પાલનપુરના સલેમપુરા દરવાજા વિસ્તારમાં આવેલા ૩૪૫ વર્ષ જુના ઈતિહાસની ઝાંખી રજુ કરતાં મકબરા : જેનો ઐતિહાસિક સ્મારકોમાં સમાવેશ કરાયો છે
પાલનપુર શહેરની સ્થાપના વર્ષો પહેલાં રાજા પ્રહલાદને કરી પ્રહલાદન નગર નામ આપ્યું હતું. જો કે, કાળક્રમે નવાબી શાસન સ્થપાયું હતું. જેનો કાર્યકાળ આઝાદી સુધી રહ્યો હતો. જેમના શાસન દરમિયાન શહેરમાં અત્તરનો ઉદ્યોગ વિકસ્યો હોવાથી પાલનપુર શહેરે ફુલો ને અત્તરોની નગરી તરીકે વિશેષ ઓળખ પ્રસ્થાપિત કરી હતી. આ ઉપરાંત શહેરના સાત દરવાજાઓ પણ પ્રસિદ્ધ હતા,પરંતુ આઝાદી બાદ શહેરના મોટાભાગના ઐતિહાસિક સ્થળો નામશેષ થઇ રહ્યા છે. જેમની વચ્ચે લગભગ ૩૪૫ વર્ષ જુના ઈતિહાસની ઝાંખી રજુ કરતાં ૭ મકબરા આજે પણ મોજુદ છે.
પાલનપુર શહેર વર્ષો પહેલાં ઐતિહાસિક નગરી હતી. જેની સ્થાપના પ્રહલાદન રાજાએ કરી હતી. ત્યારબાદ કાળક્રમે નવાબી શાસન સ્થાપાયું હતું. જેમના શાસનકાળમાં નગરની સિદ્ધીઓ ચોતરફ ફેલાઇ હતી. આ અંગે પાલનપુર શહેરના ઈતિહાસ પ્રેમી શરીફભાઇ ચશ્માવાલાએ પુસ્તકોના અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે ‘નવાબના સમયમાં પાલનપુરની આસપાસ ફુલોની ખેતી કરવામાં આવતી હતી. જેમાંથી વિકસેલા અત્તરના ઉદ્યોગ ઉપરાંત મીઠીવાવ, સાત દરવાજા, પાતાળેશ્વર મહાદેવ મંદિરની ખ્યાતીપણ દૂરદૂર સુધી પ્રસરી હતી.
જોકે આઝાદી બાદ ઐતિહાસિક સ્થળોની સાર-સંભાળ લેવામાં ન આવતાં નામશેષ થવાના આરે છે. જેમની વચ્ચે લગભગ ૩૪૫ વર્ષ જૂના નવાબ સાહેબના કુટુંબના ઐતહિાસ મકબરા આજે પણ મોજુદ છે. શહેરના સલેમપુરા દરવાજા બહાર આવેલા કબ્રસ્તાનમાં હયાત પથ્થરની કલાત્મક નકસીકામ અને એ જમાનાના માર્બલની કોતરણીવાળી શીશા (ધાતુ)ની કડીઓમાં ઝડાયેલા સાત મકબરાઓનો ગુજરાતમાં ક્યાંય જોટો જડે તેમ નથી.
આ મકબરાઓનો રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક સ્મારકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ દુ:ખદ બાબત એછે કે પાલનપુર નગરપાલિકા દ્વારા તેની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી. જેથી ઐતિહાસિક આ ધરોહરની કોતરણીવાળી જાળીઓ તેમજ કેટલીક કબરો તૂટી જવા પામી છે. આ ઉપરાંત મકબરા ઉપર રહેલું શીશુ (ધાતુ) ની ચોરી થઇ રહી છે. જેની જાળવણી માટે અગાઉ ગ્રાન્ટ ફાળવાઇ હતી. આ ઐતિહાસિક સ્થળો પણ કાળની થાપટનો ભોગ બની રહ્યા છે. - તસવીર અંકિત વ્યાસ