વાયુપુરાણ રેવાખંડ અધ્યાય ૧૬૮માં મળતા વર્ણન અનુસાર અક્રૂરેશ્વર નામક તીર્થમાં રાવણના અનુજ કુંભકર્ણનો પૌત્ર અક્રૂર નામે રાક્ષસ તપોસિદ્ધ થયો હતો પ્રથમ ત્રેતાયુગમાં શિવજીની આરાધનામાં તત્પર એવા અક્રૂરે સીતાહરણ બાદ રાવણને ઠપકો આપ્યો. જે રાવણથી સહન થયો નહીં અને અક્રૂરને દેશનિકાલ આપ્યો. પરિણામ સ્વરૂપ દેશનિકાલ દશામાં પોતાના પુરોહિતને ભક્તિ યોગ્ય પવિત્ર સ્થળની પસંદગી અંગે પૂછતાં પુરોહિતે અતિ પવિત્ર એવા રેવાજીના દક્ષિણ કિનારે આવેલા સ્થળને પવિત્ર જણાવી, ત્યાં તપ કરવા સૂચવ્યું.
અક્રૂરે તેમની આજ્ઞા માની શિવજીની આરાધના કરી, પરિણામે શિવજી પ્રસન્ન થયા, ‘હું તારા નામની સંજ્ઞાથી રહીશ અને તું અમરત્વ પામીશ.’ એવાં બે વરદાન આપી શિવજી અંતધ્ર્યાન થયા.
અક્રૂરે પોતાના ઇષ્ટદેવ શિવજીની સ્થાપના કરી. અક્રૂર દ્વારા પૂજિત શિવલિંગ પર કાળક્રમે નગરજનોએ ભક્તિભાવથી પ્રેરિત થઇ સુંદર મંદિર બાંધ્યું અને અક્રૂરના નામથી અક્રૂરેશ્વર મહાદેવ તરીકે ખ્યાત થયા. લોકોના અંતરની ઇચ્છા પૂરી કરનારા આ દેવ ‘શ્રી અંતરનાથ મહાદેવ’ તરીકે ખ્યાત થયા.
અંતરનાથ શિવાલયની ભૂમિ દિવ્ય, ચેતનવંતી અને પવિત્ર છે. મંદિરમાં શિવલિંગ દોઢ હાથ ઊચું અને ઘણું જાડું છે. જળધારી, છત્ર, નાગ, સુંદર પુષ્પોની જટા, બીલીપત્રોથી શિવલિંગ હંમેશાં શોભતું રહે છે.
અંકલેશ્વર એ અક્રૂરેશ્વર તીર્થનું અપભ્રંશ થયેલું નામ છે. અંતરનાથ મહાદેવ સમસ્ત અંકલેશ્વર શહેરની પ્રજાના હૃદયમાં નિવાસ કરે છે અને તેથી જ અહીંની પ્રજાના લાડીલા દેવ એવા અંતરનાથ મહાદેવ અહીં આજ સુધી પ્રસ્થાપન થયેલ છે.