ગાંધીધામની જમીનો ફ્રી હોલ્ડ થાય તે માટે નવી દિલ્હી સુધી ધસી જઇને કોંગ્રેસના કેટલાક અગ્રણીઓએ કરેલી રજૂઆતમાં હવે વિવાદના નવા ફણગા ફૂટતા જાય છે. માજી ધારાસભ્યે રવિવારે આ બાબતે વિરોધ કર્યા પછી હવે કચ્છ કોંગ્રેસના માજી ઉપપ્રમુખે પણ જણાવ્યું છે કે આ નેતાઓ પક્ષના સંગઠનને મજબૂત બનાવવાને બદલે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે ભાજપના માણસોને દિલ્હી લઇ જઇ રજૂઆતો કરાવી પક્ષને તોડવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે.
કચ્છ કોંગ્રેસના માજી ઉપપ્રમુખ જુમા રાયમાએ એક લેખિત નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રોટોકોલ મુજબ આટલા મોટા મુદ્દાની દિલ્હીમાં રજૂઆત કરવાની હોય ત્યારે જિલ્લા કારોબારી બોલાવીને પ્રદેશ પ્રમુખની આગેવાની હેઠળ રજૂઆત કરવાની હોય પણ પોતાની રીતે ધરાર બની બેઠેલા કાર્યકારી પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા, મુરારિ શર્મા, તુલસી સુજાન વગેરેએ પાર્ટી વિરુદ્ધ જઇ સ્થાનિક જિલ્લા પ્રમુખ વી.કે.હુંબલ, પ્રદેશ ઉપાધ્યક્ષઆદમ ચાકી, ગાંધીધામના સિનિયર આગેવાનો વાલજી દનિચા, ડૉ. રાજેન્દ્રર શાહ, જુમા રાયમા, ઉમેદ જોશી, લતીફ ખલીફા વગેરેની જાણ બહાર ભાજપના માણસોને લઇને દિલ્હી પહોંચી ગયા હતા.
રાયમાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, તુલસી સુજાન શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેઓ પોતાના અંગત કામે દિલ્હી ગયા હતા. શૈલેન્દ્રસિંહ જાડેજા પણ અસ્તિત્વ ટકાવી રાખવા માટે હવાતિયા મારે છે. આવા આગેવાનો સામે પગલાં લેવા પણ તેમણે માગણી કરી હતી.
ચૂંટણી પર પણ અસર પડશે
સંગઠનની ચૂંટણીમાં પણ શૈલેન્દ્રસિંહ જાડેજા પાર્ટી માટે તન મન ધનથી કામ કરનારાઓની બાદબાકી કરી પોતાની અંગત જરૂરિયાત સંતોષે એવા ચમચાઓની નિમણુંક કરે છે એવો આક્ષેપ કરતા જુમા રાયમાએ જણાવ્યું હતું કે ગાંધીધામ શહેર કોંગ્રેસની રચના પણ ડેલિગેટને વિશ્વાસમાં લીધા વિના કરવામાં આવી છે.
ડેલિગેટો પાસેથી R ૧૦૦ વસૂલીને તેમને નિમણુંક આપ્યા વિના રચાયેલી સમિતિને રદ્ કરવા પણ તેમણે માગણી કરી હતી. જો આ પ્રશ્નો નહીં ઉકેલાય તો નગરપાલિકાની આગામી ચૂંટણી પર તેની અસર પડશે એમ પણ તેમણે જણાવ્યું હતું.