=>માથક પાસેની લૂંટ અને હત્યામાં સનસનીખેજ હકીકત બહાર આવી
=>ભદ્રેશ્વરની ઓપીજી કંપનીના વાઇસ પ્રેસિડેન્ટે પત્નીના ખૂન અંગે ઘડી કાઢેલી સ્ટોરીનો ભાંડો ફૂટી ગયો
ગાંધીધામમાં રહેતા અને મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વરની ઓપીજી કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નોકરી કરતાં જીતેન્દ્રપ્રસાદ સિંહાની પત્નીના ખૂનનો ભેદ ઉકેલાયો છે, જેમાં ખુદ પતિ જ હત્યારો હોવાનું બહાર આવતાં ચકચાર વ્યાપી છે. સાળી સાથે પ્રેમમાં ગળાડૂબ આ શખ્સે વારંવાર કંકાશ કરતી પત્નીનું કાસળ કાઢી નાખ્યું હતું. માથક પાસે કારમાં પત્નીના માથામાં દેશી તમંચા વડે પોઇન્ટ બ્લેંકથી ફાઇરિંગ કરી તેનું ઢીમ ઢાળી દીધું હતું. આ હકીકત છુપાવવા જાણે હત્યા અને લૂંટની ઘડી કાઢેલી વાર્તાનો ભાંડો પોલીસ તપાસમાં ફૂટી ગયો હતો.
આ પ્રકરણની વિગતો આપતાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર વાઘેલાએ જણાવ્યું કે, હત્યાની ઘટના તા.૬ ડિસેમ્બર ર૦૧૧ના રાત્રે બની હતી. એના બીજા દિવસે ગાંધીધામના સુભાષનગરમાં રહેતા જીતેન્દ્ર પ્રસાદ વીરેન્દ્ર પ્રસાદ સિંહા (૪૩)એ આદિપુર પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે, તે અને તેની પત્ની માધુરી (૩૮) મુન્દ્રાથી ફરીને પરત ઘેર આવતા હતા ત્યારે માથક અને નગાવલાડિયા વચ્ચે ત્રણ અજાણ્યા બાઇક સવારોએ તેમને ઘેરી લીધા હતા અને એમાના એક શખ્સે રૂ.૧.૨૧ લાખની લૂંટ ચલાવી માધુરીને માથામાં ગોળી મારી દીધી હતી. આ પ્રકરણમાં પોલીસને પ્રારંભથી જ જીતેન્દ્રપ્રસાદ પર શંકા હતી, તપાસને અંતે ખુદ તે જ આરોપી હોવાના પુરાવા મળતાં તેની રવિવારે રાત્રે ધરપકડ કરી લેવામાં આવી હતી.
હત્યા પાછળના કારણમાં પોલીસે વધુ વિગત આપતાં જણાવ્યું કે, જીતેન્દ્રપ્રસાદને માધુરીના ફૂવાની દીકરી પ્રાચિ રવિશંકર ચૌબે (૨૫) સાથે અફેર હતો, ર૦૦૮થી ચાલતા આ લફરા બાબતે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ કંકાશનો અંત લાવવા તેણે પત્નીને મોતને ઘાટ ઉતારી દેવાતી નક્કી કર્યું હતું. ઘટનાના દિવસે તે માધુરીને ફરવાના બહાને કારમાં લઇ ગયો હતો અને માથક નજીક રોડ પર પેશાબ કરવાના બહાને ગાડી ઊભી રાખી હતી. માધુરીને તેની બહેન સાથે ફોન પર વાત કરાવી હતી ત્યાર બાદ એકાએક ફોન ખેંચીને તેના કાનના ઉપરના ભાગે પોઇન્ટ બ્લેંકથી ફાઇરિંગ કરી દીધું હતું.
સાઇન્સનું ભણેલો હોવાથી બચવા માટે મજબૂત સ્ટોરી બનાવી
પોલીસે જણાવ્યું કે, પોતાની પત્નીનો હત્યારો જીતેન્દ્રપ્રસાદ બી.ટેકની ડિગ્રી ધરાવે છે. પોતે સાઇન્સનો અભ્યાસું હોવાથી હત્યામાંથી છટકી જવા માટે મજબૂત અને અટપટી સ્ટોરી બનાવી હતી. જેમ કે, પોતે જમણેરી હોવાથી ફરિયાદમાં ડાબા હાથથી ફાયરિંગ થયાનું લખાવ્યું હતું.
કુટુંબને એકલું મૂકી બહેરીનથી ભાગી આવેલો
દેશ-વિદેશની જુદીજુદી કંપનીઓમાં સર્વિસ કરી ચૂકેલો જીતેન્દ્રપ્રસાદ ર૦૦૭માં બહેરીનની કંપનીમાં જોબ કરતો હતો, ત્યારે પત્ની સાથે ઝઘડો થયો હતો તે સમયે પત્ની તથા બે બાળકોને ભગવાન ભરોસે મૂકીને ભારત ભાગી આવ્યો હતો. અહીં આવીને કંપનીને રાજીનામું ધરી દેતા પરિવારજનો અન્ય લોકોની મદદથી વતનમાં પરત આવી શક્યા હતા.
પિતાથી કંટાળી પુત્રો રાજસ્થાનમાં
મૂળ બિહારના જીતેન્દ્રપ્રસાદને સંતાનમાં બે પુત્રો છે. ૧૭ વર્ષીય ઉત્સવ અને ૧પ વર્ષીય ઉમંગ પિતા દ્વારા માતાને અપાતાં ત્રાસને લીધે કંટાળીને રાજસ્થાનના કોટા ગામમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે.
નોકરીના બહાને પ્રેમિકા સાથે જલ્સા
કુટુંબના ભોગે પ્રેમમાં પડેલો જીતેન્દ્રપ્રસાદ નોકરીના બહાને પોતાની પ્રેમિકા સાથે જલ્સા કરતો હતો. ઘરથી એકાદ કિ.મી. અંતરે જ કંપનીની વહીવટી ઓફિસ હોવા છતાં તે ભદ્રેશ્વર જવાનું કહીને પ્રેમિકા સાથે લોંગ ડ્રાઇવ પર નીકળી જતો હતો, જે તેની પત્નીને પસંદ ન હતું. ખુદ માધુરીના ભાઇ એટલે કે તેના સાળાએ પણ હત્યા પાછળ આ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું પોલીસને જણાવ્યું હતું.
કોલ ડિટેઇલ તપાસી, હથિયારની તપાસ જારી
આ પ્રકરણમાં પોલીસે આરોપીની ૧૨૦૦ જેવાં પાનાંની કોલ ડિટેઇલ તપાસી હતી. બીજી બાજુ તેણે ઉપયોગમાં લીધેલું તમંચા જેવું હથિયાર શોધવા તપાસ શરૂ કરવામાં આવી હતી.
કઇ વાતો શંકાના દાયરામાં હતી ?
- જીતેન્દ્રપ્રસાદે ફરિયાદમાં ડાબા હાથથી ફાયરિંગ થયાનું લખાવ્યું હતું. (જોકે ફોરેન્સિક રિપોર્ટમાં જમણા હાથથી ફાયરિંગ થયાનું બહાર આવ્યું) - કંપનીએ ડ્રાઇવર આપેલો હોવા છતાં તે દિવસે પોતે કાર ચલાવી. - તે ઘટનાસ્થળ વિશે અસમંજસમાં રહેતો હતો. - બનાવ બાદ સગાને જાણ ન કરી. - તેને થયેલાં ઇજાના નિશાન જાતે કર્યા હોય એવા હતા. - પોલીસ પૂછપરછ કરે તો તબિયત બગડી જવાનું નાટક કરતો.