ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યો તેમજ ચારિત્ર્યવાન સમાજનું નિર્માણ આ સ્મારક પ્રત્યેક દર્શનાર્થીઓને વર્ષોપર્યત કરાવતું રહેશે.
ભારતની રાજધાની નવી દિલ્હીમાં યમુના કિનારે આવેલ અક્ષરધામ એ ભારતીય સંસ્કૃતિનું નજરાણું છે. બી.એ.પી.એસ. સંસ્થાના પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા તૈયાર કરાયેલ આ સ્મારક ભગવાન સ્વામિનારાયણના જીવનને-કાર્યને અંજલિ આપે છે. સર્વ ધર્મના સિદ્ધાંતો-ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને ચરિતાર્થ કરતું અક્ષરધામ એ સર્વધર્મનો પર્યાય છે.
સ્વામિનારાયણ અક્ષરધામની વિશેષતાઓ :
અક્ષરધામ શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિ માટેનું એક એવું કેન્દ્ર છે જે માનવને અંધકારમાંથી પ્રકાશ, જ્ઞાનના માર્ગે લઇ જાય છે. આ સ્મારક ૧૦૦ એકરની વિશાળ ધરા પર તૈયાર થયું છે. જે ભારતીય સંસ્કૃતિનાં પાયાનાં અંગો જેવાં કે કલા, શિલ્પ, સ્થાપત્ય, સંસ્કૃતિ અને વૈદિક પરંપરા વગેરેનું મુખ્ય સંગમ સ્થાન છે.
જેમાં સંગેમરમરના શ્વેત અને ગુલાબી પથ્થરોમાં ભારતીય શિલ્પ સ્થાપત્યના રંગો ઘુંટાયા છે. મનોહર નકશીકામ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ મુખ્ય સ્મારક ૧૪૧ ફૂટ ઊંચું, ૩૧૬ ફૂટ પહોળું અને ૩૭૦ ફૂટ લાંબું છે. જેના પાયારૂપે ૧૪૮ પૂરા કદના હાથીઓથી બનેલ શિલ્પરૂપી ગજેન્દ્રપીઠિકા આવેલ છે. વિવિધ શાસ્ત્રોમાં વર્ણવેલી કથાઓની અનુભૂતિ હાથીઓની મૂર્તિરૂપે અહીં પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ સ્મારક ૨૩૪ સ્તંભો તેમજ ૨૦,૦૦૦થી વધુ કલાત્મક મૂર્તિઓથી સુશોભિત કરવામાં આવેલ છે.
મુખ્ય સ્મારકમાં ચારે તરફથી બે માળની પરિક્રમા માર્ગ શોભાયમાન થાય છે. આ સ્મારકમાં વિશાળ કદની પંચધાતુની ભગવાન સ્વામિનારાયણની કલાત્મક મૂર્તિ સાથે ગુરુપરંપરાની પણ પૂરા કદની લાક્ષણિક શૈલીમાં પંચધાતુની મૂર્તિઓ છે. સીતારામ, શિવપાર્વતી, રાધાકૃષ્ણ અને લક્ષ્મીનારાયણ વગેરે દેવોની મૂર્તિઓ પણ સર્વધર્મપણાને સાર્થક કરે છે. ભગવાન સ્વામિનારાયણના બાળપણથી લઇ વિવિધ સ્વરૂપોને આ સ્મારકમાં કલા-કોતરણીથી અદ્ભુત રીતે કંડારવામાં આવેલ છે.
માત્ર પાંચ વર્ષના ટૂંકા ગાળામાં ૧૧,૦૦૦ કારીગરો, સ્વયંસેવકો અને સંતોએ પોતાના અમૂલ્ય ૩૦ કરોડ માનવ કલાકોના યોગદાનથી સ્વર્ગસમાન આ સ્મારકની રચના થયેલ છે. આ સ્મારકમાં ૩૦૦ષ્ઠ૩૦૦ ફૂટના ઘેરાવામાં ત્રણ પ્રકારનાં પ્રદર્શનો બનાવવામાં આવ્યાં છે. જેમાં ભગવાનનાં કાર્યો, કલા, સંસ્કૃતિ અને ધર્મકથાઓને દર્શાવવામાં આવી છે.
સહજાનંદદર્શન પ્રદર્શન : પ્રદર્શનના પ્રથમ ભાગમાં ૧૦ જેટલાં ર્દશ્ય-શ્રાવ્ય માધ્યમો અને રોબોટિક પૂતળાઓને સત્ય, વિશ્વાસ, પ્રેમ, ઇમાનદારી, સહનશીલતા અને અહિંસા આદિ ગુણો ભગવાન સ્વામિનારાયણના જીવન પ્રસંગો આધારિત ફ્લોટોમાં નિહાળી શકાય છે. ધર્મ અને વિજ્ઞાનનું સંયોજન અહીં અદ્ભુત રીતે નિયોજવામાં આવ્યું છે.
નીલકંઠદર્શન (આઇમેકસ શો) : પ્રદર્શનના બીજા ચરણમાં ૮૫ ફૂટ ઊંચા તથા ૬૫ ફૂટ પહોળા વિશાળ પડદા પર ભગવાન સ્વામિનારાયણના બાળપણથી માંડી હિમાલયની પદયાત્રાને વણીને બનાવવામાં આવેલ છે. આધ્યાત્મિક મૂલ્યો ધરાવતી વિશ્વની આ સર્વપ્રથમ આઇમેકસ ફિલ્મ છે. આ ફિલ્મનું શુટિંગ વિવિધ ૧૦૮ સ્થળો પર કંડારવામાં આવેલ છે, જેમાં ૪૫ હજારથી વધુ પાત્રોએ અભિનય આપેલ છે.
સંસ્કૃતિદર્શન (નૌકાવિહાર) : પ્રદર્શનના ત્રીજા ભાગમાં સંસ્કૃતિદર્શન દ્વારા ૧૦ હજાર વર્ષ પુરાણી ભારતીય વૈદિક સંસ્કૃતિનાં મૂલ્યો તક્ષશિલા વિદ્યાપીઠ, વિજ્ઞાન તથા સમાજજીવનનું પ્રતિિંબબ અદ્ભુત રીતે કંડારવામાં આવેલ છે, જેમાં પ્રાચીન ભારતીય જીવનશૈલીને વિવિધ પૂતળાઓ તથા ફ્લોટો દ્વારા નિયોજિત કરવામાં આવેલ છે. આ વિહાર યાત્રામાં દર્શકો હજારો વર્ષ પહેલાંના ભારતના પ્રાચીન સમયમાં ગરકાવ થયા હોય તેવો અહેસાસ નૌકામાં બેઠાં-બેઠાં કરે છે.
અક્ષરધામમાં સંગીતમય ફુવારાના શોને આધ્યાત્મિક મૂલ્યો સાથે વણી સંગીત-પ્રકાશ-અવાજ-દ્રશ્યશ્રાવ્ય માધ્યમ જેવી ટેક્નોલોજીથી બનાવવામાં આવેલ છે. નીલકંઠવણીઁની ભવ્ય કાંસ્ય પ્રતિમાનાં ચરણોમાં એક યજ્ઞપુરુષ કુંડ બનાવવામાં આવેલ છે, જેમાં આ સંગીતમય ફુવારાનાં ભકતો દર્શન કરે છે. જેમાં ૧૦૮ દેરીઓ કંડારવામાં આવેલ છે. આ ઉપરાંત અક્ષરધામમાં ૪૦ એકરમાં ભારતવન ઉપવન પથરાયેલ છે, જેમાં રાષ્ટ્રીય નેતાઓ, વીર યોદ્ધાઓ, આદર્શ બાળકો તેમજ મહાન નારીરત્નોની પ્રેરણાત્મક ૬૦થી વધુ કાંસ્ય પ્રતિમાઓથી શોભાયમાન બનેલ છે.