કચ્છમાં છેલ્લા ઘણા દિવસોથી શ્રાવણ માસમાં અષાઢી માહોલ જારી છે. નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં ૩, અંજારમાં અઢી, માંડવી-મુન્દ્રામાં અડધો ઇંચ, ભુજ-ગાંધીધામમાં ઝાપટાં પડ્યા હતા.અંજારમાં બપોરે એક વાગ્યે એક કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. યોગેશ્વર ચોકડીથી નાગલપર ત્રણ રસ્તા સુધી રસ્તામાં ખાડાઓમાં પાણી ભરાતા વાહન વ્યવાહારને અસર પહોંચી હતી. શહેરમાં સત્તાવાર રીતે સાંજ સુધીનો ૬૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તાલુકાના નાગલપુર, સિનુગ્રા, ખંભરા સહિતના ગામોમાં પણ મેઘસવારી પહોંચી હતી.
નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ખારોઇ ગામમાં એક કલાકમાં એક જેટલો વરસાદ પડ્યો હતો. શુક્રવારે રાત સુધીમાં ૩ ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. મંગવાણામાં પણ કલાકમાં ઇંચ વરસાદ પડી જતા જીવણસર તળાવ ઓગની ગયું છે. જેને સરપંચ ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી વધાવશે. જીવાપર, સુખપર, કુરબઇ વગેરેમાં પણ ૨થી ૩ ઇંચ વરસાદના વાવડ છે. ૩૧ વર્ષ બાદ ડાકણિયો ડેમ ઓગનતાં તેને રાપરના ધારાસભ્ય બાબુભાઇ શાહના હસ્તે વધાવાયો હતો. ભુજ-ગાંધીધામમાં દિનભર ઝાપટાં પડ્યા હતા. માંડવી-મુન્દ્રામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યાના વાવડ છે.