દક્ષિણ અમેરિકામાં માયા સંસ્કૃતિ પ્રચલિત હતી. તેને અને શંકરાચાયેg જેની વાત કરી છે તે માયાને સંબંધ છે કે નહીં તે કહી શકાય એમ નથી કેમ કે સ્પેનશિ હત્યારા ગુંડા લુચ્ચા ને દગલખોર આક્રમણકારીઓએ ત્યાંની તેમની ભાષા, રહેણીકરણી, સંસ્કૃતિ અને ઈતિહાસની ઘોર ખોદીને સ્પેનશિ સામ્રાજ્ય સ્થાપી દીધું હતું જે હવે તે તે પ્રદેશો સ્વતંત્ર થયા બાદ પણ યુરોપની સાંસ્કૃતિક હકૂમત કાયમી છે. હમણાં હમણાંથી કેટલાક વિદ્વાનો અને દોષગ્રંથિથી દોરાયેલા યુવક યુવતીઓ ત્યાંની પુરાતન સંસ્કૃતિમાં રસ લેવા લાગ્યા છે.
જેમણે શોધી કાઢ્યું છે કે માયાન લોકો કાલગણના, દિનમાન વગેરેમાં પારંગત હતા અને એમનું પોતાનું સંવત્સર હતું અને તેમની કાલગણના મુજબ હાલ કલિકાળ જેવો સમય ચાલે છે, એનું ૫૧૨૫ વર્ષનું સમયચક્ર પૂર્ણ થવાની અણી ઉપર છે. જેમાં ચાલુ વર્ષના ડિસેમ્બરની ૨૧મી તારીખે સૃષ્ટિવ્યાપી પ્રલય થવાની વકી છે. અને અમે અંતે અમારા ઘરના મોરગેજ ભરવાની કડાકૂટનો, કાશ્મીરના પ્રશ્નનો, ઇઝરાયેલ-પેલેસ્ટાઇનના કજિયાનો, અલ કાયદાનો, વિશ્વના તમામ ટંટાઓનો નીવેડો આવશે, અણ્ણા સાહેબના અભિયાનનો અને અમારા ઇન-બોક્સમાં આવી ખડકાતા અગણિત સ્પામ લેટર્સનો ખાતમો થશે.
આ વાત માનવી, ન માનવી એ જે તે માનવીની મુનસફીની વાત છે, પણ અમને આવતી અનેક વણમાગી પણ લલચામણી ઇમેઇલોમાં એક સ્માર્ટ ટ્રાવેલ નામની કંપની કહે છે કે પ્રલય થવાનો હોય કે ન થવાનો હોય પણ તે ગાળામાં દુનિયાના કેટલાક અદ્ભુત સ્થળોએ ટ્રાવેલ કરવા જેવું છે, જ્યાં ટ્રાવેલ-હોટેલ વગેરેની વ્યવસ્થા એ લોકો સસ્તામાં કરી આપશે જેથી પલાંઠી વાળીને પ્રલયની લીલા નિહાળી શકાય.
સસ્તામાં ને મોંઘામાં પ્રલય જ થવાનો હોય તો પૈસા બચાવવાની વાતનો શો અર્થ, પણ ન થાય તો બચાવેલા પૈસા કામ લાગે, ને તમે તે સ્થળના ફોટા, વીડિયો પાડીને ‘અરે સાહેબ તમે નહીં માનો પણ તમારી અક્કલ કામ ન કરે’થી શરૂ કરીને તમારા મહેમાનોને બેભાન કરી શકો. ગગનવાલા જેવા જે લોકો રોજ કૂવો ખોદે છે ને રોજ પાણી પીએ છે એમને માટે તો સસ્તા કે મોંઘા શબ્દો જ નિરર્થક છે, પણ જેમી મૂર નામે પ્રવાસલેખક લિખિત સુહાની સફરનાં વર્ણન વાંચી વાંચીને રાજી થવાય.
મૂર સાહેબ ઇરાનની ઉત્તરે આવેલા તુર્કમેનિસ્તાનના દરવેઝે નામે ગામથી શરૂઆત કરે છે જેને દોખજનો દરવાજો કહેવાય છે. તેના કારાકુમ રેગિસ્તાન મધ્યે પ્રાકૃત અગનવાયુના ઝરણાં સતત દોખજની આગની જેમ ઝળહળે છે. સંભવ છે કે પ્રલયકાળે તે દોખજના દરવાજા ઊઘડે અને પછી રામ બોલો ભાઇ રામ. પણ સબૂર, આવું બધું ન ફાવે તો તે જ દેશમાંથી પસાર થતા ‘સિલ્ક રાઉટ’ ઉપર વસેલાં છે સમરકંદ અને બુખારા નામના ઐતિહાસિક નગરો જ્યાંથી એક જમાનામાં રેશમ-તેજાનાના અજીબોગરીબ કારવાં અવરજવર કરતા હતા. તૈમૂર લંગના જમાનાની અનુપમ કિંમતની રકઝક કાનને સંતપેg છે.
અથવા મસ્તષ્કને સંતર્પવું હોય તો પધારો કેલિફોનિયાના કલોવરડેલ ગ્રામની ભૂગર્ભ મધ્યશાળામાં જ્યાં પહાડમાં ૨૦૦ ફૂટ ખોદીને બનાવેલી ગુફામાં ૩૦૦ બેરલમાં ઉમદા શરાબ પ્રલયનો ભો ભાંગી શકે છે, અથવા ઓરેગનના ૧૦ રિકટર સ્કેલનો ભૂકંપ ખમી શકે એવા બોમ્બ શેલ્ટરમાં ભંડારયેલી બેશુમાર સ્કોચ, સ્ટાઉટ, એયલ આદિથી મજજાઓને પલાળીને પ્રલયની ઘડીને વધાવો.
અથવા યારો, ચલો બેલીઝ દેશના સાન ઇગ્નેસિયો પાસે ૧૪૩ ફૂટ ઊંચા માયા મંદિરના ખંડેર ઉપરથી માયાના તારીખિયાનું આખરી પાનું ફાડવા. કાઆના યાને ગગન ગુંબજ પર આવેલી રિઝોર્ટ તમને કારાકોલ કસ્બામાં મશાલ યાત્રા કરાવશે, જ્યાં માયાશૈલીનું આખરી ભોજન તમારા આંતરડાંને સંતર્પશે.
નહીં? તો હવાઇ દ્વીપોના હરિત ટાપુ માઉવીની મજલ કરો યારો, જ્યાં જગતના સૌથી રૂપકડી કુદરત તમને અંતિમ દર્શન આપશે. હવાઇ સંસ્કૃતિની રૂપકથા છે કે ત્યાંના કઆનાપાલી સાગર તટે પૂઊ કેઆઆ યાને કાલા ખડક ઉપરથી દિવંગત આત્માઓ પોતાના પૂર્વજોને ભેટવા ઠેકડો મારે છે. તમારી તબીયત કરે તો ત્યાંનું રિઝોર્ટ તમને ૩૫૦ ફૂટ ઊંચા ટેકરા ઉપરથી કૂદવાની સૈર કરાવશે.
અન્યથા, સાહેબાન મેક્સિકો જશો? ત્યાંનું પ્લાયા વિવા ગામ છે ને, ત્યાં આકાપુલકાના રસ્તે આવેલું એક રિઝોર્ટ જગત મિથ્યા થાય તો પણ બાવીસ સહેલાણીઓ આરામથી જીવી શકે એવી સોઇવાળું છે. તેમાં એક ઓર્ગેનિક ગાર્ડન છે. બાયોડિઝલથી દોડતાં વાહન છે, તેવું બળતણ પેદા કરતું કારખાનું છે, અને સૌરઊર્જાથી ચાલતું સ્વયંસંપૂર્ણ વિશ્વ છે. ત્યાંના માયા અને આઝટેક સંસ્કૃતિના ખંડરો તમને અલવિદા કહેશે.
ઓકે, હાવ એબાઉ...ટ માઉન્ટ કિલિમાન્જારો? તાન્ઝાનિયા નામ સાંભળ્યું છે? તાન્ગાનિકા અને ઝાન્ઝીબાર તે બે દેશોના સંયોજનથી બનેલા આ દેશનો ૧૯૩૪૦ ફૂટ ઊંચો કિલિમાન્જારો પર્વત પ્રલયંકર ત્સુનામીને ખાળી શકે તેવો અને મેગાકવેક સામે હસી શકે તેવો અડગ છે. હિમાલય જેટલો ઊંચો નથી પણ તેવો વિકટ પણ નથી.
એ પણ નહીં? એરિઝોનના કેન્યન દ ચેલીમાં આવેલા સ્પાયડર રોક ઉપર ચડશો કે? નવાહો પ્રજાની રૂપકથા મુજબ સૃષ્ટિનો આરંભ અહીંથી થયેલો. અહીંથી સ્પાયડર વુમનનો ઉદ્ભવ થયેલો જેણે માનવજાતિને દુષ્ટોદૈત્યોના પંજામાંથી ઉગારેલી. અહીં ઊભાં ઊભાં દુનિયાનો વિનાશ જોવો એ પણ એક લહાવો છે.
છેવટે ઇઝરાયેલના યરુશલામની ‘વેઇલિંગ વોલ’ પાસે ઊભીને ઉપરવાલાની બંદગી કરશો? યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સાથે મૂગા મૂગા ઘૂંટણિયે પડીને પરવરદિગાર પાસે દીર્ઘજીવનની દુઆ માગશો? આ બધામાં ચિત્ત ન ચોંટે તો ગ્વાતેમાલાના અતીતલાન ને તિકાલનાં ખંડરોમાં સાહેબ તમે નહીં માનો પણ પણ ખિસકોલી જેવડાં વામન વાનર વસેલાં છે. અને ત્યાંના લોકોમાં હજી માયા સંવત્સરનું ચલણ છે. ત્યાંના વડવાઓ ડિસેમ્બરના પ્રલયને મિથ્યા માને છે. કદાચ તેઓ સાચા બી નીકળે. કાલ કોણે દીઠી છે? જય માયા!