મારી એવી માન્યતા છે કે જે વસ્તુ મારામાં ઊંડે હતી તેનું પ્રતિબિંબ મેં રસ્કિનના ગ્રંથરત્નમાં જોયું, તેણે મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું ને તેમાંના વિચારોનો અમલ મારી પાસે કરાવ્યો.
આપણે જોઇ રહ્યા છીએ કે જેમનું કામણ બધા પર ચાલતું હતું તેવા ગાંધીજી, બીજા કોઇથી પ્રભાવિત થયા હતા ખરા? હા જી, ગાંધીજી ત્રણ મહાનુભાવોથી પ્રભાવિત થયા હતા, શ્રીમદ્ રાયચંદભાઇ, મહાત્મા ટોલ્સટોય અને જહોન રસ્કિન.
આજે જહોન રસ્કિન (જન્મ : ૮-૨-૧૮૧૯. અવસાન : ૨૦-૧-૧૯૦૦) વિશે જોઇશું.
જહોન રસ્કિનનો જન્મ લંડનના મધ્યમ વર્ગના સુશિક્ષિત અને સંસ્કારી કુટુંબમાં થયો હતો. તેમની માતાએ એમનો ઉછેર બાઇબલના ઉપદેશોથી કર્યો હતો. તેથી રસ્કિનનું હૃદય અને તેમની બુિદ્ધ બાઇબલના વિચારોથી પોષયાં હતાં.
સમાજમાં દુ:ખ, દારિદ્ર, શોષણ, કુસંપ અને નૈતિક અધ:પતન જોયાં ત્યારે એમનું હૃદય ઝણઝણી ઊઠ્યું. એ સમજી ગયા હતા કે તમામ અનિષ્ટોનું મૂળ ‘શ્રમજીવીઓના શોષણમાં રહેલું છે.’ રસ્કિન કહે છે, ‘જમીનદાર ખેડૂતને લૂંટે છે, વેપારી ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરીને લૂંટે છે અને જે સીધા લૂંટારા છે તે ડરાવી, ધમકાવીને લૂંટે છે.’
ધનિક વર્ગને એમણે કહ્યું હતું, ‘જેમના શ્રમથી, જેમની મહેનતથી... તમે ભાત ભાતનાં સુખ ભોગવો છો, એને તમે કદી ધન્યવાદ પણ નથી આપતા... પોલીસ, ખલાસી, મજૂર... તમારે માટે કેટલો પરિશ્રમ કરે છે, પણ તમે એમને પ્રશંસાના બે બોલ પણ નથી કહેતા. કેટલા કૃતઘ્ન છો તમે!’
આ વાત હું તમને આ રીતે સમજાવું, કેરીની આખી મોસમમાં મોંઘી કેરીઓ તમે રોજ ખાધી, પણ તમારાં એંઠાં વાસણ જેણે માંજીને ચકચકિત રાખ્યાં એ ઘરકામવાળી બાઇને ક્યારેય એક કેરી ખાવા આપવાનું તમને સૂÍયું નહીં, આને કહેવાય ગરીબોનું શોષણ.
ગરીબોનું શોષણ થતું અટકાવવાનો ઉપાય રસ્કિનની દ્રષ્ટિએ ‘રોટીશ્રમ’માં રહેલો છે. ‘અન્ટુ ધિસ લાસ્ટ’, ‘ફોર્સ કલેવીજેરા’, ‘સીસેમ એન્ડ લિલીઝ’, ‘ધી ક્રાઉન ઓફ વાઇલ્ડ ઓલિવ’ વગેરે મહત્વના ગ્રંથો લખ્યા.
ગાંધીજીએ ‘અન્ટુ ધિસ લાસ્ટ’ ૧૯૦૪માં જહોનિસબર્ગથી નાતાલ જતાં પહેલી વાર વાંચ્યું. એમને મૂકવા સ્ટેશને આવેલા મિ. પોલાકે એમના હાથમાં એક પુસ્તક આપતાં કહ્યું ‘આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેવું છે. તે વાંચી જજો. તમને ગમશે.’ એ પુસ્તક હતું, ‘અનટુ ધિસ લાસ્ટ’. ગાંધીજી એમની આત્મકથામાં લખે છે, ‘આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો... ડરબન પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઇરાદો કર્યો.’ ગાંધીજી ઉમેરે છે, ‘મારી એવી માન્યતા છે કે જે વસ્તુ મારામાં ઊંડે ભરેલી હતી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેં રસ્કિનના આ ગ્રંથરત્નમાં જોયું, ને તેણે મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું ને તેમાંના વિચારોનો અમલ મારી પાસે કરાવ્યો.’
ગાંધીજી જાણે વકીલ મટીને દૂર ગામડાના કોઇ ખેતરમાં વસતા ગામડિયા બની ગયા. આ ખેતર તે એમના સામુદાિયક જીવનની પ્રથમ પ્રયોગભૂમિ-એટલે કે એમણે તા. ૨૬-૫-૧૯૦૪ના રોજ સ્થાપેલો ફિનિકસ આશ્રમ. ગાંધીજીના આર્થિક વિચારોને ધાર્મિક રંગ ચઢાવવામાં રસ્કિનનો ફાળો સૌથી વધારે ગણાય. ફિનિકસ આશ્રમ, ટોલ્સટોય આશ્રમ અને સત્યાગ્રહ આશ્રમમાં આ વિચારોને વ્યવહારની કસોટીએ ચઢાવી જોયા અને એને આધારે દેશની આર્થિક સમસ્યાઓના ઉકેલ તરીકે એમણે ચરખો, ખાદી, ગ્રામોધ્યોગ, દારૂબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમોને અમલમાં મૂક્યા.