બધા ટેસ્ટ નોર્મલ હોવા છતાં મનોરમા કાકીને ક્યારે શ્વાસ ચડી જાય એ કહેવાય નહીં. છેલ્લે ડોક્ટરે જ કહ્યું કે એમને કંઇક સાઇકોલોજિકલ પ્રોબ્લેમ લાગે છે.
‘એમનોરમા કાકી છે. અમે જોઇન્ટ ફેમિલીમાં રહીએ છીએ. અમારા વડીલ યશવંતકાકા ગયા વર્ષે ગુજરી ગયા. બાવન વર્ષે સડન હાર્ટએટેક આવ્યો. કાકી હમણાંથી દરેક વાતે ચીડાઇ જાય છે. એમને માઇગ્રેનની તકલીફ થઇ છે. અમે ન્યુરોલોજિસ્ટને બતાવ્યું. ચેસ્ટ ફિઝિશિયને પણ ચેક કર્યું. એવરીથિંગ ઇઝ નોર્મલ. એમને ગમે ત્યારે અચાનક શ્વાસ ચડી જાય. એકાદ વખત એડમિટ પણ કર્યા હતાં. બધા ટેસ્ટ નોર્મલ છે. મનોરમા કાકીને ક્યારે શ્વાસ ચડી જાય એ કહેવાય નહીં. છેલ્લે અમને ડોક્ટરે જ કહ્યું કે કંઇક સાઇકોલોજિકલ પ્રોબ્લેમ લાગે છે. એટલે તમારો સંપર્ક કર્યો.’ રાજશેભાઇ કાકીની હિસ્ટ્રી આપી.
મારું ધ્યાન બરાબર એ વખતે મનોરમાકાકી ઉપર જ હતું. જ્યારે જ્યારે એમનું નામ બોલાતું ત્યારે એ એકદમ જોરથી શ્વાસ લેવા લાગતા. થોડા રિલેકસ થયા પછી કાકીને વિગતવાર પૂછવાનું શરૂ કર્યું. કાકા વર્ષો સુધી ગામડામાં રહ્યા. ત્યાં ગ્રામ પંચાયતના સરપંચ હતા. એટલે માન-મોભો જબ્બર. કાકી પણ ‘મિસિસ સરપંચ’ એટલે એમને પણ પણ ગામમાં બધા પ્રેમથી માન આપે. મોટો અને નાનો દીકરો તેમજ વહુઓ શહેરમાં રહે.
યશવંતકાકાની અચાનક વિદાય પછી કાકીને શહેરમાં દીકરા અને વહુ સાથે આવવું પડ્યું. અહીં બધાએ એમને રાખવા માટે કોઇ વાંધો લીધો નહીં, પરંતુ દરેક જણ શહેરની બિઝી લાઇફમાં પ્રવૃત્ત. એમના નાના પાૈત્રો પણ ડે-સ્કૂલમાં ભણે એટલે આખો દિવસ બહાર જ રહે. બંને દીકરાઓને નાઇન ટુ ફાઇવ જોબ. અને બંને વહુઓ એક બુટિક ચલાવે. એટલે બિઝી બિઝી શહેરી સંસાર અને એમાં મનોરમાકાકી એકલાં પડી ગયાં હતાં.
મનોરમાબહેનનું નિદાન ‘સાઇકોજેનિક અસ્થમા’ સાથે ‘માઇલ્ડ ડિપ્રેશન’ કહી શકાય. એમની હિસ્ટ્રી સૂચવે છે કે માન-મોભામાં અચાનક ઘટાડો, એકલતા અને જીવનસાથીનું અચાનક ગુજરી જવું એ બધા એમના શ્વાસ ચડવાની તકલીફનાં કારણો હતાં. મનોવિશ્લેષણ એવું સૂચવે છે કે એમને કોઇ અચેતનપણે કોઇ શારીરિક ફરિયાદ થાય તો આખું ઘર ખડે પગે હાજર થઇ જતું. સૌ ખબર-અંતર પૂછવા વીંટળાઇ વળતા.
અંદરથી પોતાને આવું બધું ગમે. એટલે વ્યક્તિ પોતાના રોગને પોતાનું ઇમોશનલ આશ્રયસ્થાન માની લે અને એ શારીરિક ફરિયાદોની જાળમાંથી કદી બહાર આવવા પ્રયાસ જ ન કરે. એટલું નક્કી છે કે આવાં લક્ષણો દર્દી જાણી જોઇને કરે એવું કાયમ નથી હોતું. મોટાભાગના કિસ્સામાં આ વર્તન અચેતન માનસ દ્વારા થતી આસપાસના લોકોની પોતાના પ્રત્યે ધ્યાન ખેંચવાની એક પૂરક પ્રવૃત્તિ હોય છે.
રાજેશભાઇને એક અગત્યની સૂચના આપવામાં આવી કે ‘કાકીનું ઘરમાં માન જળવાય એવા બધા જ શક્ય પ્રયત્નો કરવા. એમને પૂછીને તમને ગમતા ઓપ્શનો આપી કામ કરશો તો એમને ઘરમાં પ્રવાહમાં જોડી શકશો. કાકીની માનનીય માંદગીને દૂર કરવા કૌટુંબિક સહકાર અનિવાર્ય છે.’
મનોરમાબહેનને સાઇકોથેરાપી આપવામાં આવી. ત્રણેક માસની સારવારના અંતે હવે શાંતિથી શ્વાસ લે છે. નવી પરિસ્થિતિને સ્વીકારે છે. ઇમોશનલ સ્વાયત્તતા પ્રાપ્ત કરીને ઘરના લોકોમાં ભળી ગયાં છે.
વિનિંગ સ્ટ્રોક : માન અને અપમાન આ બંનેની ટેવ પડે એ માનસિક સ્વાસ્થ્ય માટે ભયજનક હોય છે.