દેશનો અલંકારરાજકારણમાં નહીંવત્ છે, પણ રાજકારણ સિવાયનાં વિવિધ ક્ષેત્રોમાં અનેક લોકો છે, જે ભારતરત્ન છે. તેમને કોઈ અલંકાર-પુરસ્કારની જરૂર ન હોય પણ ભારતને ભારતરત્નોની જરૂર છે.
‘ભારતરત્ન’નું સન્માન કોઈ કમિટીના આધારે નથી જાહેર થતું. તેના પર પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ નિર્ણય લે છે, છતાં આશા-આકાંક્ષાઓ પર કોણ લગામ લગાવી શકે છે?
દરેક યુગમાં, રાજાઓ તરફથી વિશિષ્ટજનોને સન્માન, ઇનામ આપવામાં આવ્યાં હતાં. આપણા ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ ‘પદ્માલંકાર’ એટલે કે ‘પદ્મવિભૂષણ’, ‘પદ્મભૂષણ’ અને ‘પદ્મશ્રી’ના રાષ્ટ્રીય સન્માનોની યાદી જાહેર કરવામાં આવે છે. ‘ભારતરત્ન’ પણ તેમાં જ હોય છે. આ સર્વોચ્ચ સન્માન અન્ય દિવસોએ પણ આપવામાં આવે છે અને અપાયું પણ છે. દર વર્ષે આ સન્માનના ઉમેદવારો અને ઉમેદવારોના મિત્રો તથા પસંદગીકારો વચ્ચે ઉગ્ર સ્થિતિ સર્જાય છે. ગમે તે હોય પણ આ ‘પદ્મ’ મેળવવા માટે રીતસરની સ્પર્ધા જામે છે. ૧૯૫૪માં જ્યારે આ સન્માન યોજના પહેલી વખત બની ત્યારે વાત કંઈક અલગ હતી.
તે વખતે ‘ભારતરત્ન’ ત્રણ વિશિષ્ટજનનોને એનાયત થયો હતો- ચક્રવર્તી રાજગોપાલાચારી, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને સીવી રામન. પહેલા ભારતના અગ્રણી રાજનેતા, બીજા વિશ્વવિખ્યાત દાર્શનિક અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા ત્રીજા નોબેલ પુરસ્કાર જીતનાર ભૌતિક વિજ્ઞાની હતા. ત્રણેની પ્રતિષ્ઠા ઊંચી હતી, તમામ વિવાદોથી પર હતા. દરેક દેશવાસીએ આ ઘોષણાને સહર્ષ સ્વીકારી હતી. ત્યારે કોઈ બોલ્યું નહોતું, અરે! ત્રણે દક્ષિણી જ છે. તે વખતે ધર્મ, ભાષા, પ્રાંત ,જાતિ વગેરે ખાસ અસર કરતા નહોતા.
આ પસંદગી તે વખતના રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ કરી હતી. તે વાત ધ્યાન દોરવા જેવી છે કે રાજેન્દ્રપ્રસાદ અને જવાહરલાલ પોતે પણ ભારતરત્નની યાદીમાં સ્થાન ધરાવવાની કાબેલિયત ધરાવતા હોવા છતાં તેમાં સ્થાન પામ્યા નહોતા. શિક્ષણ મંત્રી મૌલાના આઝદ પણ તેમાં નહોતા. એવું જાણવામાં આવે છે કે જવાહરલાલજીએ રાજેન્દ્રપ્રસાદને કહ્યું હતું કે રાજેન બાબુ ‘પહેલો ભારતરત્ન’ તો તમારો જ છે.
ત્યારે તેઓ બોલ્યા, તમારો આભાર પણ હું જાતે જ મને થોડો રત્ન આપી શકું અને એમ પણ જવાહરલાલજી દેશના પહેલા રત્ન તો તમે જ છે. ત્યારે જવાહરલાલ બોલ્યા, ના રાજેન બાબુ હું પ્રધાનમંત્રી તરીકે પોતાને જ આ યોજનામાં સામેલ કરું તે યોગ્ય ન કહેવાય, લોકોમાં ખોટી છાપ ઊભી થશે. રાજેન્દ્ર બાબુએ કહ્યું તે તો તમારી શિષ્ટતા છે. તમારે આવતા વર્ષે રત્ન સ્વીકારવો પડશે તે મારો નિર્ણય છે. મૌલાના સાહેબ પણ એ જ બોલ્યા કે આપણે તો રત્ન આપવાનો છે તો આપણે કેવી રીતે લઈ શકીએ.
કાશ તે વખતે સરદાર વલ્લભભાઈ પટેલ જીવિત હોત તો તે વખતની યાદીમાં તેમને સો ટકા સ્થાન મળ્યું હોત. બાબસાહેબ આંબેડકરનું નામ પણ તે યાદીમાં હોવું જોઈતું હતું જે પદ્મ વિભૂષણની યાદીમાં પણ નહોતું. મારું માનવું છે કે જો તેમનું આકસ્મિક નિધન ૧૯૫૬માં ન થયું હોત તો ૧૯૫૦-૬૦ના દાયકામાં રાજેન્દ્ર બાબુ અને જવાહરલાલજીએ તેમને ‘ભારતરત્ન’થી નવાજયા હોત. આ ખોટને વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકારે ૧૯૯૦માં દૂર કરી. બાબાસાહેબને મૃત્યુ બાદ ‘ભારતરત્ન’ જાહેર કરાયા.
અત્યાર સુધીમાં કુલ ૪૧ લોકોને ‘ભારતરત્ન’, ૩૦૦ને ‘પદ્મવિભૂષણ’, ૧૨૦૦ને ‘પદ્મભૂષણ’ અને લગભગ ૨૫૦૦ને ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવ્યા છે. આ સન્માન બાબતે થોડા સમય પહેલાં ઘણો વિવાદ થયો હતો, કારણ કે તે મેળવવામાં ચોક્કસ લોબી કામ કરતી હતી, તેના કારણે કામ થઈ પણ જતું હતું. થોડા સમયના વિવાદ અને ન્યાયતંત્રના આદેશ પ્રમાણે તેની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા આવી છે.
હવે દર વર્ષે એક સમિતિ બેસે છે અને પોતાના સ્વતંત્ર અભિપ્રાયો રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને આપે છે. એક વર્ષમાં ૧૨૦ કરતા વધારે ‘પદ્મ’ આપવામાં ન આવે તેવો નિયમ બનાવાયો. એક અબજની વસ્તીમાં ૧૨૦ની સંખ્યા થોડી ઓછી છે તેને વધારવી જોઈએ. વિવિધ નામોની સાથે નવાં નવાં ક્ષેત્રો પણ શોધવા જોઈએ.
પર્યાવરણવિદ્, પ્રદૂષણરોધક, જળ અને વન રક્ષક, અગ્નિ-શામક, નિર્ભીક સુરક્ષાકર્મી, નિષ્ઠાવાન સફાઈ કર્મચારી, પશુ-પ્રાણી કલ્યાણદાતા, બીજા અનેક કામ કે જેના ‘નામ’ નથી, એટલે કે આરટીઆઈ ક્ષેત્રમાં. ત્યાં બહાદુર લોકો મળશે, જેમણે પોતાની જાનને જોખમે પણ પોતાના સવાલોથી ભ્રષ્ટાચાર રોકયો છે. શું તે પદ્માલંકાર માટે લાયક નથી? ‘ભારતરત્ન’ માટેનો નિર્ણય પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ કરે છે. છતાં આકાંક્ષાઓ પર થોડી લગામ લગાવી શકાય છે. લાખોના મનમાં સચિનને ‘ભારતરત્ન’ મળ્યો જ છે. અણ્ણાજી માટે આ માગ નથી ઊઠી એટલા માટે કે તેમને ‘રાજ્ય’ સન્માનોમાં કોઈ રસ નથી.
તો શું આજે ભારતમાં કોઈ રત્ન નથી? રાજકારણમાં નથી બરાબર જ છે. અટલજીને નવાજવામાં આવે કે ન આવે હવે કોઈ ફેર પડતો નથી. લોકોના હૃદયમાં તો તે ‘રિત્નમ’ છે. રાજકારણની બહાર ધર્મ-દર્શનમાં દલાઈ લામા ‘રત્ન’ છે, સમાજ સેવામાં ઈલાબેન ભટ્ટ, ચંડી પ્રસાદ ભટ્ટ, સુંદરલાલ બહુગુણા, સંગીતમાં જુબિન મહેતા, કિશોરી અમોણકર, પં. જસરાજ, વિજ્ઞાન-ટેક્નોલોજીમાં એમએસ સ્વામીનાથન, વી. કુરિયન, સીએનઆર રાન, ન્યાયમાં કૃષ્ણ અય્યર, લેખનમાં મહાશ્વેતા દેવી.તેમને કદાચ આની જરૂર ન હોય પણ આપણને ‘રત્ન’ની જરૂર છે.
ગોપાલકૃષ્ણ ગાંધી, લેખક પૂર્વ વહીવટી અધિકારી, રાજદૂત અને રાજ્યપાલ છે.