અમેરિકાના સુપ્રસિદ્ધ પરામનોવૈજ્ઞાનિક ડો. સ્કોટ રોગોએ પોતાનાં ૨૦ વર્ષનાં સંશોધનના નિષ્કર્ષના આધારે જણાવ્યું કે મનુષ્યનો કોઇ ને કોઇ રૂપે પુનર્જન્મ થાય છે. હિન્દુ દર્શનશાસ્ત્રએ પુનર્જન્મ થવાનાં કારણો જણાવ્યાં છે.
૫ મી જુલાઇ, ૧૯૧૧નો દિવસ. સવારના ૯ વાગ્યાની આસપાસનો સમય. હેકસહામ (નોર્થ હેમ્બરલેન્ડ) ખાતે ૧૧ વર્ષની જોઆના પોતાની ૬ વર્ષીય નાની બહેન જેકલીન સાથે નજીકના સેંટ મેરી રોમન કેથોલિક ચર્ચની પ્રાર્થનાસભામાં ભાગ લેવા જઇ રહી હતી. બંને બહેનો એકબીજાના હાથમાં હાથ પરોવી હસતી કૂદતી ચર્ચ તરફ આગળ વધતી હતી, ત્યાં અચાનક જ પૂરઝડપે આવતી એક કારની અડફેટે તેઓ આવી ગઇ. કારચાલક મહિલાએ કાર ઉપરનો કાબૂ ગુમાવતાં બંને બહેનો કચડાઇને દુર્ઘટના સ્થળે જ તરફડતી મૃત્યુ પામી. બંને બહેનોને પાસ-પાસે જ દફનાવવામાં આવી.
જોઆના અને જેકલીનના હાદસા પછી તેમનાં મા-બાપ પાગલ જેવાં બની ગયાં હતાં. આ ગમગીની હજી શમી ન હતી, ત્યાં એક રાત્રે મા ફ્લોરેન્સને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પોતાની બંને મૃત બેટીઓ બતાવી રહી હતી કે એ બંને તેની કૂખે ફરીથી જન્મ લેવા ઇચ્છે છે. ફ્લોરેન્સે આ અનોખા સ્વપ્નની વાત પોતાના પતિ પર્સિવલને કહી. પણ પછી આ બાબત વિસરાઇ ગઇ. આ ઘટનાના ઠીક એક વર્ષ બાદ ફ્લોરેન્સ ગર્ભવતી થઇ. તેને આવેલા સ્વપ્નની યાદ તાજી થઇ. તેણીએ જોડિયા દીકરીઓને જન્મ આપ્યો! બંનેનાં નામ ગિલિયન તથા જેનિફર રાખવામાં આવ્યાં.
આ બંને બહેનોના દેખાવ તેમજ હાવભાવ દિવંગત જોઆના અને જેકલીનને બિલકુલ મળતા આવતા હતા. સૌથી વધારે આશ્ચર્ય એ વાતનું હતું કે, જેનિફરના ડાબા નિતંબ ઉપર સિક્કા આકારનું લાખું હતું. બરાબર તેવું જ નિશાન જેકલીનના ડાબા નિતંબ ઉપર પણ હતું. પરંતુ પૂર્વજન્મ પર વિશ્વાસ કરવા માટે માત્ર આ સંયોગ પર્યાપ્ત ન હતો! પુનર્જન્મની વાસ્તવિક ઘટનાઓ ઉપર અભ્યાસ કરતા ચાર્લ્સ બર્લિજ નોંધ છે કે, જ્યારે આ જોડિયા છોકરીઓ થોડી મોટી થઇ, ત્યારે જોઆના અને જેકલીનનાં મૂકી રાખેલાં રમકડાં તેમને રમવા માટે આપ્યાં.
તો આશ્ચર્યનો પાર ન રહ્યો... જેનિફરે રમકડાંના ઢગલામાંથી એક-એક કરીને જેકલીનનાં રમકડાં બાજુ પર રાખી બોલી, ‘આ રમકડાં મારાં જ છે.’ આ બંને છોકરીઓને એક દિવસ જ્યારે અગાઉની દુર્ઘટનાવાળી જગ્યા ઉપર લઇ જવામાં આવી, ત્યારે ત્યાં પહોંચતાં જ આ બંને બહેનો ભયભીત થઇ ગઇ, ચીસો પાડવા લાગી. ‘એ કાર આવી... બચાવો...બચાવો...’ આ ઘટના પછી ફ્લોરેન્સ અને પર્સિવલને પૂરો વિશ્વાસ બેઠો કે, જોઆન અને જેનિફર તેની કૂખે ફરીથી જન્મી છે.
સન ૧૯૮૯માં લંડનની રીજેંડ પાર્ક કોલેજમાં પુનર્જન્મની ધારણા ઉપર વિચારવિમર્શ કરવા વિશ્વભરના વિજ્ઞાની, મનોવિજ્ઞાની, પરામનોવિજ્ઞાની એકત્ર થયા હતા. આ અવસરે અમેરિકાના સુપ્રસિદ્ધ પરામનોવૈજ્ઞાનિક ડો. સ્કોટ રોગોએ પોતાનાં ૨૦ વર્ષનાં સંશોધનના નિષ્કર્ષના આધારે જણાવ્યું કે મનુષ્યનો કોઇ ને કોઇ રૂપે પુનર્જન્મ થાય છે. ભારતીય હિન્દુ દર્શનશાસ્ત્રએ પુનર્જન્મ થવાનાં કારણો મુખ્યત્વે નીચે પ્રમાણે ગણાવ્યાં છે.
૧. ભગવાનની આજ્ઞાથી
૨. પુણ્યનો ક્ષય થવાથી
૩. પુણ્ય-પાપરૂપી સંચિત કર્મનું ફળ ભોગવવાનું બાકી રહી ગયું હોય
૪. અકાળે મૃત્યુ થવાથી
૫. બદલો લેવાની તીવ્ર ભાવના અધૂરી રહી જવાથી
૬. ઋણ ચૂકવવાની ઇચ્છા બાકી રહી ગઇ હોય
૭. અધૂરાં કાર્યો પૂરાં કરવાની મહેચ્છાથી
શિરડીના સંત સમર્થ સાંઇબાબા પોતાની યોગ શક્તિના બળે દિવંગત આત્માનો પુનર્જન્મ કરાવી શકતા હતા. Reinarnationના આ બધાં તારણો-તથ્યોનો અભ્યાસ કરવા પશ્ચિમી જગતના અનેક અભ્યાસુઓ મંથન કરી રહ્યા છે.