એક વડીલનો કાઉન્સેલિંગ દરમિયાન બહુ મહત્વનો સવાલ હતો, ‘એક સાયકોલોજિસ્ટને પૂછતાં જરા સંકોચ અનુભવું છું. પરંતુ આપની પાસે વાત કરવામાં વાંધો નથી એવું માનું છું. ગીતામાં કહ્યું છે તે પ્રમાણે, સાધુ-સંતો કહે છે તે પ્રમાણ શું બધું શક્ય બને? એ બધાને તો કથા કરીને ફાઇવ સ્ટાર આશ્રમોમાં જતા રહેવાનું હોય, પણ અમારા જેવા કોમનમેન માટે એ બધું ખરેખર શક્ય બને? એ માટે કોઇ વૈજ્ઞાનિક પદ્ધતિ ખરી? ગીતામાં વર્ણવેલા સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો કેવી રીતે કેળવી શકાય?’
તાજેતરમાં જ જયપુર ખાતે એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના યજમાનપદે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં વ્યાખ્યાન આપવાનું થયું. મુખ્ય વિષય હતો ‘પોઝિટિવ સાયકોલોજી- અ ન્યૂ અપ્રોચ ટુ મેન્ટલ હેલ્થ.’ ત્યાં દુનિયાભરમાંથી આવેલા સાયિન્ટસ્ટ અને સંશોધકોમાં ખાસ વાત એ હતી કે મોટાભાગના ડોક્ટરોએ ભગવદ્ગીતા વિશે ઉલ્લેખ કર્યો.
પોઝિટિવ સાયકોલોજી અને ભગવદ્ગીતા? સીધેસીધો મેળ બેસતો ન લાગે. આ બંને નિકટથી સંકળાયેલા છે. કેટલાક એવું પણ કહે છે કે ‘લો! આમાં તે શી નવી વાત છે?’ પરંતુ મિત્રો, કોઇ પણ તથ્યને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તપાસવું તે સાંપ્રત સમયમાં અનિવાર્ય છે.
કોઇપણ સાહિત્ય કે શાસ્ત્ર વાસ્તવમાં હતું કે નહીં તે કરતાં તેમાં જણાવેલી બાબત આજના જમાનામાં કેટલી ઉપયોગી છે તે મહત્વનું છે, પછી ભલે તે ગમે તે ધર્મની હોય. આ કોન્ફરન્સમાં કેવી રીતે માનસિક સ્વસ્થતા અને સજ્જતા કેળવવી તે વિશે વૈજ્ઞાનિક ચર્ચાઓ થઇ.
અમેરિકન સાયકોલોજીકલ એસોસિયેશનના પ્રેસિડન્ટ રહી ચૂકેલા ડો. માર્ટિન સેલગિમેને ઇસ. ૧૯૯૮માં સાયકોલોજીની નવી શાખા ‘પોઝિટિવ સાયકોલોજી’ને લોન્ચ કરી છે. આ નવો અભિગમ વ્યક્તિના મેન્ટલ, મોરલ અને સ્પિરિચ્યુઅલ વેલ-બીઇંગને વૈજ્ઞાનિક રીતે સુધારવા પર ભાર મૂકે છે. વ્યક્તિગત સંતોષ અને સુખની બાબતની ચર્ચા કરે છે. વ્યક્તિની જન્મદત્ત ચોક્કસ રીતે વર્તવાની વૃત્તિઓ અને ‘સુખ’ અનુભવવાની પ્રક્રિયાઓને કેળવી શકાય, એ બે બાબતોનો સમન્વય સાધવાનો પ્રયાસ કરે છે.
મનોચિકિત્સાનું કાર્ય સાયકોલોજીકલી ડિસ્ટર્બ વ્યક્તિની સમસ્યા માત્ર ઓછી કરવા પૂરતું જ સીમિત નથી, પરંતુ વધારે આત્મસંતોષ અને આનંદની અનુભૂતિ ટકી રહે તેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ વડે સારવાર, (કહો ને કે ‘આધાર’) આપવાનું લક્ષ્ય છે. આ ભારતીય મનોવિજ્ઞાનની નજીકની વાત છે.
મિત્રો, અત્રે વાત જૂની લાગે, પણ પ્રયાસ વધુ વૈજ્ઞાનિક છે. કદાચ આજના ‘વિજ્ઞાન’ની ભાષામાં પોઝિટિવ સાયકોલોજીને સમજવી હોય તો એક મહાન પાત્ર નજર સમક્ષ આવે અને તે છે, ભગવાન શ્રીકૃષ્ણ.ડો.. શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતા દરમિયાન આપેલો ઉપદેશ વિશ્વની શ્રેષ્ઠ સાયકોથેરપી કહી શકાય. અર્જુનના ‘મૂલ્યોના સંઘર્ષો’ તેમજ ‘રિએક્ટિવ ડિપ્રેશન’ને ઓન ધ સ્પોટ ‘ગીતોપદેશ’ના સ્વરૂપમાં સૂચનો દ્વારા સારવાર આપવામાં આવી હતી. સામાન્ય વ્યક્તિ પણ વિપરિત સંજોગોમાં કેવી રીતે પોતાના ‘સ્વ’ (સેલ્ફ) ને અને ‘ધર્મ’ (બહિેવિયર)ને અનુલક્ષીને વર્તન કરે, તે માટે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો આપેલા છે.
ઘણા વેસ્ટર્ન અને ઇસ્ટર્ન સંશોધકોએ કોન્ફરન્સમાં ભગવદ્ગીતાનો ઉલ્લેખ કર્યો. મહાભારતમાં ભીષ્મપર્વમાં પચ્ચીસમા અધ્યાયથી બેતાલીસમા અધ્યાયપયઁત કુલ અઢાર અધ્યાયોમાં રચાયેલી ગીતામાં કુલ સાતસો શ્લોક છે. વિષાદયોગનો અર્જુન એ હતાશ અને સ્ટ્રેસ્ડ કોમનમેનનું પ્રતીક છે. શ્રીકૃષ્ણને વ્યક્તિ કે ઈશ્વર તરીકે નહીં સ્વીકારનારાય એવું તો સ્વીકારવામાં ખચકાશે નહીં કે વેદવ્યાસે ગીતા રચીને શ્રીકૃષ્ણની વાણીરૂપી અજોડ જ્ઞાન સામાન્ય જનને ઉપલબ્ધ કરાવ્યું છે.
જ્યારે શ્રીકૃષ્ણ એવું કહે છે કે, ‘ભક્તોíસિ મે સખા ચેતિ’ (હે અર્જુન! તું મારો ભક્ત અને સખા છે.) તેને જ કાઉન્સેલિંગની ભાષામાં rapport અથૉત્ ડોક્ટર અને દર્દી વચ્ચે પરસ્પર વિશ્વાસનો સંબંધ થયો એવું કહેવાય.મિ. અર્જુનની માનસિક અવસ્થા વ્યક્ત કરતું ‘ભ્રમતીવ ચ મે મન:’ (મારું મન ભ્રમણામાં પડ્યું છે) વાક્ય ૨૦૧૦ના સમગ્ર સમાજને સ્પર્શે છે. વ્યક્તિ ક્ષણે ક્ષણે કર્તવ્યનિષ્ઠા અને મોહના સંઘર્ષમાં પીડાતી હોય છે, આને ‘અપ્રોચ-એવોઇડન્ટ કોનિફ્લકટ’ના નામે મનોવિજ્ઞાન ઓળખે છે. એક જ બાબત કે વ્યક્તિ પ્રત્યે મોહ પણ હોય અને તિરસ્કાર પણ હોય ત્યારે સ્ટ્રેસ વધે છે.
વાસ્તવમાં સામે કોઇ દુશ્મન જેવું કોઇ નહોતું છતાં દુશ્મનાવટ અનુભવાય અને તેથી ‘હું આ કામ (યુદ્ધ) નહીં કરી શકું’ તેવી ભાગેડુવૃત્તિ કે આના કરતાં સંન્યાસ કે આપઘાત સારો, એ સમસ્યાઓથી કરેલી પીછેહઠ છે. ફ્રોઇડની ભાષામાં બહાનાઓની આ બુદ્ધિયુક્ત શોધ એ ‘ડિફેન્સ મિકેનિઝમ’ છે, જાતને છેતરવાનો પ્રયાસ છે.
ગીતા પર એવો આરોપ મૂકવામાં આવે છે કે શ્રીકૃષ્ણ યેનકેન પ્રકારેણ પોલિટિકલી અર્જુનને પોતાની ઇચ્છા વિરુદ્ધ સગાંને મારવા પ્રેરે છે. વાસ્તવમાં આ પ્રતીકાત્મક સ્થિતિથી આપણે તો એટલું કિન્વનિયન્ટલી ગ્રહણ કરી જ શકીએ કે લગભગ દરેક સ્થિતિમાં પોતાનું કામ (સ્વ-ધર્મ) વ્યક્તિએ કરવું એ જ યોગ્ય છે. હા, એ સામાજિક દ્રષ્ટિએ ‘બહુજન હિતાય બહુજન સુખાય’ હોવું જરૂરી છે.
ક્લિનિકમાં કાઉન્સેલિંગ માટે આવેલા વડીલનો પ્રશ્ન એ બીજા અધ્યાય સાંખ્યયોગનો અર્જુનનો જ પ્રશ્ન છે. અહીં ડો.. શ્રીકૃષ્ણ ઉત્તર આપે છે.
સ્થિતપ્રજ્ઞનું મુખ્ય લક્ષણ વાસનાત્યાગ છે. તેનાથી મનોજય પ્રાપ્ત થાય છે. અથૉત્ ઇન્દ્રિયેચ્છામાં સમત્વ આવી શકે છે. આવા સંજોગોમાં વ્યક્તિ ‘સ્થિતપ્રજ્ઞ’ કહેવાય છે. ૨૦૧૦-૧૧માં કદાચ બધી ઇચ્છાઓનો ત્યાગ ન થાય તો પણ મૂળભૂત ઇચ્છાઓને દમિત કર્યા વગર સમાજમાન્ય રીતે સંતુલિત જીવન તો જીવી જ શકાય. કેટલાક કહેશે કે ઉપદેશ આપવો સહેલો છે પણ અનુકરણ અઘરંુ છે. પરંતુ અસંભવ નથી, અને એટલું તો નક્કી કે ભગવદ્ગીતામાં સાવ વાહિયાત વાત હોત તો આજે આપ આ લેખ વાંચ ન રહ્યા હોત. તો મિત્રો, કમ સે કમ પોતાના પ્રશ્નોનું સમાધાન જો ગીતારાહે મળતું હોય તો વાંધો ક્યાં છે?
આટલું સમજયા પછી વડીલ ‘સ્વ-સૂચન’ની પદ્ધતિ દ્વારા અનિયંત્રિત અને ડિસ્ટર્બ લાગણીઓ અને વિચારોના વમળમાંથી બહાર નીકળવાના માર્ગે પ્રયાણ કરી ચૂક્યા છે.ભગવાન છે કે નહીં તેની ચર્ચામાં પડવા કરતાં ગીતાકાર દ્વારા ઉપલબ્ધ જ્ઞાનનો એક સામાન્ય વ્યક્તિ માટે મનોવૈજ્ઞાનિક ઉપયોગ, મારી દ્રષ્ટિએ, વધુ મહત્વનો છે.‘વિનિંગ સ્ટ્રોક: જો શ્રીમદ્ ભગવદ્ગીતાને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ સાયકોથેરપીનું પુસ્તક ગણીએ તો, ડો.. શ્રીકૃષ્ણને શ્રેષ્ઠ સાયકોલોજિસ્ટ ગણવામાં જરાય અતિશયોક્તિ નથી.