આપણે સૌ જાણીએ છીએ કે રેડિયમ એક વિશિષ્ટ ધાતુ છે અને તે શક્તિશાળી કિરણો ફેલાવે છે. રેડિયમની શોધ કરવાનો શ્રેય ક્યૂરી દંપતીને ફાળે જાય છે. આ શોધ પાછળ તેમણે ખૂબ જ મહેનત કરી. મેડમ ક્યૂરી અને પિયરે ક્યૂરીએ કરેલી આ શોધથી વિજ્ઞાનના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. રેડિયમ તત્વમાંથી સતત ન દેખાય તેવા કિરણો નીકળે છે. આ અદ્રશ્ય કિરણો એટલે ‘આલ્ફા, બીટા અને ગામા’. આ કિરણોને રેડિયો એક્ટિવ કિરણો કહે છે. આ કિરણો પૂરેપૂરા નીકળી જાય ત્યારે આ રેડિયમ તત્વ સીસા નામની ધાતુમાં બદલાઈ જાય છે. રેડિયમમાંથી નીકળતા કિરણો એટલી તીવ્રતાવાળા હોય છે કે તે એવી ઘણી બધી વસ્તુઓની આરપાર પણ નીકળી જાય છે કે જેમાં પ્રકાશ પ્રવેશી ન શકતો હોય.
આ કિરણો આપણા શરીરની આરપાર પણ નીકળી જાય છે. તેનો ઉપયોગ કેન્સર જેવા રોગના ઈલાજ માટે થાય છે. ૧૮૯૬માં હેનરી બેકરલે રેડિયો એક્ટિવિટીની શોધ કરી. તેમણે શોધ્યું કે યુરેનિયમ તત્વમાંથી એક પ્રકારના અદ્રશ્ય કિરણો નીકળે છે. ત્યાર પછી ૧૮૯૮માં ક્યૂરી દંપતીએ પણ શોધી કાઢ્યું કે થોરિયમ તત્વમાંથી પણ આવા કિરણો નીકળે છે. તેમણે એ પણ શોધ્યું કે યુરેનિયમના ‘પિચબ્લેંડ’ નામના ઘટકમાંથી કેટલાંક કિરણો નીકળે છે. બસ, ત્યારથી તેઓ પિચબ્લેંડમાંથી આવા રેડિયો એક્ટિવ તત્વ મેળવવાના સંશોધન કાર્યમાં લાગી ગયા.
રાત-દિવસ અથાગ પરિશ્રમ કર્યા બાદ તેમને આ મશિનમાં સફળતા મળી. શુદ્ધ રેડિયમ સફેદ હોય છે. ઉપરાંત તે વજનદાર અને સોના કરતાં હજારગણું કીમતી પણ હોય છે. એમાંથી જે કિરણો નીકળે છે તે ખૂબ જ ઘાતક હોય છે. રેડિયમ જીવન પણ બચાવે છે. તેમાંથી નીકળતા કિરણો માનવશરીરમાં થતી કેન્સરની જીવલેણ ગાંઠનો નાશ કરવા માટે ઉપયોગી છે. આમ, કયૂરી દંપતીએ કરેલી આ શોધ આખા વિશ્વ માટે મહત્વની બની.