જ્યાંજીવ છે ત્યાં શિવ છે અને જ્યાં શિવ છે ત્યાં શ્રદ્ધા છે. જ્યાં શ્રદ્ધા છે ત્યાં ભયનો નાશ થાય છે. નિર્ભય જીવન મળે છે હકારાત્મક ઊર્જા થકી જે મળે છે વાસ્તુ નિયમો થકી.
આજે આપણે ચર્ચા કરીએ પ્રવીણભાઇ ચૌહાણના મકાનની. લંબચોરસ મકાનમાં ઉત્તરમાં ખાલી જગ્યા છે તે સારું ગણાય, પરંતુ દક્ષિણ અગ્નિમાંથી દાદરાનાં પગથિયાં જાય છે તે યોગ્ય નથી. ઘરનું મુખ્ય દ્વાર નૈઋત્ય દક્ષિણમાં છે જે પુરુષ સંતાનની ચિંતા ઉપરાંત ભય ઊભો કરે. બેઠકરૂમ દક્ષિણના ભાગમાં છે અને બેઠક વ્યવસ્થા અગ્નિમાં વાયવ્યમુખી છે.
જેના થકી ઘરમાં કોઇનો સ્વભાવ પાણીમાંથી પોરા કાઢવા જેવો બને અને યોગ્ય સમયે સાચી વાત ન કહેવાથી થતી સમસ્યાઓ સર્જાય. તે ઉપરાંત ઉગ્રતાનું પ્રમાણ ગણાય. ટેલિવિઝન વાસ્તુશાસ્ત્ર લખાયું ત્યારે શોધાયેલ ન હતું પરંતુ તે સતત જોવાની પ્રક્રિયા સાથે સરખાવી શકાય. વળી, આ પ્રક્રિયાથી માહિતી અથવા મનોરંજન મળે છે. તેથી પશ્ચિમ નૈઋત્યમાં ટેલિવિઝન રાખવાથી આપણે તે દિશામાં વધારે સમય જોઇએ છીએ અને તેના લીધે વધારે નકારાત્મક વિચારો આવે. વળી, આ રૂમમાં સૂવા માટે દક્ષિણમાં માથું રાખવું જરૂરી છે.
રસોઇઘરમાં મંદિર દક્ષિણ તરફ મુખ રાખીને પૂજા થાય તે રીતે છે, આનાથી ખૂબ જ ઉગ્રતા આવે. વળી, આ રીતે પૂજા થતી હોય ત્યારે પૂજાને લગતા અન્ય વાસ્તુદોષ જેમ કે મંદિર પર વજન હોવું યા તો મંદિરમાં ઇલેક્ટ્રિક લાઇટ હોવી વગેરેમાંથી એક જરૂરથી હોય છે જ. પૂર્વ તરફ મુખ રાખીને રસોઇ થાય, પરંતુ ઇશાનમાં નહીં. આ જગ્યાએ રસોઇઘર હોય તે સ્ત્રીના મનને અસર કરે છે. વળી, ઇશાનમાં સંડાસ પણ છે તેથી મન પર વધારે ભાર આવે. આ જગ્યાની ઊર્જા જો સારી ન હોય તો હૃદયને લગતી બીમારી પણ આવી શકે. પણ વાચક મિત્રો આ વાતથી ગભરાવાની જરૂર નથી. આવી ઊર્જાથી હકારાત્મક ઊર્જા તરફ લઇ જાય છે આપણાં શાસ્ત્રો, નિયમો અને ખાસ કરીને વાસ્તુનિયમો.
મુખ્ય દ્વાર પર કાંસાના ગણેશ બારસાખમાં બહારની બાજુ અને તેની બરાબર પાછળ પિત્તળના ગણેશ બેસાડવા. બેઠકરૂમમાં કાચના વાસણમાં ગુલાબની પાંદડી રાખવી. સૂચન પ્રમાણેના નકશા મુજબ રચના કરવી. રસોડાના પ્લેટફોર્મમાં જમણી બાજુ રસોઇ કરવી. ઘરમાં ગૂગળનો ધૂપ કરવો, શિવલિંગ પર દૂધ, પંચામૃત, ગુલાબજળ, ચોખ્ખા પાણીથી અભિષેક કરવો. સંડાસના દરવાજા પર જમણી બાજુથી ડાબી બાજુ અને ઉપરથી ૧/૩ ઊંચાઇ પર ચાંદીનો તાર બાંધવો. સૂર્યને જળ ચડાવવું. ગુરુવારે ઉંબરો પૂજી દરવાજા પર આસોપાલવનું તોરણ બાંધવું. જ્યાં ભય છે ત્યાં જ આતંક છે. પોતાના અસ્તિત્વ માટે માણસ પોતાનો ભય અન્ય પર પ્રસરાવે છે પણ હકારાત્મક ઊર્જા આત્મબળ વધારે બનાવે છે. આવી શક્તિ મળે છે વાસ્તુશાસ્ત્ર થકી.