અમીરગઢમાં આદિવાસી પ્રજા સરકારી સબસિડીનો લાભ લઇ પરંપરાગત ખેતી છોડીને ફુવારા તેમજ ટપક પદ્ધતિથી ખેતી કરી રહી છે
અમીરગઢ તાલુકાના આદિવાસી ખેડૂતોએ પરંપરાગત ખેતીને તિલાંજલી આપી નવી ફુવારા તેમજ ટપક પદ્ધતિથી ખેતી કરવાનું શરૂ કર્યું છે. જેના પરિણામે તાલુકામાં પાણીનો બગાડ અટકયો છે. તાલુકામાં કુલ ૧૫૦૦ ઉપરાંત હેક્ટર જમીન પર આ પદ્ધતિ અપનાવવામાં આવી છે.
અમીરગઢ તાલુકામાં મહત્તમ આદિવાસી પ્રજાવસવાટ કરે છે. જેઓ પરંપરાગત સિંચાઇ થકી ખેતી કરતા હતા.પરંતુ સરકાર તરફથી આપવામાં આવતી સબસીડીનો લાભ લઇ આદિવાસી ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને ફુવારા તેમજ ટપક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. જેના પરિણામે પાણીનો વ્યય અટકયો છે.
અમીરગઢ તાલુકામાં કુલ ૫૦૬૦.૦૧ હેક્ટર જમીન પિયત છે. જ્યારે આ તમામ જમીન પર ખેતી કરતા ખેડૂતો પરંપરાગત ક્યારા બનાવી પાવડા દ્વારા સિંચાઇ કરતા હતા. જેના લીધે ખેતીની સિંચાઇ બાદ વધુ પડતા પાણીનો બગાડ થતો હતો. જેમને તંત્ર દ્વારા ટપક અને ફુવારા પદ્ધતિથી થતાં લાભો અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવતાં આજે આદિવાસી ખેડૂતો ફુવારા અને ટપક પદ્ધતિ તરફ વયા છે.
આ અંગે ઇકબાલગઢ ડેપોના ઇન્ચાર્જ બી.ડી. પટેલ અને તાલુકા ખેતીવાડી અધિકારી એચ.એમ. પરમારે જણાવ્યું હતું કે, ‘અમીરગઢ તાલુકામાં પિયતની જમીન ધરાવતા આદિવાસી ખેડૂતોને ફુવારા પદ્ધતિમાં ૭૫ ટકા સબસીડી જ્યારે અન્ય ખેડૂતોને ૫૦ ટકા સબસીડી આપવામાં આવે છે.
વર્ષ ૨૦૧૦-૧૧ સુધીમાં કુલ ૧૫૦૦ ઉપરાંત હેક્ટર જમીન પર આ પદ્ધતિનો લાભ ખેડૂતોએ લીધો છે.’આદીવાસી વિસ્તારમાં ખેડૂતો ટપક પદ્ધતિનો ઉપયોગ કરી ખેતી કરતા થતાં પાણીનો બગાડ અટકવાની સાથે ખેતીમાં પણ નોંધપાત્ર સુધારો થશે તેમાં બેમત નથી.તો આદીવાસી ખેડૂતો પણ હવે સરકારી યોજનાના લાભ લેતા થયા હોવાનું બહાર આવ્યું છે.