હાજરી હતી અને એક ઉત્સાહી કવિ તેમની રચના ભાવથી રજુ કરી રહ્યા હતા. ‘માશુકા ખુશ્બો મૂકી જાય માશુકા ખુશ્બો મુકી જાય.’ પાછળ બેઠેલા જ્યોતીન્દ્ર દવેએ કહ્યું, ‘વાલ ખાધા હોવા જોઇએ.’ આટલું જ સાંભળતાં સમગ્ર મુશાયરો હસાયરામાં બદલાઇ ગયો. સૌને હસતાં જોઇ યુવાન કવિ નીચે બેસી ગયા, મોહનલાલ માસ્તરના પ્રસંગના અનુસંધાને અમે આ પ્રસંગ પણ યાદ કરીએ છીએ.
આ અમારી મૂખૉઇ હશે; અમે એ મૂખૉઇનો આનંદ ઘણાં વર્ષ સુધી માણ્યો છે, હજી પણ માણીએ છીએ. જોકે હું સમજું છું કે ‘માનવીને પોતાને પોતાની મૂખૉઇનો ખ્યાલ આવે ત્યારે તેનામાં બુદ્ધિની શરૂઆત થાય છે.’