પરખ : લોક સાહિત્ય અને ભજનનો હરતો ફરતો ભંડાર એટલે માયાભાઈ આહિર. મુળનામ માયાભાઈ વિરાભાઈ આહિર, જન્મ તા.૧૬-૦૫-૧૯૭૨, જન્મ સ્થળ : મહુવા તાલુકાના બોરડા ગામ પાસેનો આહિરોનો નેસ, કુંડવી ગામ, પ્રાથમિક અને માધ્યમિક ૧૦ ધોરણ સુધીનું જ ભણતર અનુક્રમે કુંડવીમાં-બોરડામાં અને ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં લીધું. ભણતર પછીનું ગણતર તેણે લોકસાહિત્યના ડાયરામાંથી મેળવ્યું. જન્મે ભલે ચારણ નહીં પણ જીભનાં ટેરવે ‘માં સરસ્વતી’નો વાસ એવો કે લોક સાહિત્યની ખળખળ વહેતી ગંગા જ જોઈ લ્યો.
લોકસાહિત્યની શરૂઆત: સૌ પ્રથમ લોકસાહિત્યનો કાર્યક્રમ મહુવાનાં આંગણે અને બીજો કાર્યક્રમ ભાવનગરમાં કર્યો, અને તેની સુવાસ ગુજરાત અને ભારતના સીમાડાઓ વટાવી પરદેશમાં પણ પહોંચી.
આ ક્ષેત્રનું ખેડાણ : છેલ્લા ૧૨ વર્ષમાં ૩૦૦૦ જેટલા કાર્યક્રમો આપી ચૂકયા છે. ભારતના મોટાભાગના પ્રાંતો ઉપરાંત ઈંગ્લેન્ડ, યુ.એસ.એ., આફ્રિકા, કેનેડા અને દુબઈમાં કાર્યક્રમો આપી ચૂકયા છે.
લોક સાહિત્ય વિષેનો અભિપ્રાય : લોક સાહિત્યના ચોરાએ માણસ બનાવવાની જે વાતો આપી છે તે આધ્યાત્મિક ફિલોસોફી ગ્રંથોથી પણ ઉપર છે. કલાકારો લોક સાહિત્યને જીવાડતા નથી પણ લોક સાહિત્ય કલાકારોને જીવાડે છે. તાલ, સૂર અને સ્વરનો ત્રિવેણી સંગમ એટલે લોક સાહિત્યની ગંગા-યમુના અને સરસ્વતી છે. અને એટલે જ તેઓ માને છે કે ભલે લોક સાહિત્યકારો માથે ન હોય નળીયા તો પણ તેને તો ડાયરો એટલે મોજે દરિયા.
વિચારમંત્ર : લોક સાહિત્યના કાર્યક્રમો દ્વારા દેશ-દાઝ ઉભી કરવી, ભારતીય સંસ્કૃતિની સેવા કરવી, ભારતની એકતા, અખંડીતતા જાળવી રાખવા, લોક સાહિત્યના વારસાની જાળવણી કરતા-ગાતા અને વહેતા રહેવું એ જ જીવનમંત્ર છે.
લોક કલાકારોને સંદેશો : સૌરાષ્ટ્રની ભાતગિળ લોક સાંસ્કૃતિનું જતન કરવા માટે તેની સાચી પરખ કેળવવી અને તેના સથવારે જીવનમાં આગળ વધવું.