૧૫મી ઓગસ્ટથી સીઝન શરૂ થતાં બોટો, જાળ સજાવતા માછીમારો : દરિયાકાંઠો ધમધમતો થયો
કચ્છમાં ગત વર્ષે ૬૫૦૦૦ ટન માછલીઓનું ઉત્પાદન થયું હતું. આ વર્ષે સારો વરસાદ પડ્યો હોવાથી ઉત્પાદનમાં ૨૫ ટકા જેવો વધારો થાય તેવી શક્યતા છે, તેથી પ્રમાણ ૮૧૨૫૦ ટન સુધી પહોંચી જશે.
આ અંગે માછીમારી સાથે સંકળાયેલા વર્તુળોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છમાં લખપત, અબડાસા, માંડવી અને ભચાઉના અમુક વિસ્તારોમાં પાર્ટ ટાઇમ અને નારાયણ સરોવર, જખૌ, કાઠડા, લાયજા, સલાયા, મોઠવા, ત્રગડી, કુતડી, જૂનાબંદર, લુણીબંદર, રંઘબંદર, બાવડીબંદર, વીરાબંદર, તૃણાબંદર, મીઠાપોર્ટ, જૂના કંડલા, ચેરાવાડી વગેરેમાં ફૂલટાઇમ માછીમારો આ વ્યવસાયમાં જોડાયેલા છે.
કચ્છ જિલ્લો વિશાળ દરિયાકાંઠો ધરાવતો હોવાથી આ ક્ષેત્રે વિકાસની ખૂબ જ સારી તક છે. કચ્છના મત્સ્ય ઉત્પાદનનો ૯૦ ટકા હિસ્સો મુન્દ્રાનો છે. આ અંગે માછીમાર અધિકાર સંગઠન -ભદ્રેશ્વરના ભરતભાઇ પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, ૧૫મી ઓગસ્ટેથી માછીમારીની સીઝન શરૂ થઇ ગઇ છે એટલે મત્સ્યોધ્યોગકારો જાળ અને બોટ સજાવવાની તૈયારીમાં પડી રહ્યા છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં તેનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. જોકે, રમજાન મહિનો ચાલી રહ્યો હોવાથી અમુક લોકો માછીમારીથી દૂર રહે છે, ૧૦મીએ પૂર્ણ થતા આ વ્યવસાય પૂરબહારમાં ખીલી ઉઠશે.
આ વર્ષે કચ્છમાં સારો વરસાદ પડ્યો હોવાથી ઉત્પાદનમાં ૨૫ ટકા જેવો વધારો થાય તેવી શક્યતા છે. ગત વર્ષે ૬૫૦૦૦ ટન માછલીઓનું ઉત્પાદન થયું હતું. જેની તુલનાએ આ વર્ષે ૮૧૨૫૦ ટન સુધી પહોંચી જશે. આનાથી આવકમાં પણ વધારો થશે તેવી આશા બંધાઇ છે.
મચ્છીનો વર્ષે રૂ.૩૪૦ કરોડનો કારોબાર
કચ્છમાં ૨૦૦૪ની સ્થિતિ જોઇએ તો ચારેય મત્સ્ય ઝોનમાં મળીને ૩૪૦ કરોડ જેટલું વેચાણ થયું હતું. આ વખતે તેમાં વધારો થશે. સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત ગુજરાત સરકાર પણ મત્સ્યનું વેચાણ વધે તેવા પ્રયત્નો કરી રહી છે.
સ્થાનિકે થશે મચ્છીમાર્કેટ
માછીમારોને લોકલમાં જ માછલીના વેચાણ માટે પૂરતો અવકાશ મળી રહે તે માટે મુખ્ય મથક ભુજ ખાતે મચ્છીમાર્કેટનું નિર્માણ થશે. આ માટે તાજેતરમાં મળેલી ભુજ સુધરાઇની સામાન્ય સભામાં ઠરાવ પણ કરી દેવાયો છે.