કેડીડીસીની લોન વસુલાત મામલે દિલીપ સંધાણી સહિતનાને નોટીસ અપાશે
Jigna Varsani, Bhuj
| Jul 20, 2012, 16:51PM IST

-રાજ્ય રજિસ્ટ્રાર દ્રારા ટુંક સમયમાં તવાઇ બોલાવાશે
રાજ્યનાં સહકાર મંત્રી દિલીપ સંધાણી પર ભષ્ટ્રાચારના અનેક આરોપ થઇ રહ્યા છે, ત્યારે કચ્છમાં પણ કેડીડીસી બેંકની ૩૦ કરોડની બોગસ લોનમાં અન્ય ડાયરેક્ટરો સાથે તેઓનું નામ પણ ઉછળ્યું છે ત્યારે આ કેસમાં તમામ ડાયરેક્ટરો સહિત દિલીપી સંધાણી પર પણ ટુંક સમયમાં તવાઇ આવનાર છે.
કેડીડીસી બેંકની ૩૦ કરોડની બોગસ લોન ૨૦૦૩માં અપાયા બાદ આજ દીન સુધી તેની ઉગરાણી કરવામાં આવી નથી ત્યારે આ મુદે કોગ્રેસી ડાયરેક્ટરો દ્વારા વારંવાર રજુઆતો કરવા છતાં રાજકીય માથાઓ આ બોગસ લોનમાં સંડોવાયેલા હોવાથી ઉધરાણી કરવામાં આવતી નથી ત્યારે આ મુદો હવે વધુ ચર્ચાસ્પદ બન્યો છે.ત્યારે રાજ્યરજિસ્ટ્રાર દ્વારા ૨૦૦૩ માં બોગસ લોન મંજૂર કરવા બદલ જવાબદાર ૧૩ ડાયરેક્ટરો તથા તે સમયે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના પ્રતિનીધી તરીકે કેડીડીસીમાં નિમાયેલા દિલીપ સંધાણી સહિતનાને જવાબદાર ગણાવતા કલમ ૮૬ અંતર્ગત નોટીસો ફટકારાશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ નોટીસ દિલીપ સંધાણીને બાદ કરતા અન્યોને ફટકારાઇ હતી અને આ નોટીસ પર બોર્ડ ઓફ નોમીનીમાં જઇ ડાયરેકટરો સ્ટે લઇ આવ્યા હતા.ત્યારે હાલે ફરી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં દિલીપ સંધાણીને પણ છોડવામાં આવશે નહીં તેવું સુત્રોએ જણાવ્યું હતું.આ અંગે હાલની બોડીના કોગ્રેસી ડાયરેકટર નવલસિંહ જાડેજાએ કહ્યું હતું કે, છેલ્લા ૩ વર્ષમાં અમારા દ્રારા રાજ્યરજિસ્ટ્રાર સમક્ષ અનેક રજુઆતો કરવામાં આવી છે પરતું વસુલાત કરવા મુદે કોઇ કામગીરી તો ઠીક આમારી રજુઆતોના જવાબ પણ અપાયા નથી.






