નખત્રાણાના નિરોણામાંથી ગત વર્ષે શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા ઘૂસણખોર બાંગ્લાદેશી શખ્સને આજે ભુજની સેશન્સ કોર્ટે બે વર્ષની સખત કેદ અને રૂ.૧૦ હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.
બાંગ્લાદેશના દાંગલ જિલ્લાના નિશીનપુરનો જહાંગીરઆલમ અબ્દુલ બાતીલ શેખ (ઉ.વ૨૧)ને ૬ સપ્ટેમ્બર ૨૦૦૯માં નિરોણા ગામમાંથી પોલીસે પકડી પાડ્યો હતો. ત્યાર બાદ તેને જેઆઇસીને સોંપવામાં આવ્યો હતો વધુ પૂછપરછ માટે નખત્રાણા પોલીસને સોંપાયા બાદ ગત ૬ ફેબ્રુઆરી પી.આઇ.પી.વી. જાડેજાએ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
તપાસ પૂર્ણ થયા બાદ ગાંધીનગર ખાતે તેનો લાઇ ડિટેકટર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ તપાસના અંતે આ કેસ ટ્રાયલ કોર્ટમાંથી કમિટ થઇને સેશન્સ કોર્ટમાં આવ્યો હતો, જેમાં એડશિનલ સેશન્સ જજ એ.એમ. ભીમાણીએ જહાંગીરઆલમને પાસપોર્ટ (એન્ટ્રી ટુ ઇન્ડિયા) રૂલ્સની ૧૯૫૦ની કલમ -૩ના ભંગ બદલ ૩ માસની સખત કેદ, જ્યારે ફોરેનર્સ (એમેડમેન્ટ) એક્ટ ૨૦૦૪ની કલમ ૧૪ (બી)ના ગુના તળે બે વર્ષની સખત કેદની સજા તેમજ રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ ૨ માસની સખત કેદની સજા આપવા હુકમ કર્યો હતો.
બાંગ્લાદેશથી કોલકાતા, દિલ્હી થઇ ભુજ આવેલો
બાંગ્લાદેશી જહાંગીરઆલમે વિઝા કે પાસપોર્ટ વિના ભારતમાં શિયાલ્ડ સરહદથી પ્રવેશ કર્યો હતો. પ્રથમ કોલકતાથી દિલ્હી ટ્રેન દ્વારા પહોચ્યો હતો, ત્યાંથી સીધો ભુજ પણ ટ્રેન થકી આવ્યો હતો.