શિવ એટલે જ કલ્યાણ. ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ નજીક આવેલા શ્રી કુબેર ભંડારી મહાદેવનાં દર્શનનું સવિશેષ મહાત્મ્ય છે. દર અમાસે તેમજ સોમવારે અને ખાસ કરીને શ્રાવણ માસમાં લાખો ભક્તો શ્રેય અને કલ્યાણ અર્થે કરનાળીમાં આવેલા શ્રી કુબેર ભંડારેશ્વર તીર્થમાં ઊમટે છે અને હર હર ભોળા શંભુના નાદથી મંદિરનું પરિસર ગાજી ઊઠે છે.
ખળખળ વહેતી મૈકલ કન્યા નર્મદાજીના તટ ઉપર રમણીય વાતાવરણમાં આવેલા આ મંદિરમાં શ્રી કુબેર ભંડારીદાદા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. જોકે વિશેષ તો આ જગ્યાના વાતાવરણમાં આવતાં જ વ્યક્તિ આધિ-વ્યાધિ-ઉપાધિ વીસરી જાય છે.
કુબેરદાદા એટલે દેવોના ખજાનચી. પુરાણો અનુસાર, પૌલત્સ્ય વંશમાં વિશ્વેશ્ચર અને વિશ્વેશ્વરના વૈશ્વારાયના વંશ કુબેર, રાવણ, કુંભકર્ણ અને વિભિષણ. એમાં કુબેર બાકીના ત્રણ ઓરમાન ભાઇઓમાં સૌથી મોટા. એટલે તત્કાલીન સમયે લંકાની ગાદી પર યુવરાજ કુબેર બેઠા. ઇષૉથી બળી રહેલા રાવણે લંકાની ગાદી મેળવવા તપશ્વર્યા દ્વારા મહાદેવજીને પ્રસન્ન કરી વરદાન થકી મેળવેલી શક્તિઓનો ઉપયોગ કરી કુબેરને લંકામાંથી ભગાડી ગાદી પચાવી પાડી. કુબેરજીએ લંકાનું રાજ પાછું મેળવવા અલગ અલગ જગ્યાએ તપશ્વર્યા આદરી, પરંતુ રાવણે દરેક જગ્યાએથી કુબેરેને ભગાડ્યા. એ સમયે કુબેરે કણ્વઋષિએ નર્મદા કિનારે વસાવેલી નગરી જે હાલ કરનાળી તરીકે ઓળખાય છે ત્યાં મહાકાળીના શરણે આવી તપશ્વર્યા આદરી. અંબાજીના રક્ષણ હેઠળ તપશ્વર્યા કરી કુબેરે મહાદેવજીને પ્રસન્ન કર્યા.
જેના વરદાનરૂપે મહાદેવજીએ કુબેરને લંકાના રાજ્યથીય અધિક મરતબો આપી દેવોના ખજાનચી બનાવ્યા અને જે જગ્યાએ મહાદેવજી પ્રસન્ન થયા ત્યાં કુબેર શ્રી કુબેરેશ્વર ભંડારી તરીકે પૂજાવા લાગ્યા.
આજે પણ લાખો ભક્તો પોતાની મનોકામનાની પૂતિg અર્થે શ્રી કુબેરેશ્વર ભંડારીનાં દર્શન આવે છે.
કિળકાળમાં માનવીમાં ભૌતિકતાની એષણા હોવી એટલું જ સ્વાભાવિક છે ત્યારે ૩૩ કરોડ દેવતાઓના ધનનો વહીવટ જેમની પાસે છે એવા શ્રી કુબેર ભંડારી પાસે શ્રદ્ધાપૂર્વક અપેક્ષા રાખતા ભક્તોનો મહાસાગર ના ઊમટે તો જ નવાઇ!
શ્રી કુબેર ભંડારીનું અન્ય એક મહાત્મ્ય એવું પણ છે કે તિરુપતિ બાલાજીનાં લગ્ન લેવાયાં ત્યારે તેમના શ્વસૂરે તેમને મોભાને અનુરૂપ જાન જોડીને આવવાનું જણાવ્યું હતું. આ માટે તિરુપતિ બાલાજીએ શ્રી કુબેર ભંડારી પાસેથી દાન લીધું હતું. સમયાવધિ પૂર્ણ થયા બાદ તિરુપતિ બાલાજીએ એ ધન પરત જમા નહીં કરાવતાં શ્રી કુબેર ભંડારીએ દક્ષિણમાં જઇ તિરુપતિ બાલાજીના વાળ ઉતારી લીધા હતા. આજે પણ તિરુપતિ બાલાજીનાં દર્શને જતાં ભક્તો ત્યાં મુંડન કરાવે છે અને ઋણમુક્તિની ભાવના વ્યક્ત કરે છે. એટલે જ ચાંદોદ પગ રસ્તે ચાલતાં જતાં ત્રિવેણી સંગમના કિનારે પહેલાં ઋણ મુક્તેશ્વર મહાદેવનું ગગનને આંબતું મંદિર આવેલું છે. પહેલા ત્યાં દર્શન કરી ઋણમુક્ત થયા બાદ જ શ્રી કુબેર ભંડારીનાં દર્શન કરવાથી સુખ-સમૃિદ્ધ અને આબાદી મેળવી શકાય છે. બસ અત્યારે તો શિવ શિવ કરતો શ્રાવણ માસ ચાલી જ રહ્યો છે ત્યારે શ્રદ્ધાળુઓએ આ મોકો ચૂકવા જેવો નથી.