કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા ગાંધીધામ-આદિપુરની જમીનના મોરગેજ ફી, ટ્રાન્સફર ફી તથા ફ્રી હોલ્ડ જમીનના મુદ્દે દિલ્હી સુધી ગયેલા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે પક્ષની પરંપરા તોડી હોવાનો તથા ભાજપના કાંધે આગળ વધતા હોવાનો આક્ષેપ ખુદ કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે. આના કારણે આગામી દિવસોમાં કોંગ્રેસનું રાજકારણ ગરમ બને તેમ મનાઇ રહ્યું છે.
માજી ધારાસભ્ય વાલજીભાઇ દનિચાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ગાંધીધામના પ્રતિનિધિ મંડળે દિલ્હી ખાતે રજુઆત કરીને પ્રોટોકોલનો ભંગ કર્યો છે.
કોંગ્રેસના બંધારણ મુજબ જીપીસીસીના પ્રમુખ, વિરોધપક્ષના નેતા, પ્રદેશ ઉપપ્રમુખ અને કચ્છ કોંગ્રેસના પ્રમુખ, ગાંધીધામ તાલુકા, આદિપુર કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ સાંસદો તેમજ અન્ય પૂર્વ ઉચ્ચ પદાધિકારીઓને વિશ્વાસમાં લેવાની જરૂર હતી. ગાંધીધામ સંકુલમાં ચેમ્બરની સંખ્યાબંધ મીટિંગો થઇ પણ દિલ્હી ગયેલાઓમાંથી એક-બે સિવાય કોઇએ હાજર આપી નથી.
તેમણે એવો પણ સવાલ પૂછ્યો છે કે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં ભાજપના પદાધિકારીઓ સાથેની બેઠકમાં હાજરી આપીને ફોટા પડાવવા એમ કોંગ્રેસની વિચારધારાથી વિમુખ જવું કેટલું વાજબી છે. ગાંધીધામની પ્રજાની સમસ્યા હલ કરવા ભાજપના કાંધિયા બન્યા વિના લોકોનો સાથ લાઇને કોંગ્રેસ પોતાના બળ ઉપર આગળ આવવું જોઇએ.
કહેવાતા નેતાઓએ સ્થાનિક પદાધિકારીઓ અને અગ્રેસરોની અવગણના કરી તેવા આક્રોશ સાથે દનિચાએ આ સભ્યો પર કડક પગલાં ભરવા રજુઆત કરી છે. તેમણે ઉમેદભાઇ જોષી અને લતિફભાઇ ખલીફા જેવા કાર્યકરોની બાદબાકી કરી નખાઇ હોવાનું પણ જણાવ્યું હતું.