હિંદુ દેવીઓનાં વિવાદાસ્પદ પેઇન્ટિંગ્સને કારણે ભારતના પિકાસો તરીકે ઓળખાતા એમ.એફ. હુસેન સામે ભારત અને અમદાવાદમાં વિવાદ જાગ્યો હતો. આ ચિત્રકારનાં અંગત સંસ્મરણોની વાત માંડે છે...
અમદાવાદ શહેરમાં આર્કિટેકચર અને ઇન્ટિરિયર ડિઝાઈન જેમ જેમ ડેવલપ થતું ગયું તેમ તેની સાથે આર્ટ હબ પણ બનતું ગયું. અમદાવાદ શહેરમાં એજ્યુકેશન માટે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. આર્ટસ, સાયન્સ, કોમર્સ, સ્કૂલ ઓફ આર્કિટેકચર, સ્કૂલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઈન, હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, કનોરિયા આર્ટ સેન્ટરની પણ અમદાવાદ એજ્યુ. સોસાયટી દ્વારા કાર્યરત રહી.
અમદાવાદનો જે વિકાસ ખૂબ જ આગળ વધતો રહ્યો તે જ પરિસ્થિતિમાં એમ. એફ. હુસેને અમદાવાદમાં કલાનું વાતાવરણ આગળ વધે તે હેતુથી અમદાવાદ એજ્યુ. સોસાયટી સાથે મળીને આર્ટ પ્રોજેક્ટ થાય તેવી રજૂઆત કરી. શેઠ શ્રેણિકભાઇ કસ્તુરભાઇ નામાંકિત આર્કિટેકટ બી. વી. દોશીસાહેબ, એમ. એફ. હુસેન અને ગુણવંત મંગળદાસ સાથે વાતચીતો શરૂ થઇ અને અમદાવાદમાં દોશી-હુસેન ગુફા બનાવવાનું નક્કી થયું. ત્યારબાદ અમદાવાદમાં સતત હુસેન આવતા થયા અને અમદાવાદ શહેરના નાગરિકોને નેશનલ, ઇન્ટરનેશનલ આર્ટથી પરિચિત થાય તેવા હેતુથી દોશી-હુસેન ગુફાનું સંચાલન થયું.
અમદાવાદના અનિલભાઇ રેલિયાની અમદાવાદની ગુફાના ડિરેક્ટર તરીકે નિમણુંક કરી. ગુણવંત મંગળદાસ સાથેના હુસેનના જૂના પરિચય અને હુસેનનાં અદ્ભુત પેઇન્ટિંગ્સ કલેક્શન ધરાવતા હોવાથી તેમની ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી. આદરણીય અનિલભાઇ રેલિયાએ અને મુરબ્બી ગુણવંત મંગળદાસે મારી નિમણુંક અમદાવાદની ગુફાના ઇન્ચાર્જ તરીકે કરી. અનિલભાઇ રેલિયાએ અમદાવાદની ગુફાનું શરૂઆતથી જ સફળ આયોજન કર્યું. અમદાવાદની ગુફામાં હુસેનનું સતત આવવા-જવાનું થયું. તેનાથી એક આર્ટ કલેક્ટરનું ગ્રૂપ નેશનલ, ઇન્ટરનેશનલ ગેલરીના આયોજકો અમદાવાદમાં હુસેન અને અનિલભાઇ રેલિયાના હિસાબે આવતા થયા.
અનિલભાઇ રેલિયાએ પ્રદર્શનના સફળ આયોજન સાથે અમદાવાદની ગુફામાં નાનાં બાળકોના વર્કશોપનું આયોજન કર્યું. એક વખત અનિલભાઇ રેલિયા, વર્કશોપ ચાલુ હતો ત્યારે હુસેનને લઇને આવ્યા. ત્યારે હુસેને ખૂબ જ ખુશી વ્યક્ત કરી એક ઇન્ટરનેશનલ માર્કેટમાં જેમનું ખૂબ જ મોટું નામ છે તે ચિત્રકાર નાનાં બાળકો સાથે ચિત્રની વાતચીતમાં જોડાઇ ગયા. બાળકો સાથે હુસેનનો વાર્તાલાપ શરૂ થયો. વિદ્યાર્થીઓ, વાલીઓ, બાળકોની સાથે હુસેને જે વાર્તાલાપ કર્યો તેનાથી ખૂબ ખુશી વ્યક્ત કરી. જ્યારે પણ હુસેન અમદાવાદ આવે ત્યારે અનિલભાઇ સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક કલાપ્રવૃત્તિઓ અંગે વાતચીત કરે.
કોઇપણ તકલીફ હોય તો તાત્કાલિક તેનું નિરાકરણ કરે. વર્ષો સુધી હીરાલાલે પટાવાળા તરીકે ત્યાં સેવા આપી ત્યારે સવારે અથવા જ્યારે પણ આવે ત્યારે હુસેન અને દોશીસાહેબ ખાસ લીલી ચા બનાવડાવતા અને લોનમાં બેસીને અનિલભાઇ, હુસેન અને બી. વી. દોશીસાહેબ સતત કલાપ્રવૃત્તિઓ વિશેની વાતચીત કરતા. ચેતન રાવલ, ડાયેના રાવલ, ભરત ઠક્કર, કિરણ જોષી, યોગેશ ઠક્કર જેવા અનેક કલાકારોએ ગુફાના ડોમ ઉપર નાટક ભજવ્યું હતું. આજે પણ તે નાટકને લોકોએ ખૂબ જ યાદ કરે છે.
અમદાવાદની ગુફા સતત કાર્યરત રહી ત્યારે કેટલાંક તોફાની તત્વોએ ત્યાં તોફાન કર્યું અને હુસેનના કેટલાક ધર્મો ઉપર કરેલાં તમામ ચિત્રો બાળી નાખવામાં આવ્યાં. થોડા સમય પૂરતી ગુફા બંધ રાખવામાં આવી. અમદાવાદના નામાંકિત માણસોએ હુસેનની સાથે રહીને તેમનો અવાજ લોકો સુધી પહોંચાડ્યો અને આર્ટ પ્રવૃત્તિઓ ફરીથી શરૂ થાય તેવા પ્રયત્નો કર્યા. ફરીથી તોફાની તત્વોએ નુકસાન પહોંચાડવાનું કામ ચાલુ રાખ્યું.
તેવા સંજોગોમાં દોશી-હુસેનની ગુફાનું નામ બદલવામાં કેટલીક વ્યક્તિઓનું દબાણ વધ્યું. હુસેનસાહેબે ખૂબ જ નમ્રતાપૂર્વક વિવેકથી મિટિંગમાં કહ્યું, ‘મેરા નામ બદલ ડાલો.’ ત્યારબાદ ‘અમદાવાદની ગુફા’નું નામ રાખવામાં આવ્યું. ફરીથી અમદાવાદની ગુફાની શરૂઆત થઇ. આજે પણ ભારતીયો અને પરદેશના લોકો આવે છે ત્યારે સુંદર ચિત્રો અને બી. વી. દોશીસાહેબે ગુફાની કરેલી અદ્ભુત ડિઝાઈનનો ત્યાં બેસીને આસ્વાદ માણે છે.
હુસેને ચિત્રો સિવાય ફિલ્મનું દિગ્દર્શન પણ ખૂબ જ સુંદર રીતે કર્યું. ‘ગજગામિની’, ‘મીનાક્ષી’ અને ‘રાજસ્થાન’ જેવી આર્ટ ફિલ્મો બનાવી. ‘ગજગામિની’ ફિલ્મનું નિર્માણ પૂરું થયા પછી તેનો પ્રિમિયર શો અનિલભાઇ રેલિયાએ અમદાવાદમા સિટી પલ્સ મલ્ટિપ્લેક્સમાં રાખ્યો. એક અઠવાડિયા સુધી સિટી પલ્સના ગ્રાઉન્ડમાં બેસીને અદ્ભુત સેટ તૈયાર કર્યો અને મિસ્ત્રીઓ સાથે પોતે બેસીને તેને સમજાવતા ત્યારે હું અને મારા કેટલાક સાથી કલાકારો ત્યાં રહેતા.
બપોર પછી હુસેન અને અનિલભાઇ રેલિયા સિટીપલ્સથી અમદાવાદ આવવા નીકળ્યા. મને બરાબર યાદ છે કે અનિલભાઇએ મને કહ્યું હતું, ‘ મહેન્દ્ર, મારે કેટલીક વ્યક્તિઓને આમંત્રણ કાર્ડ મોકલવાનાં છે, તો હું જાઉં છું.’ એક કલાક પછી કેટલાંક તોફાની તત્વો આવ્યાં અને સિટીપલ્સ થિયેટરમાં હુસેને બનાવેલો સેટ અને ‘ગજગામિની’નું મારું પોસ્ટર; જેમાં માધુરી દીક્ષિતના પોટ્રેટને તોડી-ફોડી નાખ્યા.
પ્રિમિયર શો તાકીદે કેન્સલ કરવામાં આવ્યો. અનિલભાઇએ હુસેનને વાત કરી ત્યારે હુસેને ખૂબ જ શાંતિથી એક પ્રશ્ન પૂછ્યો , ‘કોઇ આર્ટિસ્ટ કે કોઇ પણ માણસને વાગ્યું નથી ને? મને અને મારા સાથીમિત્રોને તે વખતે કેટલાક માણસોએ રૂમમાં પૂરી દીધા હતા. મેં જ્યારે જ્યારે હુસેનને ચિત્રો બનાવતા જોયા ત્યારે ૭૦ થી ૭૫ વર્ષની ઉંમરે યુવાન માણસને શરમાવે તેવું પેઇન્ટિંગ બનાવતા.
હુસેને દોરેલાં ધાર્મિક ચિત્રોથી ભારતમાં તેમની ઉપર કોર્ટમાં કેસો થયા. સંજોગવશાત્ ભારત છોડીને તેઓ કતાર જતા રહ્યા અને ત્યાંના દેશનું નાગરિકત્વ સ્વીકાર્યું. કતારમાં કામ કરતા હતા ત્યારે પણ તેમની ભારતમાં મુંબઇ પાછા આવવાની ખૂબ ઇચ્છા હતી. લંડન ગયા ત્યાં એક હોસ્પિટલમાં દેહ છોડ્યો. ભારતમાં પાછા ફરવા માટેની તેમની ઇચ્છા અધૂરી રહી ગઇ. કેન્વાસ અને કલર્સ, બાબાને ગુડબાય કહેતા હશે.