આંખમાંથી આંસુ બહાર આવવું, કોળિયો નીચે અન્નનળીમાં ઉતરવો કે પછી કોઇપણ વસ્તુને શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાયુદોષ જવાબદાર છે.
‘પલક, તેં મારું કામ કર્યું? મેં તને એક પ્રશ્ન પૂછેલો અને તું ગયા રવિવારે કોઇ સેમિનારમાં વૈદ્યમિત્રને મળીને એનો ઉકેલ પૂછવાની હતી. તો પછી એનું શું થયું?’‘હા બાબા હા. તું બહુ ઉતાવળી, રિદ્ધિ. હું સેમિનારમાં ગઇ હતી અને ત્યાં વૈદ્યમિત્રને પણ મળી હતી. બેઝીકલી તારો પ્રશ્ન થોડો અલગ છે. નાનાં બાળકો પથારીમાં પેશાબ કરી જાય તે બહુ જ કોમન છે. બાળક ચીડિયું હોય, મન હંમેશાં ઉત્તેજીત રહે ત્યારે ઊંઘમાં પણ મન શાંત રહેતું નથી અને બાળકનો યુરિન પર કંટ્રોલ ન રહેતાં પથારીમાં પેશાબ કરી દે છે. આને આયુર્વેદમાં ‘શૈય્યામૂત્રતા’ કહે છે અને અત્યારે ‘બેડ વેટિંગ’ શબ્દ વપરાય છે. એવી જ રીતે ઉંમરલાયક વડીલોમાં પણ આવી જ ફરિયાદ જોવા મળે છે.
સામાન્ય રીતે સિત્તેર વર્ષથી મોટી ઉંમરના વડીલો કે જેમને આપણે સિનિયર સિટિઝન કહીએ છીએ એમને પણ આવો જ પ્રોબ્લેમ નડે છે. ઉંમરના કારણે મગજના સંકોચનની પ્રક્રિયા શરૂ થાય ત્યારે શરીરની કેટલીક ક્રિયાઓ પરનો કંટ્રોલ ઓછો થઇ જાય એ કોમન છે. એટલે કે બાળકોની જેમ જ આવા વડીલોને પણ રાત્રે પેશાબ પર કંટ્રોલ રહેતો નથી અને ઊભા થઇને બાથરૂમ સુધી પહોંચે તે પહેલાં જ તેમને પેશાબ થઇ જાય છે. આવું સ્ત્રી-પુરુષ બંનેમાં જોવા મળે છે. આનો થોડા ઘણા અંશે ઉકેલ પણ શક્ય છે, પણ મારો પ્રશ્ન થોડો અલગ છે. તારી મમ્મીને પણ આવી જ ફરિયાદ છે. તેમનો યુરિન પર કંટ્રોલ નથી કે ક્યારેક ક્યારેક સ્ટુલ પર પણ કંટ્રોલ નથી રહેતો. સૌથી નવાઇની વાત છે કે એમને હજુ તો સત્તાવન-અઠ્ઠાવન વર્ષ જ થયાં છે. છતાં પણ આવી તકલીફ કેમ થઇ?
તો સાંભળ, મેં વૈદ્યમિત્રને રૂબરૂમાં પૂછેલું. એમણે જે સલાહ આપી હતી તેની પર પણ વૈદ્યમિત્ર સાથે ચર્ચા કરેલી. નાનાં બાળકોમાં નવ્ર્સ ઉત્તેજીત રહેતી હોય અને સિનિયર સિટિઝનોને બ્રેઇન સંકોચાવાને કારણે નવ્ર્સ પર કંટ્રોલ ન રહેતો હોય ત્યારે સ્ટુલ-યુરિન પરનો કંટ્રોલ ઓછો થાય તે સમજી શકાય તેવી વાત છે. પરંતુ તારાં મમ્મી આ બંનેમાંથી એક પણ ઉંમર ગ્રૂપમાં આવતાં નથી અને છતાં પણ આ તકલીફ શરૂ થઇ છે તે થોડું અજુગતું છે.
વૈદ્યમિત્રએ બીજા થોડા પ્રશ્નો પણ મને પૂછયા પછી સમજાવ્યું કે આને પણ વાયુના એક રોગ તરીકે જ જોવું પડે. સામાન્ય રીતે આપણે જ્યારે વાયુનો રોગ શબ્દ વાપરીએ ત્યારે પેટમાં થતો ગેસ કે સાંધાઓમાં થતો વાનો રોગ સમજીએ છીએ, પરંતુ એવું નથી. આપણે જેને પેટનો ગેસ કે વાયુ કહીએ છીએ તે વાયુ, પિત્ત કે કફમાંનો વાયુ નથી. આયુર્વેદના મતે વાયુને નવ્ર્સ સિસ્ટમ સાથે સરખાવી શકાય. ઉપરાંત શરીરની અંદર કોઇ પણ મુવમેન્ટને પણ વાયુની સાથે સાંકળી છે.
આંખમાંથી આંસુ બહાર આવવું, કોળિયો મોંમાંથી નીચે અન્નનળીમાં ઉતરવો કે પછી કોઇપણ વસ્તુને શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાયુદોષ જવાબદાર છે. આ વાયુ જ્યારે બગડે ત્યારે આવાં કાર્યોમાં પ્રોબ્લેમ થાય છે. સ્ટુલ તેમજ યુરિનને શરીરની બહાર ધકેલવામાં તથા તેના પર કંટ્રોલ કરવામાં વાયુ જ કારણભૂત છે. અત્યારે તો એમણે મને લોધ્ર, ખદિર, જાંબુ, કેરી એવી કેટલીક નિર્દોષ વનસ્પતિઓ બતાવી છે. જેનાથી તારી મમ્મીને યુરિન પર કંટ્રોલ કરવામાં સહાય થઇ શકે તેમ છે. પરંતુ આવા કેસોમાં પંચકર્મની બિસ્ત સારવાર વધારે ફાયદો કરે છે.
સ્ટુલ અને યુરિનનો કંટ્રોલ છુટી જવા પાછળ ગુદામાર્ગના અને મૂત્રમાર્ગના છેડે આવેલાં બંને દ્વારના સ્નાયુઓ ઢીલા થઇ ગયા હોય (આ પણ વાયુના જ કારણે થઇ શકે છે.) ત્યારે પણ બિસ્તઓ કામ કરી શકે. પણ આ બધા માટે ઘેર બેઠા અજમાવી લેવાના પ્રયોગો કરાય નહીં. દર્દીને જાતે જ લઇને યોગ્ય વૈદ્ય-ડોક્ટરની સારવાર માટે રૂબરૂ જવું પડે. લગભગ બધી સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં પંચકર્મની બધી સારવાર મફતમાં થઇ શકે છે. હાલ પૂરતા તો તારાં મમ્મીને ‘એડલ્ટ ડાયપર’ વાપરવાની સલાહ છે, પણ આપણે જેમ બને તેમ ઝડપથી એમને સારવાર મળે તેવું ગોઠવીશું. બસ સંતોષ થયો?’