હિટલરને સંતાન ન હતું પણ તેને કેલૈયા જેવો કુંવર હોત તો એ કુંવરને ગાદીએ લાવવા બીજા લાખો જણને ખતમ કરવા પડત તો એમ કરતાં હિટલરનું રૂંવાડુંય ના ફરક્ત-એક સમય પ્રજા ના રહેત તોય સવાલ નથી, પણ પુત્રને એકવાર તો સત્તાસ્થાને ચોક્કસ સ્થાપત.
થોડા દિવસ પહેલાં શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેએ વ્યંગમાં કહ્યું હતું કે બોલો, હવે રાહુલ ગાંધીને ભારતના પ્રધાનમંત્રી બનવું છે, વિદેશીકુળ ધરાવતી તેની મમ્મી સોનિયા ગાંધી તેને પ્રાઇમ મિનિસ્ટર બનાવવા મેદાને પડી છે. બાલાસાહેબને કોઇ કશું ગુસ્સાથી પૂછી શકતું નથી એવી એમની આજેય ધાક છે, પરંતુ તેમને પ્રેમથી પૂછી શકાય ખરું કે સાહેબ, સોનિયાજી તેમના સુપુત્રને વડાપ્રધાન નહીં બનાવે તો કોને, તમારા સુપુત્ર ઉદ્ધવભાઇને આ ખુરશી ઓફર કરશે?
આવો, બિલકુલ આવો જ કિસ્સો આજથી હજારો વર્ષ પૂર્વે, રામાયણકાળમાં બની ગયો હતો, જેને લીધે રામાયણ ઊભી થઇ હતી. દશરથરાજાની લાડકી રાણી કૈકેયી વિદેશી હતી એવું વાલ્મીકિએ લખ્યું છે. અયોધ્યાની સત્તા હસ્તગત કરવામાં તેનું વિદેશીકુળ આડે આવશે-પ્રજા નહીં સાંખી લે એમ જણાતાં કૈકેયીએ તેના એકમાત્ર પુત્ર ભરતને રાજગાદી અપાવવા દશરથરાજા સાથે કાળો કકળાટ કરી મૂક્યો ને શ્રીરામને વનમાં મોકલીને ભરતને રાજપાટ અપાવ્યું, તેણે એવું પણ વિચાર્યું હશે કે એક સમયે યુવરાજ રાજ્ય ચલાવવા માટે કાચો પડશે તો રાજકાજમાં તેને મદદ કરવા હું બેઠી જ છું ને! - રિમોટ કન્ટ્રલોથી હું રાજ્ય કરીશ. મને એનો મહાવરો છે.
અને ધંધો ઘરનો હોય એમાં ભાગીદાર તરીકે તો પોતાના કુટુંબના જ સભ્યો લેવાના હોય ને! છતે છોકરે ગામના બ્રાહ્નણના સોગંદ ખવાય? કેમ, દુર્યોધનના રાજ્યમાં મામા શકુનીનો કારભાર નહોતો? રામચંદ્રજી પોતાના મંત્રીમંડળમાં રાવણના પુત્ર ઇન્દ્રજિતના સાળાને સ્થાન આપશે? માયાવતી તેમના ભાઇ, ભત્રીજા કે ભાણિયાને તડકે મૂકીને મુલાયમસિંહ યાદવના પુત્રને કોઇ મલાઇદાર ખાતાનો મંત્રી બનાવશે?
૧૯૮૯નાં વર્ષમાં હરિયાણાના ચીફ મિનિસ્ટર એવા દેવીલાલે પ્રધાનમંડળમાં તેમનાં ઘણાં સગાં-સ્નેહીઓને ગોઠવી દીધા ત્યારે બહુ ઊહાપોહ થયો હતો ત્યારે દેવીલાલે પણ આવી જ દૈવી વાત કરી હતી કે મારા વહીવટમાં હું મારાં જ સગાંઓને કામ ન આપું તો કોને આપું?- શું મારે બંસીલાલ કે ભજનલાલનાં સગાંઓને ઠેકાણે પાડવા જોઇએ? દેવીલાલની વાત બિલકુલ વ્યવહારિક છે.
જોકે આ વાત નવી નથી. નેપોલિયન જેવા નેપોલિયને તો પોતાનાં ભાઇ-ભાંડુઓને જ્યાં જગ્યા પડી ત્યાં અને જગ્યા ન હતી ત્યાં જગ્યા ઊભી કરી રાજા બનાવી બેસાડી દીધા હતા, પણ એક વાતની અવશ્ય દાદ દેવી પડશે કે પોતાના તંત્રમાં તેના સિવાય અન્ય કોઇને લાગવગ ચલાવવાનો અધિકાર તેણે નહોતો આપ્યો, સગાંવાદ બહુ સીમિત રાખ્યો હતો.
ભાઇ જોસેફ બોનાપાર્ટને પહેલાં નેપલ્સનો ને ત્યાર બાદ સ્પેનનો રાજા બનાવેલો. લૂઇ બોનાપાર્ટને તેણે હોલેન્ડનો રાજા નીમ્યો હતો. એક ભાઇ જેહોમ બોનાપાર્ટને વેસ્ટ ફાલિયાનો રાજા બનાવ્યો હતો. તેની માતા લૈટશિયા નાદુરસ્ત તબિયતને કારણે રાજ્ય કારભાર સંભાળી શકે તેમ ન હોવાથી નેપોલિયને તેને ઘણું મોટું પેન્શન બાંધી આપ્યું હતું. રાજા થઇને દીકરો પોતાના કુટુંબ માટે આટલુંય ના કરે!
રાજા, એમને તો ઇન્દિરાજીએ કલમના એક જ ગોદે હતા-ન હતા કરી નાખ્યા ને એ સિંહાસન પર મંત્રીઓને બેસાડી દીધા. એટલે હવે મંત્રી ઊઠીને પોતાનાં સગાં-સ્નેહીઓનું ધ્યાન નહીં રાખે તો કોણ રાખશે? ગાંધીજી કે લાલબહાદુર શાસ્ત્રી જેવા અવ્યવહારુ બાપ હોય એ જ પોતાનાં સંતાનોની ચિંતા ના કરે-ગાંધીબાપુ રાષ્ટ્રપિતા તરીકે ભલે સફળ થયા, પણ એક બાપ તરીકે તો સક્સેસફુલ ના જ ગયાને! રાષ્ટ્રપિતા વડાપ્રધાન કે મુખ્યપ્રધાન તરીકે સફળ થવા કરતાં એક બાપ, કાકા, મામા, ભાઇ કે શ્વશુર લેખે સો ટકા સફળ થવું એ જ મહત્વની વાત છે. બાકી પ્રધાનપદું તો આજે છે ને કાલે નથી.
આ હકીકતની પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ-કેશુબાપાને જાણ હતી, આજના સી.એમ. સર્વેસવૉ નરેન્દ્રભાઇ મોદીને નથી લાગતી. નરેન્દ્રભાઇનો સગો નાનોભાઇ વર્ષોથી ન.મો. મુખ્યમંત્રી બન્યા ત્યાર પહેલાંથી ગુજરાત સરકારની-હવે ભાઇની સરકારમાં નોકરી કરે છે. એકવાર કામસર નાનોભાઇ મોટાભાઇ પાસે ગયો એ કહેવા નહીં કે મને ફલાણા નિગમનો અધ્યક્ષ બનાવી દો. ફકત પોતાની ટ્રાન્સફર અટકાવવી હતી. ભાઇના કાને વાત નાખી. મોટાભાઇએ જણાવ્યું: ‘પંકજભાઇ, (નામ બદલ્યું નથી) સરકારી નોકરીમાં જોડાતાં પહેલાં આપણને એ વાતની ખબર હોવી જોઇએ કે બદલી તો આવવાની, નોકરી કરવી હોય તો જ્યાં મોકલે ત્યાં જવું પડે, બીજુંં કંઇ?’
જોકે બધા જ મંત્રીઓ ન.મો. જેટલા સમર્થ નથી હોતા એની એમનાં સગાં-વહાલાંઓને જાણ નથી હોતી. ઉ.ત. જેમના માથે આખાય ગુજરાતના શિક્ષણનો બોજ છે એવા આપણા શિક્ષણમંત્રી રમણભાઇ વોરાએ વચ્ચે નમ્રતાથી કહ્યું હતું કે એક ભાઇ મારી પાસે બદલી માટે આવ્યા ત્યારે મારે તેમને કહેવું પડ્યું કે હું મંત્રી હોવા છતાં મારા દીકરાની વહુની ટ્રાન્સફર કરાવી શકતો નથી. બોલો, કંઇ કહેવું છે? (આવા કિસ્સામાં તો સાલી રાજીનામાની ધમકીય ન અપાય, ‘સારું લાવો ત્યારે’ કહી માગી લે તો?).
*** *** ***
ઈતિહાસ કહે છે કે સકિંદરે પેલા પોરસનું રાજ્ય જીત્યા પછી એને જ પાછું આપી દીધું. શું કરવા ભૈ? લોકો બે-ચાર દિવસ આપણી ખેલદિલીની વાહ વાહ કરે એ માટે! જીતેલું રાજ્ય શત્રુને પાછું આપવા કરતાં સકિંદરે પોતાના એકાદ સાળાને તે બક્ષિસ તરીકે આપી દીધું હોત તો! તેને તો ગ્રોસબંધ પત્નીઓ હોવાને પરિણામે ઢગલાબંધ સાળાઓ હતા. લોકો શું કહેશે એની ચિંતા બહુ કરવી નહીં. ભૂવો ધૂણતો હોય તો પણ નાળિયેર તો પોતાના ઘર તરફ જ ફેંકતો હોય છે, તો આ તો સત્તાનો સવાલ છે. બાબરે હુમાયુને અને હુમાયુએ પોતાના લાડકા પુત્ર અકબરને ગાદી નહોતી સોંપી!
આ તો ઠીક છે કે હિટલરને સંતાન ન હતું પણ તેને કેલૈયા જેવો કુંવર હોત તો એ કુંવરને ગાદીએ લાવવા બીજા લાખો જણને ખતમ કરવા પડત તો એમ કરતાં હિટલરનું રૂંવાડુંય ના ફરક્ત-એક સમય પ્રજા ના રહેત તોય સવાલ નથી, પણ પુત્રને એકવાર તો સત્તાસ્થાને ચોક્કસ સ્થાપત. રામાયણ ફેઇમ પેલા ભરત જેવો જડભરત તો કોઇક જ હોય જે પોતાના સત્તર સત્તર પુત્રોને હાંસિયામાં ધકેલીને બહારથી રાજા લઇ આવે.
મુસોલિનીને પુત્ર હતો, પણ કહે છે કે તેની ઇચ્છા વાયોલિનવાદક બનવાની હતી એટલે તે બાપની ગાદી પર ન આવ્યો, પરંતુ જો વાયોલિનને બદલે તેને ફીડલ વગાડતાં આવડતું હોત તો શક્ય છે કે આપણને બીજો નીરો મળી શક્યો હોત-રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડતો હતો-કેટલાક એવું પણ કહે છે કે નીરો ફીડલ વગાડતો હતો એટલે જ રોમને આગ લગાડાઇ હતી.‘