ભાડેના મકાનમાં એકાંત દરમિયાન દુપટ્ટા સાથે લટકી : મૂળ વીસનગરની યુવતી અબડાસાના નાગોરમાં ૩ વર્ષથી વિદ્યાસહાયક હતી
અબડાસાના નાગોરની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષિકા તરીકે ફરજ બજાવતી વિદ્યાસહાયક યુવતીએ કોઠારામાં મકાનની અંદર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૂળ વીસનગરની તસલીમબેન અબ્દુલસત્તાર મનસૂરી (ઉ.૨૩)એ કોઠારામાં માનપુરા વિસ્તારમાં આવેલા તેના રહેણાંક મકાનની અંદર બારણું બંધ કરીને દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. કાઠોરા પીએસઆઇ ડી.એ. જાડેજાએ કહ્યું કે, આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. સ્કૂલમાં રજા હતી.
તેની સાથે રહેતી અન્ય બે સહેલી પણ વતનમાં ગઇ છે. પરિવારજનો પણ અહીં આવવા ઘેરથી નીકળી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, તસલીમબેન છેલ્લા સાડા ત્રણ વર્ષથી વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવે છે. તેઓ કોઠારામાં શાહ રાયચંદ શિવજીના મકાનમાં તેમની સહેલી પ્રજ્ઞા અને હષૉ સાથે રહેતા હતા.
છ માસ પહેલાં જ સગાઇ કરી
તસલીમના પિતા અબ્દુલસત્તારભાઇ મનસૂરીએ ‘દિવ્ય ભાસ્કર’ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, હજુ છ મહિના પહેલાં જ વડગામ તાલુકાના સલેમપુર ગામે તેની સગાઇ કરી હતી. પરમ દિવસે જ અમે ફોન પર રાજી ખુશીની વાતો કરી હતી.
મોબાઇલ કોલના આધારે તપાસ
આપઘાતનું સ્પષ્ટ કારણ જાણવા ન મળતાં પોલીસે શિક્ષિકાના મોબાઇલ દ્વારા થયેલા કોલના આધારે તપાસ આગળ ધપાવી છે.