અરબી સમુદ્ર જેના પગ પખાળે છે તે કોટેશ્વર અને પુરાણ પ્રસિદ્ધ તિર્થધામ નારાયણ સરોવરમાં યાત્રિકોના ઉતરોતર વધતા પ્રવાહ વચ્ચે વિકાસ કામોએ પણ વેગ પકડયો છે અને આ જોડિયા ધર્મસ્થાન હવે સુંદર અને સુવિધાસભર બની રહ્યા છે.
અગાઉ નારાયણ સરોવરમાં ભાવિકો કારતક અથવા અધિક માસમાં વધુ આવતા પણ હવે આ પુરાતન યાત્રાધામમાં બારેમાસ શ્રદ્ધાળુઓની ભીડ રહે છે, ત્યારે ગુજરાત પ્રવાસન નિગમે પણ દૂરસુદૂરથી આવતા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોની લાગણી અને માગણીને ધ્યાને લઇને બાર મહિના પૂર્વે R ૧૩ કરોડના વિકાસકામો શરૂ કર્યા હતા. અનેક કામો પ્રગતિમાં છે, ઘણા પૂર્ણ પણ થઇ ગયાં છે.
જ્યારે કેટલીક કામગીરી હવે હાથ ધરાશે. પણ છ આઠ મહિના પછી બન્ને ધર્મસ્થાનોની નવી સાજ-સજાવટ સાથે સિકલ બદલી જશે. પ્રવાસન નિગમના એન્જિનિયર કાન્તિભાઇએ આખી યોજનાનીમાહિતી આપતાં કહ્યું હતું કે, પુરાતન તીર્થસ્થાનમાં આધુનિક સુવિધાનો સમન્વય થતાં આખું સંકુલ સુંદર અને સુશોભિત બનશે, જ્યારે કોટેશ્વરમાં પણ સુશોભીકરણ ઉપરાંત આ સ્થાનેથી દેશના અંતિમ સૂર્યાસ્તના દર્શન થતા હોવાથી યાત્રિકો-પર્યટકો સહપરિવાર આ નજારો માણી શકે એ માટે સનસેટ પોઇન્ટ બનાવાશે. આ માટે સુંદર મોટી છતરડી બનાવાઇ રહી છે. સાથે જેટી સુધીના વોક-વેનું કામ પ્રગતિમાં છે.
પવિત્ર સરોવરનું અને મંદિરનું નવીનીકરણ થઇ રહ્યું છે. કુલ બે કિમીમાં પથરાયેલા આ બન્ને ધર્મસ્થાનો તેમજ તેને જોડતા માર્ગો, તળાવો, મંદિરો વગેરેની નમૂનારૂપ સજાવટ થઇ રહી છે.
૧૩ કરોડના ખર્ચે થઇ રહ્યો તીર્થનો ‘શણગાર’
- ના. સરોવર-કોટેશ્વર રોડ ફોર વે: આજુબાજુ વોક વે અને બેન્ચીસ.
- માર્ગની બન્ને તરફ લાઇટો અને વૃક્ષારોપણ.
- ના. સરોવરમાં મેળા ગ્રાઉન્ડ: સ્ટેડિયમ અને મોટું પબ્લિક ટોયલેટ
- પુરાતન કિલ્લાની મરંમત અને રંગરોગાન.
- મંદિર પરિસરમાં પ્રસાદરૂમ, બગીચો, બાંકડા.
- જૂના ૩ ગેટ ખોલાશે.
- ત્રિવિક્રમરાયજી મંદિર અને બીજા સાત મંદિરનું મારબલ અને રંગકામ.
- પવિત્ર સરોવરની ફરતે બાઉન્ડરી અને બે ગેટ.
- પરિક્રમા અર્થે ફરતો આર.સી.સી.માર્ગ, લાઇટિંગ અને વૃક્ષો.
- જૂની ધર્મશાળાનું એજ સેપમાં નવીનીકરણ
- ઘાટનું સુશોભન.
- વિધિ માટે ચાર મોટી છતરડી.
- ના. સરોવરનો એન્ટ્રી રોડ ઉંચો: મુખ્ય ચોક આર.સી.સી.થી મઢાયો.
- રામેશ્વરથી મુખ્ય ચોકનું સિમેન્ટ કામ પૂર્ણ: હવે ૨ોડ લાઇટ નખાશે.
- બસ સ્ટેન્ડને જોડતા પુલનું કાર્ય પૂર્ણ.
- જૂની-જર્જરિત નિશાળનું આધુનિકરણ કરી પર્યટકો માટે ઇન્ફોર્મેશન સેન્ટર.
- ખડિયાસરનું સુશોભન.
- તોરણ હોટલમાં વધુ ૧૦ રૂમ, અટેરડ ટોયલેટ.
- ના. સરોવરમાં મોટું પાકિઁગ.
- દરિયાકાંઠે ચપલેશ્વર મહાદેવ પાસે પાસે બેઠકો અને પાણીનું સ્ટેન્ડ પોસ્ટ.
- કોટેશ્વર મંદિરનું રિનોવેશન સુંદર લાઇટિંગ, બાઉન્ડરી.
- પાણીનું પરબ અને નાની પોલીસ ચોકી તેમજ ફુટપાથ સહિતની સુવિધાઓ બનશે.