થોડા સમય અગાઉ આ જ સ્થળે ‘વિદ્યાસહાયકો નિષ્ઠા દાખવે’ એવા મથાળા હેઠળ લેખ લખાયો હતો. આ લેખના ઘણા જ તીવ્ર પ્રત્યાઘાત પ્રાપ્ત થયા છે. કેટલાક મિત્રોએ ઇ-મેઇલ તથા કેટલાક મિત્રોએ પત્ર દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી છે. થોડે મોડેથી આવેલા એક ઇ-મેઇલમાં તો ધમકી પણ અપાઇ છે. આ અંગે અહીં કોઈ ચર્ચા કરવાનો કોઈ ઇરાદો નથી. જેવા જેના સંસ્કાર અને જેવું જેનું શિક્ષણ! હકીકતમાં તે સમયે પણ એવી સ્પષ્ટતા કરાઈ હતી કે કેટલાક વિદ્યાસહાયકો માત્ર સરકારી નોકરી મેળવવાના આશયથી જ આ નોકરી લેતા હોય છે.
વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ આપવાની જે સંભાવના શિક્ષક તરીકે હોવી જોઈએ તેનો આવા વિદ્યાસહાયકોમાં અભાવ જોવા મળે છે. આ એક નિરીક્ષણ હતું. કોઈ ચોક્કસ ટિપ્પણી નહોતી કે વિદ્યાસહાયક મિત્રોને ઉતારી પાડવાનો પણ કોઈ આશય નહોતો. મોટા ભાગે એવું જોવા મળે છે કે સરકારી નોકરીને લોકો અત્યંત સહજતાથી લે છે. ખાનગીક્ષેત્રમાં (ગમે તે કારણોસર) નોકરી પ્રત્યેની જે નિષ્ઠા જોવા મળે છે, તેનો અહીં સંપૂર્ણ અભાવ હોય છે.
સરકારી નોકરીમાં બઢતી બદલી માટે પણ કાર્યનિષ્ઠાને ધ્યાનમાં લેવાતી નથી, તેવી જ રીતે કદર માટે પણ નિષ્ઠાને ધ્યાનમાં લેવાતી નથી. કોઈ વ્યક્તિ નિષ્ઠાથી કામ કરે અને કોઈ વ્યક્તિ કામચોરી કરે તો પણ તે બંનેના પગારમાં કોઈ ફરક હોતો નથી કે તેમની બઢતી બદલીની તકોમાં પણ કોઈ ફેરફાર થતો નથી. આથી મોટા ભાગના અન્યોની કામચોરી જોઈને તે શીખે છે. શિક્ષણનું ક્ષેત્ર એવું છે કે તેમાં આ પ્રકારની કામચોરી ચાલે નહીં. વિદ્યાસહાયકોને ઘણી મહેનત બાદ આ નોકરી મળે છે. આથી સ્વભાવિક જ તેમની પાસે અપેક્ષા હોય.
સરકારની ઓછા પગારની નીતિને ગુજરાત હાઇકોર્ટે તાજેતરમાં ફગાવી દીધી છે. તમામ હંગામી નિમણુંકને કાયમી નોકરીની જેમ ગણીને પૂરો પગાર આપવાનો આદેશ હાઇકોર્ટે કર્યો છે. આ આવકારદાયક બાબત છે. બીજી બાજુ કાર્યનિષ્ઠા અને નાણાંને પણ સીધો સંબંધ છે. સ્વભાવિક છે કે જ્યારે મહેનતના પ્રમાણમાં નાણાં ઓછા મળતા હોય તો કામચોરીનું મન થાય.
આ નિયમમાં ખાનગી ક્ષેત્ર પણ બાકાત નથી. શિક્ષકો એક નવી પેઢીને ઉછેરી રહ્યા હોય છે. આવી સ્થિતિમાં જો કામચોરી કરાય કે પૂરતી નિષ્ઠા દાખવાય તો એક આખી પેઢી તેનો ભોગ બનતી હોય છે. આથી એક શુભ આશયથી વિદ્યાસહાયકો પ્રત્યે પૂરી સહાનુભૂતિ દાખવીને એવું સૂચન અહીં જે તે સમયે કરાયું હતું કે વિદ્યાસહાયકોએ પૂરી નિષ્ઠા દાખવવી જોઈએ.
હવે કદાચ પૂરો પગાર મળવાની સ્થિતિમાં તેમની મહેનતના બદલામાં પૂરતું વળતર નહીં મળવાની ફરિયાદનો અંત આવતાં આપણે એવું ઇચ્છીએ કે તેઓ પૂરી નિષ્ઠાથી તેમની ફરજ બજાવશે.શહેરના સાધનસંપન્ન વર્ગના બાળકો જે રીતે સક્ષમ હોય છે તેટલા પ્રમાણમાં ગ્રામીણ ક્ષેત્રના બાળકો સજજ નથી હોતા. ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાસહાયકોની જવાબદારી આ સ્થિતિમાં વધી જાય છે. એવા પણ વિદ્યાસહાયક જોયા છે કે જેઓ ગામડાંના બાળકોને પોતાની રીતે આર્થિક મદદ કરતા હોય! આ એક આનંદદાયક બાબત છે.
શહેરનાં બાળકોની સામે જો ગ્રામીણ ક્ષેત્રનાં બાળકોને સંપૂર્ણ સજજ રીતે મૂકવા હોય તો આ ભગીરથ કાર્ય વિદ્યાસહાયકો જ કરી શકે છે. કોઈ વિદ્યાસહાયક આવું એક બાળક પણ સજજ કરીને શહેરના બાળકોની સામે સ્પર્ધામાં રજુ કરે તો એક મોટી સિદ્ધિ નોંધાવી કહેવાશે. જે રીતે શિક્ષણનો વ્યાપ વધી ગયો છે અને સાયબર યુગમાં શહેરનાં બાળકો જેટલાં એડ્વાન્સ હોય છે તેટલા ગ્રામીણક્ષેત્રનાં બાળકો હોતા નથી. વિદ્યાસહાયકો માટે આ એક મોટો પડકાર છે.
સરકારનાં સંસાધનો પણ કદાચ ટાંચાં પડે, પરંતુ જે વિદ્યાસહાયક સાધનસંપન્ન વર્ગમાંથી કે શહેરીક્ષેત્રમાંથી આવે છે તેણે ચોક્કસપણે ગામડાંનાં બાળકોને પોતાની રીતે એટલાં સજજ કરવા જોઈએ કે તે બાળક શહેરનાં બાળકોની સમકક્ષ આવી શકે. જે તે વિદ્યાસહાયકને પણ કાર્યનિષ્ઠાનો સંતોષ મળશે. આગામી વર્ષોમાં વધુ ને વધુ ગ્રામીણક્ષેત્રનાં બાળકો શહેરના બાળકો સાથે સ્પર્ધા કરતા જોવા મળે તેવી આ લખનારને પણ હોંશ છે.