હાલ ભારત સહિત વિશ્વના અન્ય દેશોના નાગરિકોને એક નવું ભૂત વળગ્યું છે, અને તે પોતાના શરીરને સ્લીમ એટલે કે પાતળું અને સુડોળ રાખવાનું. આ ચેપ આપણે ત્યાં પણ પ્રસર્યો છે. શરીર સુડોળ હોવું એ એક સારી બાબત છે, પરંતુ તેને સુડોળ બનાવવાના પ્રયત્નોમાં બીજી કોઈ ઉપાધિમાં ન મુકાઈ જઈએ તેની ખાસ સાવચેતી રાખવી જોઈએ. મનફાવે તે રીતે શરીરને પોષણક્ષમ ખોરાકથી વંચિત રાખવાથી પ્રજનન શક્તિ પર માઠી અસર પડે છે. આ બાબત પુરુષ તથા સ્ત્રી બંનેને સમાન રીતે લાગુ થાય છે. ખોરાકની સીધી અસર તમારી પ્રજનન શક્તિ પર થાય છે. આથી જો તમે નિયમિત સમતોલ આહાર લેતા હોવ તો તંદુરસ્ત બાળક જન્મવાની પૂરી શક્યતાઓ છે.
તમને પણ ક્યારેક વિચાર આવે કે ભવિષ્યના પિતા તરીકે મારો આહાર કેટલો મહત્વનો છે?
અતિ મહત્વનો. તમારી વીર્યઉત્પાદન ક્ષમતાનો સીધો આધાર પોષણક્ષમ આહારના સેવનમાં રહેલો છે. ભોજનની અનિયમિતતા તથા નિયમિત શરાબ સેવનને કારણે શુક્રાણુઓના જથ્થા તથા તેની ગુણવત્તા પર અસર થાય છે. જેને પરિણામે પ્રજનન શક્તિમાં ઘટાડો થાય છે. જોકે વંધ્યતા માટે પુરુષ અને સ્ત્રી બંનેમાં રહેલી ઊણપો જવાબદાર હોઈ શકે છે. આમ છતાં ૫૦ ટકા જેટલા કેસોમાં વંધ્યતા માટે પુરુષમાં રહેલી ઊણપો જવાબદાર હોય છે.
નિયમિતપણે પોષણક્ષમ આહાર લેવાથી પ્રજનન શક્તિમાં નોંધપાત્ર સુધારો કરી શકાય છે. ગભૉધાન પૂરતું જ તમારે તમારા આહારમાં ફેરફાર કરવાની જરૂર છે તેવું નથી. સંશોધનોએ પુરવાર કર્યું છે કે જે મહિલાના પતિ તેની પત્નીના ગભૉધાનના મહિના અગાઉ નિયમિત રોજના બે કે તેથી વધુ પેગ શરાબનું સેવન કરે છે તેના નવા જન્મનાર બાળકનું વજન અન્ય બાળકોની સરખામણીએ સરેરાશ ૬.૫ ઔંસ ઓછું હોય છે. જન્મ સમયે સરેરાશ કરતાં ઓછું વજન ધરાવતાં બાળકોને ભવિષ્યમાં પણ શારીરિક તકલીફો થવાની સંભાવનાઓ વધારે રહે છે.
નવપરિણીત પુરુષોનો સમતોલ આહાર કેવો હોવો જોઈએ ?
સામાન્ય રીતે જે પ્રમાણે મહિલાઓ ગભૉધાન પહેલાં અને પછી આહારમાં સાવચેતી રાખે છે, તે જ રીતે પુરુષોએ પણ સાવચેતી વર્તવી જોઈએ. શુક્રાણુઓના જથ્થા તથા તેની ગુણવત્તાને ટકાવી રાખવા માટે બને તેટલા વધારે પ્રમાણમાં વિટામિન ‘સી’ વાળો ખોરાક લેવો જોઈએ. એક ગ્લાસ નારંગીના જયૂસમાંથી ૧૨૪ મિલીગ્રામ વિટામિન સી મળે છે. જો તમે ધૂમ્રપાન કરતા હો તો રોજના બે ગ્લાસ નારંગીનો જયૂસ પીવાની ટેવ પાડૉ. ધૂમ્રપાન છોડી દો તો સૌથી સારું શરીરમાં થોડાક સમય માટે પણ ઉદભવેલી ઝીંકની ઊણપ પણ શુક્રાણુ તથા ટેસ્ટોસ્ટેરોનના સ્તરના ઘટાડા માટે જવાબદાર બને છે. આથી રોજ ૧૨- ૧૫ ગ્રામ ઝીંકવાળો ખોરાક લેવો જોઈએ. ભૂંજેલા કઠોળમાંથી તે પૂરતા પ્રમાણમાં મળે છે.
વિટામિન ‘ડી’ અને કેલ્શિયમની માત્રા વધારો. પુરુષની પ્રજનન શક્તિ વધારવા માટે રોજના ૧૦૦૦ ગ્રામ કેલ્શિયમ તથા ૧૦ માઈક્રોગ્રામ વિટામિન ‘ડી’ લેવાની ભલામણ કરાઈ છે. ઓછા ફેટવાળું દૂધ કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત છે.આ સમયગાળા દરમિયાન શરાબનું સેવન બને ત્યાં સુધી સદંતરપણે બંધ કરી દેવું જોઈએ. શરાબ, બીયર કે સ્પિરિટના સેવનને કારણે ટેસ્ટોસ્ટેરોનના જથ્થામાં ઘટાડો થવા પામે છે.
આહાર સિવાય અન્ય કઈ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ?
તમારી પ્રજનન શક્તિનો મુખ્ય આધાર તમારી જીવનશૈલી સાથે સંકળાયેલો છે. મહત્વની બાબત એ છે કે એકવાર પ્રજનન શક્તિને નુકસાન કરનારી બાબતોની જાણકારી મેળવી લીધા પછી તેની પર નિયંત્રણ મેળવવું જરાયે અઘરું નથી.
જાકુઝી, સોના તથા ચુસ્ત વસ્ત્રો : પ્રજનન શક્તિની ક્ષમતા જાળવી રાખવા માટે તથા શુક્રાણુઓના ઉત્પાદનની માત્રા જળવાઈ રહે તે માટે અતિશય ગરમીવાળું વાતાવરણ હાનિકારક છે. તેને કારણે વૃષણની શક્તિ કુંઠિત થઈ જાય છે. શરીરના તાપમાન કરતાં એક- બે ડિગ્રી ઓછું તાપમાન એટલે કે ૩૪.૫થી ૩૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વૃષણ માટે યોગ્ય છે. સ્ટીમબાથ, સોનાબાથ, એકદમ ચુસ્ત ચિડ્ડી કે અંડરવીયર વગેરેને લીધે વૃષણ વધારે પડતી ગરમી અનુભવે છે જેને કારણે શુક્રાણુઓના ઉત્પાદન પર અસર થાય છે.
જોખમી કાર્યસ્થાન: કિરણોત્સર્ગી વાતાવરણના સતત સંસર્ગને કારણે શુક્રાણુઓની માત્રામાં ઘટાડો થાય છે, જે ખામીવાળા બાળકના જન્મ માટે જવાબદાર બને છે અને છેલ્લે જો તમે એક તંદુરસ્ત અને સુંદર બાળકના પિતા બનવાની ઈચ્છા ધરાવતા હો તો તમારે તમારી પત્નીના ગભૉધાનના થોડાક મહિનાઓ અગાઉ તમારી જાતને પણ સમતોલ આહાર લેવા માટે કેળવવી પડશે.આ ઉપરાંત ધૂમ્રપાન, શરાબ કે અન્ય હાનિકારક ટેવોથી પણ દૂર રહેવું પડશે.
(લેખક સાલ હોસ્પિટલમાં ચીફ સેક્સોલોજિસ્ટ અને વ્યંધત્વ નિષ્ણાત છે.)