આ 'સુલતાન'નો ફિલ્મના સુલતાન મિર્ઝાને પણ ટક્કર મારે તેવો કિસ્સો

- ‘મને ગર્વ છે, માતાના મઢમાં હિન્દુ સાધુએ મુજ મુસ્લિમ પર વિશ્વાસ રાખ્યો’
- સાધુની આત્મહત્યા પછી તુરંત ગ્રામજનોને ૧૨ લાખ રોકડા પરત આપી દેનારા સુલતાનઅલી ખોજાની ખાસ મુલાકાત
જ્યારે માલ સંપતિ માટે સગા ભાઇઓ વચ્ચે પણ સબંધો વણસી જતા હોય છે ત્યારે માતાનામઢમાં એક હિન્દુ સાધુએ સાચવવા આપેલા રૂ. ૧૧.૯૫ લાખની રકમ સાધુના આપઘાત પછી તુરંત ગ્રામજનોને સોંપી દેનારા મુસ્લિમ સમાજના સુલતાનઅલી જાનમામદ ખોજાએ અઢળક સંપતિ સાચવવા માટે એક હિન્દુ સાધુએ પોતાના પર મુકેલા વિશ્વાસ બદલ ગર્વ વ્યક્ત કર્યો હતો.
માતાના મઢ ખાતે શિતલા માતાજીની પૂજા કરતાં મંદિરના પૂજારી ચતુરગિરિ ગુરુ મહાકાલગિરિજીએ આત્મહત્યા કર્યા બાદ ગ્રામજનો દ્વારા તેમને સમાધી આપવામાં આવી હતી. તો આ સંતની રકમ સાચવનારા ખોજા સુલતાનઅલીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, સંતે ૨૦૦૭થી રૂ. ૧૧.૯૫ લાખ સાચવવા માટે આપ્યા હતાં. માતાના મઢ ખાતે સાત પેઢીથી રહેતા જાનમામદ અલીદીના ખોજા પરિવારના ૬૦ જેટલા સભ્યોના વડીલ સુલતાનઅલીની મઢમાં બાપ-દાદાની પેઢીથી રસકસની દુકાન છે. આ સાધુ તેમને જે રૂપિયા આપતા તે અંગેની જાણ ગામમાં કોઇને પણ ન હતી, માત્ર તેમના પુત્રોને જ હતી. સાધુને જે આવક થતી તેમાંથી જરૂરિયાત પૂરતી તે પોતાની પાસે રાખતા હતા અને બાકીના જમા કરાવી જતા જેની એક બુકમાં નોંધ રાખવામાં આવતી હતી.
૭૫ વર્ષીય ખોજાએ જણાવ્યું કે, દરરોજ દિવસમાં એક વખત પોતાને ત્યાં અચુક આવતાં અને દરરોજ બે પેંડાની પ્રસાદી લઇ આવતાં. જે પોતાના પરિવારની નાની પૌત્રીઓને આપતા હતા. સાધુના આત્મહત્યા પાછળનું કારણ તેમની સમજમાં આવતું નથી. થોડાક સમય પહેલાં આ સાધુએ જીવતે પોતાનો ભંડારો કરવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ઇચ્છા પૂર્ણ કરવાની વાત ગામલોકોને કરી હોવાનું જણાવીને ઉમેર્યું હતું કે, તેમની બીજી ઇચ્છા પોતાની આરસની મૂર્તિ બનાવીને મંદિરમાં મૂકવાનું પણ જણાવ્યું હતું.
માતાના મઢમાં સાત પેઢીથી ચુંદડી-પ્રસાદીનો ધંધો કરનાર સુલતાનઅલીએ પણ આવા કાર્ય દ્વારા જીવનમાં કાયમ નેક ઇન્સાન બનવાનું જણાવ્યું હતું,તે સાથે છેલ્લે ઉમેર્યું હતું કે, એક હિન્દુ સાધુએ આખાએ માતાના મઢ ગામમાંથી મારા એક પર જ વિશ્વાસ મૂકીને જે મને આટલી અઢળક સંપતિ સાચવવા માટે આપી તે બદલ મારા વડીલો તેમજ મારા પરિવારને માટે ગર્વ છે અને મારા પર મુકેલ વિશ્વાસ તેને સાચા હૃદયથી નિભાવ્યો છે.
ખોજા પરિવારને મા આશાપુરમાં અખૂટ આસ્થા છે :
ગામના આગેવાન સુરેન્દ્રસિંહ જાડેજાએ આ પરિવાર અંગે જણાવ્યું હતું કે, માતાના મઢમાં વર્ષોથી ધંધો વ્યવસાય કરે છે અને તેમનો વ્યવસાય રસકસ-કરિયાણાની સાથે માતાજીની ચુંદડી-ધૂપ-શ્રીફળ સહિતની પૂજાપાની વસ્તુઓ રાખે છે,પરંતુ આજદિન સુધી કોઇ પણ ગ્રાહકની પાસેથી વધુ નફો લઇને ગ્રાહકોને છેતરવાનો ધંધો નહીં કરનાર આ મુસ્લિમ ખોજા પરિવારને મા આશાપુરામાં પણ અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. તો આ પરિવારના ઇમાનદારીના એક બનાવની વાત કરતાં ડૉ. અશોક પટેલે જણાવ્યું હતું કે, ત્રણેક માસ પૂર્વે સુલતાન અલીભાઇના પુત્ર નિઝારભાઇની દુકાને કોઇક યાત્રિક એક પર્સ ભૂલી ગયું હતું જે પાકિટમાં તપાસ કરતાં તેમાં માત્ર રૂપિયા સાતસો જેટલી રકમ હતી,જે પર્સમાં રહેલા કાર્ડમાના મોબાઇલ નંબરના આધારે તેના મૂળ માલિકને પરત કર્યું હતું,જેના મૂળ માલિક મહેસાણા જિલ્લાના હતા. તો હમણા બે અઢીમાસ પૂર્વે કોઇક વ્યક્તિ તેમની દુકાને રૂ. ૭૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન ભૂલી જતાં તેના મૂળ માલિકને શોધીને આઠ દિવસે તે ફોન પરત કર્યો હતો,જે ફોનનો માલિક ગામનો જ હતો.






