એકવાર મીરાં થયાં પછી હૃદય આપમેળે નિરામય થશે. જેની કલમ પર મીરાંના મંજીરાનો પડછાયો પડ્યો હોય એને આપોઆપ પદે પદે મીરાં જ મળશે.
આંખ, હોઠ ને શ્વાસ બધામાં થયું મીરાંની જેમ
કહો હૃદયજી લખ્યા વિના કૈં રહી જ શકશો કેમ?
જીવતરના આ ગણિતનો
ના ગણતા ફાવે ઘડિયો
ભીતરમાં મંદિર ચણે છે
કોઈ અજાણ્યો કડિયો
નહીં જ ભીંતો નહીં જ બારી, નહીં કશીયે ફ્રેમ
કહો હૃદયજી લખ્યા વિના કૈં રહી જ શકશો કેમ?
નામ આ કોનું લઈને બેઠા
અમે એક ઓટલીએ
મન તો ચાલ્યું નજિના ડગ લઈ
કોઈ અજાણી ગલીએ
વધતો જાતો મારગ એનો, આગળ ધપતા તેમ
કહો હૃદયજી લખ્યા વિના કૈં રહી જ શકશો કેમ?
અનિલ ચાવડા
અનિલ ચાવડા એ આપણા એક નવા કવિ છે. એ અમદાવાદમાં રહે છે એટલી જ ખબર છે. એમના ગીતનો પ્રકાર સહજ છે. આપણે જે કંઈ કરીએ છીએ તે બધું અધૂરું કરીએ છીએ. કવિ કહે છે કે મારે પૂર્ણપણે નિરાંતને જીવે જીવવું છે. એટલે કે મારી આંખ, મારા હોઠ, મારા શ્વાસ-મારું તમામ અસ્તિત્વ મીરાંમય હોય અને એક વાર જેને મીરાંનું પદ મળ્યું પછી એની પાછળ પદની પરંપરા આવ્યા વિના નહીં રહે.
જિંદગી તો નરી શુષ્ક ગણિત જેવી. એમાં સરવાળા, ભાગાકાર, બાદબાકી અને ગુણાકાર. જીવનમાં ગણિત તો આવડ્યું જ નથી. એ આવડ્યું હોત તો મીરાં થવાનું મન ન થાત. જે લોકો જિંદગીથી ઉફરા ચાલે છે એ લોકો જ કશુંક પરમ પામી શકે છે. આપણે ગણતરીમાં પામર થઈને અટવાતા હોઈએ છીએ. બહારના જીવનનો અંદરના જીવન સાથે મેળ મળતો નથી. આ મેળ મળતો નથી એટલે જ વિસંવાદ સર્જાય છે. જગત અને ભગતનો ઝઘડો કાયમ છે એ કહેવાય છે.
જીવતર કંઈક માંગે છે અને જીવ બીજું કંઈક માંગે છે. જીવનમાં ભૌતિક વસ્તુની જરૂર છે અને અંદરના જીવનમાં કશાયની જરૂર નથી. બહારનું મકાન જુદું છે અને કોઈક અજાણ્યો કડિયો ભીતરમાં મંદિરને ચણે છે. આપણે માણસો જાતજાતના ભાગ પાડીએ છીએ. સારો-બૂરો, સાચ્ચો-ખોટો, શ્રીમંત-ગરીબ. પણ મંદિરમાં એવી કોઈ દીવાલો નથી, કોઈ બારી નથી, કોઈ ફ્રેમ નથી, કોઈ જડતા નથી. નર્યું ચૈતન્ય છે. કશું સ્થગિત નથી. અંદરની ગતિ ચાલ્યા કરે છે. ભીતરમાં ચૈતન્યનો સળવળાટ છે.
કોઈકનું નામ જીભ પર આવે છે પછી એ નામ જપ થઈ જાય છે. કોઈક એવું નામ છે કે એ નામ લઈને અમે ઓટલી પર આવ્યા છીએ. બે પંક્તિ યાદ આવે છે:
કંઈ કેટલાં નામનો ઊછળે મારે આંગણ દરિયો
એમાં એક જ નામ તમારું નાવ થઈને મ્હાલે
બહારના જીવનની ગતિ જુદી છે અને અંદરના મનની ગતિ જુદી છે. બહારનું જગત જુદું છે અને ભીતરના જગતની ગલી જુદી છે. બહાર તો રાજમાર્ગ છે. ઘોંઘાટના ઘાટ છે ત્યારે ભીતરથી એવી ગલી મળી ગઈ છે કે જ્યાં પગ મૂકું તેમ તેમ માર્ગ મોકળો થતો જાય. એકવાર મીરાં થયાં પછી હૃદય આપમેળે નિરામય થશે. જેની કલમ પર મીરાંના મંજીરાનો પડછાયો પડ્યો હોય એને આપોઆપ પદે પદે મીરાં જ મળશે. સહજ સરળ ભાષામાં મીરાંનું પદ માણવા જેવું છે. આ જ કવિનું એક બીજું ગીત સાથે સાથે જોઈએ:
કેમ કરી કરીએ કે કેમ કરી કરીએ કે કેમ કરી કરીએ હે રામ?
ધખધખતા લોખંડ પર પાણીના ટીપાને સાચવીને રાખવાનું કામ
દૂર દૂર ખૂબ દૂર આવ્યો પ્રદેશ, મારાં પગલાંમાં ઠેશ
હવે ચાલી ચાલીને કેમ ચાલુ
વરસોથી પજવે છે છાતીમાં હાંફ મારી આંખોમાં થાક
વળી જીવતરમાં મસમોટું ખાલું
ચરણો ગુમાવ્યાં બાદ રસ્તાઓ આવ્યા ને દોડવાનું આવ્યું બેફામ
અમે કેમ કરી કરીએ હે રામ?
અંદર ને અંદરથી રોજ રોજ આમ મને ધીમે ધીમેથી
કોઈ કરકોલે ઉંદરની જેમ
એક પછી એક બધી મારી પર આવીને પડતી ઉપાધિઓ
ખેતરમાં તીડ પડે એમ
જીવ્યા અમે જે રાત કાળી ડિબાંગ એને દેવાનું દિવસોનું નામ?
અમે કેમ કરી કરીએ હે રામ? ‘