અંજાર તાલુકાના નાગલપર ગામની મહિલાને ચાલુ કારમાં સામૂહિક બળાત્કાર કરવાની ચોંકાવનારી ઘટનામાં પોલીસે ફોન કોલ્સને આધારે એક આરોપીને ઝડપી લીધો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે, પોલીસે આરોપીની સત્તાવાર ધરપકડ ન બતાવતાં તેમની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે.
નાગલપુરમાં રેહતી ૩૫ વર્ષીય મહિલાએ આદિપુર પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે, બે મોબાઇલ ફોન ઉપરથી કેટલાક શખ્સોએ તેને આદિપુર મળવા બોલાવી હતી અને જ્યારે તે શખ્સોને ઓળખવાના આશયથી આદિપુર રામદેવપીરના મંદિર પાસે ઊભેલી કાર પાસે ગઇ, ત્યારે બે શખ્સોએ તેનો હાથ પકડીને અંદર નાખી દીધી હતી અને ત્યાર બાદ ચાલુ કારે આદિપુર-ગાંધીધામ હાઇવે ઉપર વારાફરતી રેપ કર્યો હતો.
સામૂહિક બળાત્કારની આ ચોંકાવનારી ઘટના બાદ બન્ને શખ્સોએ મહિલાને ચૂપ રહેવાની ધમકી પણ આપી હતી. જોકે, બળાત્કારના થોડા દિવસો બાદ જ પીડિત મહિલાએ આદિપુર પોલીસ સ્ટેશને આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે તપાસ કરીને સોમવારે એક વ્યક્તિની ધરપકડ પણ કરી હતી. કાર્યવાહી ચોપડે ચડી ન હોવાથી વધુ વિગતો મળી શકી ન હતી.
આ મહિલાનો તેના પ્રથમ પતિ સાથે ફેમિલી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને તેણે અન્ય એક વ્યક્તિ પાસે મૈત્રીકરાર કરીને રહેતી હતી. મૈત્રીકરારવાળી વ્યક્તિ પણ નાગલપર નકલી નોટમાં સંડોવાઇ છે.