૧૯૮૨માં પિતા સાથે ટેરાકોટા આર્ટમાં કામ કરવાની શરૂઆત કરી. કલાક્ષેત્રે કામ કરવાની ઈચ્છાશક્તિ અને ભરપૂર વિશ્વાસ સાથે શરૂ થયેલી આ સફર હવે મહત્વના પડાવ પર આવી પહોંચી છે. ઘરનું ગુજરાન પણ ચાલે અને આર્ટનો શોખ પણ વિકસે એવા બેવડા હેતુની પૂર્તિ થતા હરેશભાઈ ખૂબ જ ખુશી અનુભવે છે.
ટેરાકોટામાંથી બનાવેલી ગૃહ સુશોભનની વસ્તુઓમાં સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક કલા, હડપ્પીય સંસ્કૃતિ તથા ઈજીપ્તની આર્ટ અને ઈન્ટીરીયર ડિઝાઈનની ચીજવસ્તુમાં પોતાનો આગવો ટચ ઉમેરી આ ચીજવસ્તુઓ દેશ-વિદેશમાં નિકાસ કરતા હરેશભાઈએ પોતાની કલાથી માટીકલાના રસિકોને રીતસરનું ઘેલું લગાડ્યું છે.
કોઈપણ આધુનિક મશીન કે આધુનિક ટેકનિક વિના માત્રને માત્ર હાથ વડે ૩૫ દિવસમાં ૩૦૦૦ પોટ બનાવવાના પડકારને ઝીલી તૈયાર કરેલો માલ નિયત સમય મર્યાદામાં મલેશિયા મોકલનાર હરેશભાઈને હંમેશા ચેલેન્જ ગમે છે. આજે હરેશભાઈ ટેરાકોટાની વસ્તુઓની દક્ષિણ આફ્રિકા અને અમેરીકામાં પણ નિકાસ કરે છે. દિલ્હીના એક એકઝીબીશનમાં એમની કલાને બેસ્ટ આર્ટનો એવોર્ડ મળ્યો હતો. એ વાત જણાવતા એમના ચહેરા પર આનંદની રેખાઓ ઉપસી આવે છે. આ એવોર્ડને ગુજરાત માટી કલા બોર્ડમાં રાખવામાં આવેલ છે. તાજેતરમાં જ હરેશભાઈને માટીકલા ક્ષેત્રના પ્રદાન માટે માન. ઉર્જા અને પેટ્રો.રાજ્યમંત્રી શ્રી સૌરભભાઈ પટેલના હસ્તે વિશેષ એવોર્ડ આપવામાં આવેલ.
કલાને કોઈ સીમાડા નડતા નથી. કલાકારને પોતાની જાતમાં વિશ્વાસ હોય તો એની કલા દેશ દેશાવર સુધી પહોંચી શકે છે. નયનભાઈ શેઠ જેવા કલાપ્રેમીની મદદના કારણે એમની કલા પહેલા શહેરમાં અને પછી રાજ્ય અને રાજ્ય બહાર તથા વિદેશમાં પણ આજે ધૂમ મચાવે છે. એનો હરેશભાઈને ગર્વ છે અને હરેશભાઈની કલાનો બોટાદને ગર્વ છે.