Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Literature >> Jokes
 

જાનવર અને માણસ

 
Source: Vyang Vishva, Jagdish Trivedi   |   Last Updated 1:14 AM [IST](01/09/2010)
 
 
 
 
 
મિનિસ્ટર પણ એક પ્રકારનું પ્રાણી જ છે. માણસ અને મિનિસ્ટરમાં તફાવત એ છે કે માણસમાંથી મિનિસ્ટર થઇ શકાય છે, પરંતુ મિનિસ્ટર થયા પછી માણસની જેમ જીવવું અઘરું છે.

માણસ માંદો પડે તો એને જાનવરના દવાખાને લઇ જવો જોઇએ કારણ કે આજના માણસમાં માણસાઇ ઓછી અને પશુતા વધુ દેખાય છે. અત્યારે માણસ કૂકડાની માફક જાગે છે અને ઘોડાની માફક ભાગે છે. રસ્તામાં ટ્રાફિક જામ કરે ને ગધેડાની માફક કામ કરે. ઘરે આવી કૂતરાની માફક ભસે ને બેડરૂમમાં વરુની માફક હસે છે. ટી.વી.ને રિછની માફક સૂંઘે છે ને પછી ભૂંડની માફક ઊંઘે છે. હવે તમે જ કહો કે આવું પ્રાણી બીમાર પડે તો ક્યાં લઇ જવું જોઇએ?

માણસમાં અને રિછમાં એક તફાવત એવો છે કે માણસની હજામત થઇ શકે છે પરંતુ જંગલમાં હેર કટિંગ સૂલન ન હોવાથી રિછની હજામત થઇ શકતી નથી પરંતુ જે હજામત કરાવી શકે તે કરી પણ શકે તેથી માણસ સગા બાપનો ટકો કરતાં અચકાતો નથી. રિછ બીજા રિછને મૂંડતો નથી.

માણસમાં અને હાથીમાં એવો તફાવત છે કે હાથીને માથે અંકુશ છે તેથી તેના મહાવતને ક્યારેય દગો કરતો નથી અને માણસ નિરંકુશ હોવાથી કોઇને દગો કરવાની એક પણ તક છોડતો નથી. માણસમાં અને નાગમાં એવો તફાવત છે કે નાગ પહેલાં તો બીકનો માર્યો ભાગે છે અને નાછૂટકે જ કરડે છે જ્યારે માણસ પહેલાં તો કરડે છે અને નાછુટકે જ બીકનો માર્યો ભાગે છે. જેમ કડીની અધ્યાપિકાને ત્રણ નાગ કરડ્યા એમાં બે પકડાયા અને એક બીકનો માર્યો ભાગતો ફરે છે. માણસને ગમે તેવો ઝેરી સાપ કરડે એની દવા છે પણ માણસને માણસ કરડે એની દવા નથી.

મિનિસ્ટર પણ એક પ્રકારનું પ્રાણી જ છે. માણસ અને મિનિસ્ટરમાં તફાવત એવો છે કે માણસમાંથી મિનિસ્ટર થઇ શકાય છે, પરંતુ મિનિસ્ટર થયા પછી માણસની જેમ જીવવું અઘરું છે. માણસને પક્ષીની માફક ઊડવું છે. માછલીની માફક તરવું છે. કોયલની માફક ગાવું છે પરંતુ માણસની માફક જીવવું નથી.

માણસ પશુની માફક જીવે છે એનું કારણ એવું છે કે માણસના મગજમાં દરરોજ બે આખલા ઝઘડે છે. જેમાં એક હિન્દુસ્તાની આખલો છે અને બીજો પાકિસ્તાની આખલો છે. જે આખલો જીતે તે માણસના મગજ ઉપર સવાર થઇ જાય છે અને દુભૉગ્યવશ મોટે ભાગે પાકિસ્તાની બિગબુલ જીતે છે અને માણસ હ્યુમન મટીને હેવાન બની જાય છે. માણસને બાઇક, કાર અને પ્લેન ચલાવતાં આવડે છે પણ મગજ, નજર અને જીભને પોતાના કાબૂમાં રાખીને ચલાવતાં આવડતું નથી.

સિંહ ગરજે, ઘોડો હણહણે, ગધેડો ભૂંકે, કૂતરો ભસે, ભમરો ગુંજે, શિયાળ લાળી કરે, નાગ ફૂંફાડો મારે, કોયલ ટહુકે, ભેંસ ભાંભરે, વાંદરો ડાચિયું કરે, રિછ ઘૂરકે અને માણસ? માણસ સમય આવ્યે આ બધું કરી શકે.અંબાલાલને એકવાર મોંઘીભાભીએ પૂછ્યું કે તમારી પાછળ વાઘ પડે તો શું કરો? અંબાલાલે કહ્યું કે હું દસ માળના બિલ્ડિંગની અગાસીમાં જતો રહું, એટલે મોંઘી બોલી કે વાઘ પણ લિફ્ટમાં ચડીને અગાસીમાં આવી ચડે તો શું કરો? એટલે અંબાલાલે કહ્યું કે તું પહેલા એક ચોખવટ કર કે તારે મને જિવાડવો છે કે વાઘને જિવાડવો છે? દરેક માણસે આ સવાલ પોતાના આત્માને પૂછવો જોઇએ કે તારે મારી અંદર માણસને જિવાડવો છે કે જાનવરને જિવાડવો છે?

વ્યંગ વિશ્વ,જગદીશ ત્રિવેદી
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.