કચ્છમાં તબીબોનો સજ્જડ બંધ
Bhaskar Network, Bhuj
| Jun 26, 2012, 01:33AM IST

ભુજની જનરલ હોસ્પિટલમાં ઇન્ડોર અને ઓપીડી દર્દીઓનો ધસારો થયો : જિલ્લા અને તાલુકા મથકોએ તબીબોએ આવેદનપત્ર પાઠવ્યું
કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવનારા એનસીઆરએચ બિલ તેમજ બીઆરએચસી અભ્યાસક્રમના વિરોધમાં દેશભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને આપેલાં એક દિવસના હડતાળના એલાનમાં કચ્છ યુનિટના પાંચસો જેટલા સભ્ય પણ જોડાતાં જિલ્લાભરમાં ખાનગી હોસ્પિટલો બંધ રહી હતી. જિલ્લામથક ભુજ ઉપરાંત અંજાર, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, રાપર અને ભચાઉ સહિતના તાલુકામથકોએ સ્થાનિક એસો. દ્વારા આવેદનપત્ર પાઠવી સરકારી નીતિનો વિરોધ કરાયો હતો. બીજી બાજુ ભુજની જનરલ હોસ્પિટલ અને ગ્રામ્ય વિસ્તારોના પ્રાથમિક તેમજ તાલુકામથકોએ સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર સ્વાભાવિક રીતે દર્દીઓનો ધસારો વધ્યો હતો.
જિલ્લામથક ભુજમાં કલેકટર તેમજ તાલુકાકક્ષાએ મામલતદારને પાઠવાયેલાં આવેદનપત્રમાં જણાવાયા મુજબ નેશનલ કમિશન ફોર ?ુમન રિર્સોસિસ ફોર હેલ્થ (એનસીએચઆરએચ) બિલ લાવીને સરકાર હેલ્થ સેકટરમાં કાર્યરત તમામ પ્રકારની કાઉન્સિલનું વિઘટન કરી સરકારી અંકુશ હેઠળની અનિયંત્રિત સત્તા ધરાવતા કમિશનની રચના કરવા ઇચ્છે છે. આમ થવાથી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમ.સી.આઇ.)નું વિસર્જન થશે, જેનો આઇએમએ વિરોધ કરે છે.
આ ઉપરાંત કિલનિકલ એસ્ટા બ્લિસમેન્ટ એકટ તેમજ ગ્રામ્યકક્ષાના તબીબો માટે અમલી બનનારા બીઆરસીએચના અભ્યાસક્રમનો વિરોધ કરાયો હતો, હજૂ ચોમાસું શરૂ ન થયું હોવાથી સદ્નસીબે કચ્છમાં રોગચાળો નોંધપાત્ર ન હોવાથી ભુજની જનરલ હોસ્પિટલમાં સામાન્ય કરતાં બે ગણી રહેલી ઓપીડીને ફરજ પરના તબીબો પહોંચી વળ્યા હતા. જોકે, ઇમરજન્સી કેસના કચ્છના મોટા ભાગના દર્દીઓને આ હોસ્પિટલમાં ખસેડાતાં ઇન્ડોર પેશન્ટની સંખ્યા નોંધપાત્ર રીતે વધી ગઇ હતી.
ગ્રામ્ય વિસ્તારના દર્દીઓનો સવારથી બપોર સુધી ધસારો રહ્યો હતો, જેને ખાળવા અદાણી મેડિ. કોલેજના તબીબોએ પણ સેવા આપી હતી. બીજી બાજુ ભુજની ખાનગી હોસ્પિટલો જડબેસલાક બંધ રહેતાં માત્ર ઇન્ડોર હોસ્પિટલમાં અગાઉથી દાખલ થયેલા દર્દીને જેતે તબીબે નિયમ મુજબ ચકાસ્યા હતા. દવાખાના બંધ રહેતાં મોટા ભાગના મેડિકલ સ્ર્ટોસમાં પણ પાંખી ઘરાકી જોવા મળી હતી.
આઇએમએ ભુજ યુનિટના પ્રમુખ ડો. નરેશ ભાનુશાલી અને સેક્રેટરી ડો. દેવેન્દ્ર પરમારની આગેવાની હેઠળ રેલીરૂપે નીકળેલા ડોકટર્સે પ્રથમ કલેકટરને, ત્યાર બાદ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગાંધીધામમાં આઇએમએના સ્થાનિક પ્રમુખ ડો. એસ.આર.ચૌધરી સેક્રેટરી, અમોલ ગોસાવી, ડો. અંજુ રાની, ડો.ભાવિન પટેલ સહિતના સભ્યોએ આવેદનપત્ર પાઠવ્યું હોવાનું કન્વીનર ડો. નરેશ જોષીએ જણાવ્યું હતું.
અંજારમાં ખાનગી તબીબોની હડતાળ સજ્જડ રહેતાં સરકારી દવાખાનામાં દર્દીઓ ઉભરાયા હતા. સવારે શહેરના તબીબોએ નાયબ કલેકટર કચેરીમાં પોતાની વાત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા આવેદનપત્ર આપ્યું હતું. આઇએમએના પ્રમુખ વીરેન્દ્ર ઝોટા, ડો. શ્યામસુંદર, ડો. સી.એન. મહેતા, ડો. એ.વી. અંજારિયા સહિતના સભ્યો રજૂઆતમાં જોડાયા હતા.
માંડવીમાં પ્રમુખ કૌશિક શાહ અને સેક્રેટરી ડો. પરાગ મર્દાનિયા અને નખત્રાણામાં ડો. વી.એસ. રાઠોડની આગેવાની હેઠળ ડો. પી.જી. પટેલ, ડો. શાંતિલાલ સેંઘાણી સહિતના તબીબોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
અંજારમાં બોગસ તબીબોને ઘી-કેળાં
અંજારમાં ખાનગી તબીબોએ જડબેસલાક બંધ પાળતાં શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રીવિહોણા 'મુન્નાભાઇ’ને ઘી-કેળાં થઇ ગયાં હતાં કેટલાક દર્દીઓએ નાછૂટકે આવા બોગસ તબીબો પાસે નિદાન કરાવવું પડયું હોવાનું જાણવા મળ્યું હતું.
હડતાળથી અજાણ દર્દીઓને ધરમ ધક્કો પડ્યો
ગ્રામ્ય વિસ્તારના કેટલાક અશિક્ષિત દર્દીઓ આ હડતાળ અંગે માહિતગાર ન હોવાથી ભુજ, ગાંધીધામ તેમજ તાલુકામથકોએ નિષ્ણાત તબીબની સારવાર માટે ગયા તો હતા, પણ હોસ્પિટલમાં તાળાં જોતાં તેમને ધરમ ધક્કો પડ્યો હતો.
નખત્રાણામાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા
નખત્રાણા સી.એચ.સી. પર માત્ર એક ડોકટર અને એક નર્સ હાજર હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. બપોર સુધી દર્દીઓનો ધસારો રહ્યો હતો, જેને એકમાત્ર ડો. ડી.જી. પાન્ડેએ સારવાર આપી હતી.
અન્ય તબીબો, લેબોરેટરી ટેકિનશિયન પણ જોડાયા
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને આપેલાં બંધના એલાનને કચ્છભરના આયુર્વેદિક, હોમિયોપેથિક અને આર.એમ.પી.ડોકટર્સે ટેકો જાહેર કર્યો હતો. કચ્છભરમાં આવા ૧પ૦૦ જેટલા તબીબનું સમર્થન મળ્યું હોવાનું સ્ટેટ કો-ઓર્ડિનેટર ડો. એન.એલ.જોષીએ જણાવ્યું હતું. તે સાથે પેથોલોજી લેબોરેટરીના ટેક્નિશિયન પણ તેમાં જોડાતાં ખાનગી લેબોરેટરી બંધ કરી હતી. દવાના પ્રતિનિધિઓના મંડળ પણ આ હડતાળને સમર્થન આપી પોતાના કામકાજથી અળગા રહ્યા હતા, તેવું તેમણે ઉમેર્યું હતું.
આરોગ્ય કેન્દ્રો પર સ્થિતિ સામાન્ય
જિલ્લામાં ખાનગી હોસ્પિટલો બંધ રહેતાં સર્જાયેલી સ્થિતિ વિશે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.કે. મોડે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ સામાન્ય રહી હતી. તમામ પ્રા.આ. કેન્દ્રો અને સા.આ. કેન્દ્રો પર પૂરતો સ્ટાફ હાજર રહ્યો હતો, જેના કારણે દર્દીઓને જરૂરી સારવાર મળી રહી હતી.
ભુજની જનરલ હોસ્પિટલમાં નિયોનેટલ યુનિટ ફૂલ
સાત કે આઠ મહિને જન્મતાં બાળકને જેમાં સારવાર અપાય છે તેવા ભુજની જનરલ હોસ્પિટલના નિયોનેટલ યુનિટમાં દાખલ થયેલાં બાળકોની સંખ્યા વધી જતાં બપોર સુધીમાં તે ફૂલ થઇ ગયું હતું. પરિણામે સાંજે આવેલાં આવાં કેટલાક માસૂમની સારવાર માટે મોટો પ્રશ્નાર્થ ખડો થયો હોવાનું જાણવા મળ્યું હતું.






